Abtak Media Google News

શરદી-ઉધરસના 345, સામાન્ય તાવના 53, ઝાડા-ઉલ્ટીના 72 અને મેલેરિયાના બે કેસ નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 517 આસામીઓને નોટિસ

સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ચાર દિવસ કાતિલ ઠંડી પડે છે તો પછી ઉનાળા જેવા આકરા તાપના અહેસાસ થાય છે. વાતાવરણમાં પલટાના કારણે શહેરમાં સિઝનલ રોગચાળાએ પણ માથું ઉંચક્યુ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. મચ્છરોની ઉત્પતિ સબબ 517 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે મેલેરિયાના નવા બે કેસ નોંધાયા છે.

આ ઉપરાંત શરદી-ઉધરસના 345 કેસ, સામાન્ય તાવના 53 કેસ અને ઝાડા-ઉલ્ટીના 72 કેસ મળી આવ્યા છે.

રોગચાળાની અટકાયત માટે 16,664 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. 806 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 586 બિન રહેણાંક મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત મચ્છરોનો ઉપદ્રવ જણાતા 84 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. જ્યારે રહેણાંક વિસ્તારમાં ચેકીંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ જણાતા 433 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.