Abtak Media Google News

અગાઉ પણ ત્રણ વખત કલેકટરના દ્વાર ખખડાવ્યા પરંતુ રહીશોને નિરાશા જ મળી : તંત્રના મૌનથી ભૂમાફિયાઓ બેફામ

મોરબીના બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલ ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેના પ્લોટ પર કબજો જમાવી ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા દબાણ અંગે આજે રહીશોએ ચોથી વખત કલેકટરના દ્વાર ખખડાવ્યા હતા. અગાઉ ત્રણ વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી સોસાયટીના કોમન પ્લોટ ઉપર ભુમાફિયા દ્વારા દબાણ કરી લેવામાં આવતા સોસાયટીના રહીશોના નાના મોટા પ્રસંગો થઈ શકતા ન હોવાનું તેમજ બાળકોને રમવા માટે જગ્યા પણ મળતી ન હોવાનું જણાવાયું હતું.

વધુમાં ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે ભુમાફિયાઓ દ્વારા કારસો ઘડવામાં આવ્યો હોવાનું જણાવી સોસાયટીના રહીશો કે સોસાયટીના બિલ્ડર કે અન્ય કોઈ પ્લોટમાં દબાણ નહિ કરવાનું સમજવા જાય તો પણ ભુમાફિયાઓ દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

રહીશોના જણાવ્યા મુજબ તેઓએ આ ચોથી વખત જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે. અગાઉ ત્રણ વખત રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાના પગલે ભુમાફીયાઓ માટે મેદાન મોકળુ થઈ ગયું છે. હાલ રહીશોએ આ પ્લોટ ખુલ્લો કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.