Abtak Media Google News

ગુજરાતી રંગભૂમિ પર કામ કરતા અનેક કલાકાર, કસબીઓ માત્ર રંગભૂમિ પર જ નિર્ભર રહેતા હોય છે. ‘લોકડાઉન’માં તેની મુશ્કેલીમાં વધારો થયો છે

નાટ્યગૃહની ત્રીજી ઘંટડી સંભાળશે…?!!

૧૩મી માર્ચ ૨૦૨૦, મહારાષ્ટ્ર સરકારે “કોરોના” મહામારીને કારણે સાવધાની રૂપે એક ફરમાન જાહેર કર્યું અને એ પ્રમાણે સિનેમા હોલ અને નાટ્યગૃહોને તાળા મારવામાં આવ્યા અને શરૂમાં એવું લાગયું કે આ માત્ર ૧૭ દિવસની કવાયત રહેશે. ઘણા નાટ્યપ્રયોગો રદ્દ થયા અને જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા એક દહેશત એવી ફેલાઈ કે “કદાચ આ લાબું ચાલશે તો..?? અમુક નાટ્ય નિર્માતાઓએ સાવચેતી રૂપે પોતાના નેપથ્યના કલાકારોને થોડીક આર્થિક મદદ પણ કરી કારણ એમના સૌનું ગુજરાન રંગભૂમિ પર જ નિર્ભર હતું.

સ્વાભાવિક છે કારણ ગુજરાતી રંગભૂમિ પર કામ કરતા અનેક કલાકારો અને કસબીઓ માત્ર અને માત્ર રંગભૂમિ પર જ નિર્ભર રહેતા હોય છે એનું કારણ છે કે જે નાટકને દર્શકો વધાવી લેતા હોય છે એના ન માત્ર રવિવારે પણ આડા દિવસે પણ પ્રાયોજિત પ્રયોગો થતાં હોય છે અને ઘણાંના તો બપોર કે સવારના પણ મહિલા મંડળોના પ્રયોગો રહેતા હોય છે. ગુજરાતી નાટકોના પ્રયોગો આડા દિવસે, આડે સમયે પણ રહેતા હોય છે જેને કારણે એ કલાકારો – કસબીઓ અન્ય કામ નથી કરી શકતા અને આવક માટે પૂર્ણત: રંગભૂમિ પર જ નભતા હોય છે.

અચાનક ૧૭ દિવસના પ્રયોગો (પછી એ મુંબઈ હોય કે મુંબઈની બહાર) રદ્દ થતાં એક અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું અને એક અંદાજ પ્રમાણે સરેરાશ ૧૫ થી ૧૮ નાટકોના જાહેર તેમ જ પ્રાયોજિત પ્રયોગો પર સીધી અસર થઇ અને દરેક નાટકમાં ૨૫ થી ૩૦ માણસોની ટિમ સમજી લઈએ તો ૪૫૦ થી ૫૦૦ કલાકારો કસબીઓ રાતો રાત ૧૭ દિવસ માટે ઘરભેગા થઇ ગયા અને સાથોસાથ એમના કુટુંબીઓ પણ – હવે દરેક ઘરમાં ૪ માણસો ગણીએ તો લગભગ ૨૦૦૦ જેટલા વ્યક્તિઓને આ ૧૭ દિવસનું લોક ડાઉન ભારે પડે એમ હતું.

પણ જેમ આગળ કહયું એ પ્રમાણે અમુક નિર્માતાઓએ પોતાના કસબીઓને આર્થિક રૂપે અમુક શોઝના મહેનતાણા એડવાન્સ પેઠે આપ્યા અને છેવટે જેનો ડર હતો એ જ થયું. સરકારે ૧૪ એપ્રિલ સુધીનું લોક ડાઉન જાહેર કર્યું અને ગુજરાતી રંગભૂમિ ખળભળી ઉઠી – ખાસ કરીને નેપથ્યના નાના કસબીઓ જેવાં કે નાટકની નાની મોટી પ્રોપર્ટી સંભાળનાર, મેક અપમેન, લાઈટ અને સંગીત ઓપરેટર, બુકિંગ ક્લાર્ક જેઓ સંપૂર્ણ રીતે નાટકના પ્રયોગો પર આધાર રાખતા હોય છે.

