Abtak Media Google News

ભારતમાં યોજાનારા આઇઓસી 2023 સત્ર પૂર્વે ઓરિસામાં આજે શરૂ કરાયો ઓલિમ્પિક્સનાં મૂલ્યો પર આધારિત શિક્ષણ આપવાનો દેશનો પ્રથમ પ્રોગ્રામ

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય  નીતા અંબાણીએ આઇઓસી દ્વારા આજે ઓરિસામાં શરૂ કરાયેલા ભારતના પ્રથમ ’ઓલિમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ’ (ઓવીઈપી)ની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓલિમ્પિક્સ પાછળની મૂળ ભાવનાનું નિર્માણ કરવામાં શિક્ષણ અને ખેલકૂદ એ બન્નેની ભૂમિકા ઓવીઈપીમાં પ્રતિબિંબિત થાય છે.ઓલિમ્પિક્સ પાછળ ઉત્કૃષ્ટતા, આદર અને મૈત્રીની ભાવના રહેલી છે. યુવા વર્ગમાં આ ભાવના લાવવા માટે આઇઓસીએ ઓવીઈપીની રચના કરી છે. બાળકોને ચપળ, તંદુરસ્ત અને જવાબદાર નાગરિક બનાવવામાં મદદ કરવા માટેનો મૂલ્ય આધારિત અભ્યાસક્રમ આ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો પ્રારંભ થઈ રહ્યો છે એ ઘટના ભારતના ઓલિમ્પિક અભિયાનમાં સીમાચિહ્નરૂપ છે. આઇઓસી 2023ના પ્રતિષ્ઠિત સત્રની પાર્શ્વભૂમાં તેનો પ્રારંભ થયો છે.

આ વર્ષના પ્રારંભે  અંબાણીએ વર્ષ 2023માં આઇઓસીના સભ્યોની વાર્ષિક બેઠક (આઇઓસી સત્ર 2023) ભારતમાં યોજાય એ માટેની રજૂઆત કરનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેને પગલે ભારતને 40 વર્ષના ગાળા બાદ પહેલી વાર આ બેઠકનું યજમાનપદ આપવાનો લગભગસર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં આઇઓસીની બેઠકનું આયોજન થવાથી દેશના ખેલકૂદના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાશે.  અંબાણી અનેક ઓલિમ્પિક મૂવમેન્ટ કમિશન્સમાં તથા ઓવીઈપીમાં સક્રિય છે. ઓવીઈપી એ ઓલિમ્પિક શિક્ષણનો ભાગ છે. આ કાર્ય એમને ઘણું પ્રિય છે, કારણ કે તેનાથી બાળકોમાં ઓલિમ્પિક્સનાં મૂલ્યોનું સિંચન થાય છે.

ઓવીઈપીનો પ્રારંભ થયો એ બાબતે હર્ષ વ્યક્ત કરતાં આઇઓસીના સભ્ય શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું હતું,”ભારતમાં ઢગલાબંધ તકો અને અઢળક સંભાવનાઓ છે. આપણી શાળાઓમાં 25 કરોડ કરતાં વધારે બાળકો છે, જેમનામાં ભરપૂર આવડત અને ક્ષમતા છુપાયેલાં છે. તેઓ આપણા દેશનું ભવિષ્ય અને આવતી કાલના વિજેતાઓ છે. વિશ્વમાં ભલે અમુક જ બાળકો ઓલિમ્પિયન બની શકતાં હશે, પરંતુ ઓલિમ્પિક્સની ભાવના દરેક બાળકમાં જાગૃત થવી જોઈએ. ઓવીઈપીની પાછળ આ જ ઉદ્દેશ્ય રખાયો છે. આથી જ ભારતમાં એના વિકાસની ભરપૂર સંભાવના છે. અમે આવતા વર્ષે મુંબઈમાં ઈંઘઈ સત્ર 2023 નું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છીએ, હું અમારા દેશમાં ઓલિમ્પિક ચળવળને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છું.”

ઓરિસાના  મુખ્ય પ્રધાન નવીન પટનાઈક, આઇઓસીના સભ્ય  નીતા અંબાણી, આઇઓસી શિક્ષણ પંચના અધ્યક્ષ માઇકેલા કોજુઆંગકો જાવોરસ્કી, ઓલિમ્પિયન અને આઇઓસી એથ્લીટ્સ કમિશનના સભ્ય અભિનવ બિંદ્રા તથા ઇન્ડિયન ઓલિમ્પિક ઍસોસિયેશનના પ્રમુખ નરીન્દર બત્રાએ ઔપચારિક રીતે ઓવીઈપીનું લોન્ચિંગ કર્યું હતું. ઓરિસાની શાળાકીય શિક્ષણની પ્રણાલીમાં ઓવીઈપીને સંકલિત કરી લેવાશે. આ પ્રોગ્રામ ઓરિસા સરકારના શાળાકીય અને સર્વવ્યાપી શિક્ષણ વિભાગ તથા અભિનવ બિંદ્રા ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ઘડવામાં આવ્યો છે.

ઓવીઈપી-ઓરિસા પ્રોગ્રામ વિશે:ઓવીઈપી આધારિત પ્રોજેક્ટ્સ તથા પ્રવૃત્તિઓ બાળકોનું બેઠાડું જીવન, એકાગ્રતાનો અભાવ તથા કિશોરાવસ્થામાં શાળા છોડી દેવાની સ્થિતિ એ બધી વૈશ્વિક સમસ્યાઓનો હલ લાવવામાં મદદરૂપ થાય છે. તેના હેઠળ હાથ ધરવામાં આવતાં કાર્યો તથા ઊભી કરાતી સામગ્રીને કારણે બાળકો શારીરિક પ્રવૃત્તિઓમાંથી કંઈક શીખવા લાગે છે અને તેને પગલે એમનામાં સામાજિક મેળમિલાપનું, જ્ઞાનગ્રહણનું તથા શારીરિક કૌશલ્ય વધે છે. આ પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં ભુવનેશ્વર અને રૂરકેલામાં 90 શાળાઓનાં 32,000 બાળકોને આવરી લેવાનું આયોજન છે. એ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ આશરે 70 લાખ બાળકોને આવરી લેવામાં આવશે.

આઇઓસીએ શિક્ષણ માટેની વિનામૂલ્ય અને સૌને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એવી સામગ્રી ધરાવતો ઓલિમ્પિક વેલ્યૂઝ એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કર્યો છે. ઓલિમ્પિક્સ પાછળની ભાવના તથા ઓલિમ્પિકની રમતોને અનુલક્ષીને શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે તેનો સમન્વય સાધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.