Abtak Media Google News

જયજય શ્રી રામ અને જય બજરંગબલીના નારાથી ગુંજી ઉઠ્યું રેસકોર્સ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ હિન્દુઓને એક થવા કરી અપીલ

બાગેશ્વર ધામના વડા અને પ્રખર હિંદુવાદી કથાકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના રાજકોટમાં યોજાનારા મહા દિવ્ય દરબાર અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં પ્રખર રાષ્ટ્રવાદી અને તેજાબી વક્તા એવા કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુઓને જાગૃત થવાની આહલેક જગાવી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પ્રકારના વિરોધની પરવાહ કર્યા વગર સમગ્ર હિન્દુ સમાજે વિધર્મીઓના પડકારનો સામનો કરવો પડશે.

સંઘર્ષ તો હિન્દુઓના લોહીમાં છે અને સંઘર્ષ વગર સફળતા મળતી નથી. સનાતન ધર્મ અંગેના પોતાના સ્પષ્ટ વિચારોને કારણે દેશભરમાં જાણીતા થયેલા કાજલ હિંદુસ્તાનીએ પોતાના પ્રવચનની શરૂઆતમાં જ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણે સનાતન ધર્મની રક્ષા માટે કામ કરીએ છીએ તેથી આપણે સંઘર્ષ કરવો પડે છે અને સંઘર્ષ કરવો એ તો આપણા સૌના લોહીમાં છે.

ભગવાન રામ, સીતા માતા, પાંડવો ,દ્રૌપદી આ બધાએ સંઘર્ષ કર્યો હતો અને પછી ધ્યેય પ્રાપ્તિ થઈ હતી. બાબા બાગેશ્વર એક સારું કાર્ય લઈને દેશમાં ભ્રમણ કરી રહ્યા છે ત્યારે હિન્દુ ધર્મના વિરોધીઓ વિઘ્ન ઊભું કરી રહ્યા છે. આદિ અનાદિકાળમાં પણ ઋષિમુનિઓ જ્યારે યજ્ઞ કરતા ત્યારે આસુરી તત્ત્વો તેમાં હાડકા નાખી વિઘ્ન ઉભું કરતા હતા. આવા કોઈ પ્રકારના વિઘ્નથી એક પણ હિન્દુ ડરશે નહીં તેની મને ખાતરી છે.

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હિન્દુ ધર્મના ઉત્થાન માટે જ્યારે રાજકોટમાં બાગેશ્વર બાબાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે રાજકોટની પ્રજા તેમના પર ન્યોછાવર થવાની છે તેની મને ખાતરી છે . ભારતીય જનતા પક્ષ પણ ખુલ્લેઆમ આ કાર્યક્રમને ટેકો આપી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની સફળતા અંગે મને કોઈ શંકા નથી. આ કાર્યક્રમ માટે જે પણ સહયોગની જરૂર પડશે તે માટે અમો વ્યવસ્થા માં સહભાગી થઈશું.બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય અને શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઈ દોશીએ કહ્યું હતું કે બાગેશ્વર બાબાના દિવ્ય દરબારના કાર્યક્રમથી રાજકોટમાં ઇતિહાસ રચવાનો છે અને લોકો સ્વયંભૂ રીતે આ કાર્યક્રમમાં સામેલ થવાના છે.

આ પ્રસંગે સાધ્વી રાધાજીએ પણ હિન્દુ ધર્મના ઉત્થાન માટે ભક્તિ, સમર્પણ ,સમય અને એકતા એમ ચાર બાબતોની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને જીનીયસ સ્કૂલના ચેરમેન ડીવી મહેતાએ પણ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જુનાગઢ આશ્રમના પૂજ્ય ભારતીબાપુ ઉપરાંત નેહલભાઈ શુક્લ  શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,  હરીશભાઈ લાખાણી, ઘનશ્યામભાઈ હેરભા, કિશોરભાઈ ખંભાયતા, મુરલીભાઇ દવે,નંદલાલભાઈ માંડવીયા, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઈ દોશીનું સમગ્ર કમિટી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ બાગેશ્વર ધામ સેવા સમિતિના આયોજક છે અને હવે તેમને ભાજપના સંગઠનની જવાબદારી મળી છે ત્યારે સૌએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.

બાગેશ્વર ધામ સેવા સમિતિના મુખ્ય આયોજક યોગીનભાઈ છનિયારા,  ભરતભાઈ દોશી , સુજીતભાઈ ઉદાણી , વિજયભાઈ વાંક, મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા ,  કાંતિભાઈ ઘેટીયા , જયદેવસિંહ જાડેજા , ચંદુભા પરમાર, ધીરુભાઈ ડોડીયા,  રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) ,  કાંતિભાઈ ભૂત, કાંતિભાઈ ઘેટિયા, શાંતુભાઈ રૂપારેલીયા, શૈલેષભાઇ જાની, હર્ષિતભાઈ કાવર ,   સહિતના નાના-મોટા સેકડો આગેવાનો અને કાર્યકરો બાગેશ્વર બાબાના કાર્યક્રમની સફળતા માટે તન મન અને ધનથી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.