Img 20200419 Wa0213

ગુજરાતી નાટકોના નવયુવાન લેખક વિનોદ સરવૈયાએ ૧૬ – ૧૭ વર્ષમાં ૫૭ નાટકો લખ્યા છે એવા વિનોદ સરવૈયાને વોટસએપ અપ્પ ગ્રુપ શરુ કર્યું રંગભૂમિના માંધાનતાઓને લઈને અને એમાં જોડાયા સંજય ગોરડિયા, કૌસ્તુભ ત્રિવેદી, રાજેન્દ્ર બુટાલા, સિદ્ધાર્થ રાંદેરિયા, ભરત નારાયણદાસ ઠક્કર, કમલેશ મોતા અને આ વિનોદી માણસે સૌને ગંભીરતાપૂર્વક જાગૃત કર્યા કે આ નાના નાના કસબીઓ વિષે શું?

બધા વિનોદ સરવૈયાની વાત સાથે સહમત થયા કે અત્યારે તો અમુક નિર્માતાઓએ પોતાના કસબીઓને તત્પુર્તી આર્થિક સહાય કરી છે પણ હવે જો લાંબુ ચાલવાનું હોય તો નિર્માતા પોતે કેટલું ખમી શકશે…???!!!! અને નક્કી થયું કે એક ‘કોરોના રાહત ફંડ’ ભેગું કરવામાં આવે અને આ ‘નાના કસબીઓ’ને સહાય કરવી જોઈએ – સાથે એ પણ જાણ હતી કે ઘણા કસબીઓ સામે ચાલીને હાથ નહિ ફેલાવે તો એમના બેન્કની વિગત લઇ ચૂપ ચાપ એમના એકાઉન્ટમાં એક રકમ જમા કરવી જોઈએ.

પહેલા ચરણમાં ફંડ ભેગું કરવાની, બીજા ચરણમાં દરેક નિર્માતાઓ પાસેથી એમના નેપથ્યના કલાકારોની વિગત ભેગી કરવી, ત્રીજા ચરણમાં જરૂરતમંદો પાસેથી એમની બેન્કની વિગતો અને ચોથા-છેલ્લા ચરણમાં રકમની બરાબર વહેંચણી કરવી તેવુ નક્કી કરાયું. સાથો સાથ વિનોદે શરુ કરેલા વોટ્સએપ ગ્રુપમાં ધીરે ધીરે બીજા નિર્માતાઓને પણ જોડવામાં આવ્યા – નિમેષ શાહ, વિપુલ મહેતા, આશિષ ત્રિવેદી, આસિફ પટેલ, ચેતન ગાંધી, કિરણ ભટ્ટ, જતન ભટ્ટ, કિરણ માલવણકર, ચિત્રક શાહ, અમી ત્રિવેદી, સંગીતા જોશી, તેજસ ગોહિલ, ઉમેશ શુક્લ, નિમેષ દિલીપરાય, વિશાલ ગોરડિયા સૌ એક પછી એક આ ચળવળમાં જોડાતા ગયા.

Ss

તારીખ ૨૮મી માર્ચે વોટ્સએપ પર ફંડ ઉઘરાવતો સંદેશ સમગ્ર ગુજરાતી રંગકર્મીઓ વચ્ચે બાબુલ ભાવસાર દ્વારા વહેતો  કરવામાં આવ્યો અને એનો પ્રતિસાદ પણ તરત જ મળવા લાગ્યો. ગુજરાતી રંગભૂમિ સાથે સીધી કે આડકર્તરી રીતે સંકળાયેલા દરેકે યથા યોગ્ય દાન કર્યું. સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ દ્વારા પણ ઘણા પ્રેક્ષકોને આ ફંડ વિષે જાણ થઇ અને સૌએ ખુલ્લા હૃદયે દાન કર્યું – આનંદની વાત તો એ હતી કે યોગદાનમાં નાનામાં નાના કલાકારથી લઈને નામાંકિત કલાકારો હોંશે હોંશે પોતાનું યોગદાન આપી રહ્યા હતા – નાટકના પ્રયોગના પ્રાયોજિત શો કરનાર મંડળ પણ સામે ચાલીને આમ સહભાગી થવા લાગ્યા હતા.

