Abtak Media Google News

એન્ટી હાઈજેકિંગ કાયદા હેઠળ સજા પામનાર પ્રથમ વ્યક્તિનો છુટકારો કરતી હાઇકોર્ટ

વર્ષ 2017માં મુંબઈના એક બિઝનેશમેને ફ્લાઇટ હાઈજેકિંગનું નાટક રચ્યું હતું. જે મામલે એનઆઈએ કોર્ટે આ શખ્સને આજીવન કેદની સજા તેમજ રૂ. 5 કરોડનો દંડ ફટકાર્યો હતો પરંતુ હાઇકોર્ટે સમગ્ર મામલે આ શખ્સનો નિર્દોષ છુટકારો કર્યો છે.

Advertisement

બિરજુ સલ્લા નામના એક બિઝનેશમેને તેની ગર્લફ્રેન્ડને નજીક લાવવા માટે ફ્લાઈટને હાઈજેક કરવાની ધમકી આપી હતી. તે જે પ્લેનમાં બેઠો હતો તેને હાઇજેક કરી પાકિસ્તાનના પીઓકે લઈ જવાની ધમકી આપી હતી. આ ધમકી ટોઇલેટ પેપર પર હિન્દી અને ઉર્દૂમાં લખીને વોશરૂમમાં રાખવામાં આવી હતી. હવે આ ધમકી પત્રના કારણે તે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ પણ કરવું પડ્યું. જે બાદ આરોપીની ઓળખ પણ થઈ હતી. ત્યારબાદ દેશમાં એક નવો અને પ્રથમ વખત નવો એન્ટિ હાઇજેકિંગ એક્ટ-2016 આવ્યો હતો. આ કાયદા હેઠળ આ બિઝનેસમેનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિનો સમગ્ર ભારતમાં પ્રથમવાર નેશનલ નો ફ્લાય લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

એટલે કે તે દેશનો પ્રથમ એવો વ્યક્તિ બન્યો હતો કે જેના પર કોઈપણ વિમાનમાં મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. આ હાઇજેકિંગ વિરોધી કાયદા હેઠળ આજીવન કેદની સજા મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હતો. માત્ર સજા જ નહીં પરંતુ 5 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ રૂપિયા વિમાનના પાયલોટ અને સ્ટાફ તેમજ તમામ 125 મુસાફરોને વળતર તરીકે આપવામાં આવ્યા હતા.

2017માં ધરપકડ અને 2019માં દોષિત જાહેર થયાના ચાર વર્ષ બાદ હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટે આ જ વ્યક્તિને હાઈજેક કેસમાં શંકાસ્પદ પુરાવાના આધારે નિર્દોષ જાહેર કર્યો છે. માત્ર નિર્દોષ જ નહીં, પરંતુ કોર્ટે જે 5 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તે પરત કરવાનો આદેશ પણ આપ્યો છે. જે ફ્લાઈટ સ્ટાફને વળતર આપવામાં આવ્યું હતું તેમની પાસેથી આ પૈસા વસૂલવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

જે બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી હતી અને હાઇજેકિંગ વિરોધી કાયદા હેઠળ સજા કરવામાં આવી હતી તે બિરજુ કિશોર સલ્લા છે. તે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ હતા. 8 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટે મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાને એરક્રાફ્ટના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇજેક વર્ષ 2019 માં, હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે વિશેષ એનઆઈએ કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો જેમાં બિરજુ સલ્લાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ હાઈકોર્ટે તેમની જપ્ત કરેલી સંપત્તિ પરત કરવાનો આદેશ પણ આપ્યો છે. બિરજુ સલ્લા પાસેથી વસૂલવામાં આવેલ 5 કરોડનો દંડ પણ પરત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે વેપારી બિરજુ સલ્લાને શંકાસ્પદ પુરાવાના આધારે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કારણે તેને એરક્રાફ્ટ હાઇજેક કરવા જેવા ગુના માટે દોષિત ઠેરવી શકાય નહીં. 11 જૂન 2019ના રોજ, અમદાવાદની વિશેષ એનઆઈએ કોર્ટે બિરજુ સલ્લાને હાઇજેકિંગ વિરોધી અધિનિયમ-2016 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2016માં સંશોધિત આ નવા કાયદા હેઠળ પહેલીવાર કોઈ વ્યક્તિને આ સજા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.