Abtak Media Google News

Screenshot 3 24 સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા હાશકારો, જગતાત ખેતી કામમાં પરોવાયો: રાજયમાં 47.63 ટકા વરસાદ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મંગળવારથી મેધરાજાનું જોર ઘટી ગયું છે. સતત 18 દિવસ સુધી અનરાધાર વરસાદ પડયા બાદ મેધાએ પોરો ખાતા જગતાતે રાહતનો શ્ર્વાસ લીધો છે.

આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાકમાં રાજયના 104 તાલુકાઓમાં વરસાદ પડયો હતો ભાવનગર જીલ્લાના શિહોર તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજયમાં સરેરાશ 47.63 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આગામી દિવસોમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના જણાય રહી છે. સવારથી ર0 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 18 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મંગળવારથી મેઘરાજાનું જોર ઘટી ગયું છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રર જિલ્લાના 104 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો હતો. મંગળવારે સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ જવા પામ્યું હતું. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. ઉમર પાડામાં ચાર ઇંચ, વાલોદમાં સાડા ત્રણ ઇંચ, ઉમરાળામાં સાડા ત્રણ ઇંચ, કપરાડામાં સવા ત્રણ ઇંચ, બોડેલીમાં 3 ઇંચ, પલસાણામાં ત્રણ ઇંચ, કામરેજમાં અઢી ઇંચ, કવાંટમાં અઢી ઇંચ, બારડોલીમાં અઢી ઇંચ, વ્યારામાં અઢી ઇંચ, કઠવાલમાં અઢી ઇંચ, સોનાગઢમાં અઢી ઇંચ, માંડવીમાં સવા બે ઇંચ, ઓલપાડમાં બે ઇંચ વરસાદ પડયો હતો.

સૌરાષ્ટ્રમાં ભાવનગર જીલ્લાને બાદ કરતા મંગળવારે મોટાભાગના તમામ જિલ્લામાં મેધ વિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સીઝનનો 65.47 ટકા વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 48.61 ટકા, રાજકોટ જિલ્લામાં 71.62 ટકા, મોરબી જિલ્લામાં 52.06 ટકા, જામનગર જિલ્લામાં 60.47 ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60.47 ટકા, પોરબંદર જિલ્લામાં 59.22 ટકા, જુનાગઢ જીલ્લામાં 87.89 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 69.42 ટકા, અમરેલી જિલ્લામાં 57.75 ટકા, ભાવનગર જિલ્લાના 52.38 ટકા અને બોટાદ જિલ્લામાં 63.22 ટકા વરસાદ પડયો છે.

આજ સુધીમાં કચ્છ રિજીયનમાં 112.07 ટકા:, ઉપર ગુજરાતમાં 50.70 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 34.83 ટકા, સૌરાષ્ટ્રમાં 65.47 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 36.59 ટકા વરસાદ પડયો હતો. રાજયમાં સીઝનનો સરેરાશ 47.63 ટકા વરસાદ વરસી ગયો છે.

સતત 18 દિવસ સુધી વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જગતાત ફરી હોંશભેર ખેતી કામમાં પરોવાય ગયો છે.

વરસાદનું જોર ઘટતા જળાશયોમાં પાણીની આવકમાં નોંધાયો ઘટાડો

ભાદર સહિત માત્ર 11 જળાશયોમાં પાણીની આવક

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મંગળવારથી વરસાદનું જોર ઘટયું છે. મેધરાજાએ વિરામ લેતાની સાથે જ જળાશયોમાં પાણીની નવી આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન માત્ર 11 ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. વરાપ નિકળતા ખેડુતો ફરી ખેતી કામમાં પરવાય ગયો છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 11 ડેમમાં પાણીની આવક થવા પામી છે.

રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. 34 ફુટે ઓવર ફલો થતા ભાદરની સપાટી 25.30 ફુટે પહોંચી જવા પામ છે. આ ઉપરાંત આજી-3 ડેમમાં 0.49 ફુટ, ડોંડી ડેમમાં 0.66 ફુટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.89 ફુટ, મચ્છુ-ર ડેમમાં 0.07 ફુટ પાણીની આવક થવા પામી છે.

જામનગર જીલ્લાના પન્ના ડેમમાં 0.26 ફુટ, ડાઇ મીણસારમાં 0.07 ફુટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.36 ફુટ, વર્તુ-1 ડેમમાં 0.98 ફુટ, શેઢા ભાડથરીમાં 0.33 ફુટ, સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.