એક વાતની ખાસ નોંધ લેવા જેવી છે અને તે એ કે અમુક કસબીઓ જે આર્થિક રીતે પગભર હતા એમણે આભાર માનતા સામેથી સહાય લેવાની ના પાડી* અને કહયું કે જરૂરિયાતમંદોને વહેંચી દેજો – એ કસબીઓ પ્રતિ ખરેખર માન થઇ આવ્યું –  લગભગ ૧૫૦ – ૧૭૦ જણાનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. એપ્રિલના પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહની શરુમાં ભરત નારાયણદાસ ઠક્કરે વહેંચણીની શરૂઆત પણ કરી દીધી અને સૌ પ્રથમ શરૂઆત કરી નાટકના જાહેર પ્રયોગની ટિકિટબારી પર બેસતા બુકિંગ ક્લાર્કોથી.

ત્યાર બાદ વારો આવ્યો નેપથ્યના એ કલાકારો જે પ્રયોગ પહેલા, પ્રયોગ દરમ્યાન અને પ્રયોગ પૂરો થયા બાદ પણ કામ કરતા હોય છે એવા નેપથ્યના મદદગારો. ૧૧મી એપ્રિલે મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું કે મુંબઈમાં લોક ડાઉન ૩૦ એપ્રિલ સુધી રહેશે અને ત્યાર બાદ કેન્દ્ર સરકારે પણ ૧૪મી એપ્રિલે જાહેર કર્યું કે ૩જી મે સુધી લોક ડાઉન રહેશે પણ ૨૦ એપ્રિલથી થોડીક રાહત જરૂર મળશે પણ ગુજરાતી રંગભૂમિના દ્વાર કદાચ જૂન જુલાઈ મહિનામાં જ વરસાદના આગમન બાદ ઉઘડશે કે એ પહેલા…?? નાટ્ય ગૃહની ત્રીજી ઘંટડી સાંભળવા, કદરદાન પ્રેક્ષકોની વાહ વાહ અને તાળીઓનો ગડગડાટ, વન્સમોરની પોકાર સાંભળવા, નાટકની સમાપ્તિ પર વખતે પ્રેક્ષકો દ્વારા સન્માનિત થવા સૌ કલાકારો આતુર છે. સૌને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે સરકાર દ્વાર તો ઉઘાડી આપશે, કલાકારો થનગનતા તખ્તા પર પહોંચી પણ જશે..! પણ, શું પ્રેક્ષકો એ દ્વાર સુધી આવશે …?????

નાટક હોય કે ફિલ્મ…. મનોરંજન મેળવવા, શિસ્તબદ્ધ રીતે આવતું એક ટોળું જેને આપણે ઓડીયન્સ કહીએ છીએ. પણ આજની પરિસ્થિતિ પ્રમાણે, એ લોકોને ફરી ટોળે વળવા એમનામાં ઘર કરી ગયેલા ડરને બહાર કેમ કાઢશું ??? આ એક યક્ષપ્રશ્ન છે. થીયેટરમાં ફક્ત અને ફક્ત ટોળાશાહીનો વિજય થતો હોય છે. કેમ કે હાઉસફૂલનું પાટીયું થીયેટરની અંદર દરેકે દરેક સીટ ભરેલી છે એ ચકાસ્યા બાદ લાગતું હોય છે. પ્રેક્ષકોને કોરાન્ટાઇન કરીને ફિલ્મ પરદે દેખાડી શકાશે પણ ત્રાંસી નજર કરી જયારે નાટકનો કલાકાર એકલદોકલ અને છુટાછવાયા બેસી નાટક માણી રહેલા પ્રેક્ષકને જોશે, તો એને પોતાના કોમેડી પંચ પર ડર લાગવા લાગશે…… ટોળાને વિખેરવા અશ્રુવાયુનો પ્રયોગ થતો હોય છે પણ પ્રેક્ષકોને ફરી ટોળે વળવા આજે નટરાજે ખુદ એકવાર રડવું પડશે. (અફકોર્સ આપણી અંદર રહેલા નટરાજે) – લેખક વિનોદ સરવૈયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.