Abtak Media Google News

સુરત ખાતે આવેલ પાંડેસરાની સેવા વસતીમાં જઈ ભાજપાના સદસ્યતા વૃદ્ધિ અભિયાનની સાથોસાથ વૃક્ષારોપણ કરશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ તથા ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત સંગઠન પર્વના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તારીખ ૨૮ અને ૨૯, જુલાઇ ૨૦૧૯ એમ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલ તારીખ ૨૮ અને ૨૯ જુલાઇના રોજ સુરત ખાતે ભાજપા દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

સદસ્યતા વૃધ્ધિ અભિયાનના રાષ્ટ્રીય સંયોજક અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગામી તારીખ ૨૮ જુલાઇ, ૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે આવશે. ત્યારબાદ સાંજે ૫.૩૦ કલાકે તેઓ સુરત ખાતે આવેલ પાંડેસરાની સેવાવસ્તીમાં જઇ ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાનની સાથે સાથે વૃક્ષારોપણ કરશે.

શિવરાજસિંહ ચૌહાણ સાંજે ૭.૦૦ કલાકે મોઢ વણીક સમાજવાડી, લાલદરવાજા, સુરત શહેર ખાતે પ્રતિષ્ઠિત અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરશે તેમજ સદસ્યતા અભિયાન અંગે માહિતગાર કરશે. આ પ્રસંગે તેઓ જનસંઘના કાર્યકર્તાઓનું સન્માન કરશે.

તારીખ ૨૯, જુલાઇ ૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ કલાકે સુરતના હજીરા સ્થિત ઇચ્છાપોર ખાતે આવેલ હરિકૃષ્ણ એક્ષ્પોર્ટની મુલાકાત લઇ તેના ૪૦૦૦ યુવા કર્મચારીઓ સાથે ભાજપાના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત વાર્તાલાપ કરશે. ત્યારબાદ સવારે ૧૧.૦૦ કલાકે સુરત શહેરના ભાજપા કાર્યાલય ઉધના ખાતે પત્રકાર પરિષદ સંબોધશે તથા દક્ષિણ-મધ્ય ઝોનમાં આવતાં જીલ્લા/શહેરના અગ્રણીઓ તથા ભાજપા આગેવાનો સાથે બેઠક યોજશે.

આ કાર્યક્રમોમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવભાઈ ભટ્ટ, પૂર્વ ગૃહમંત્રી અને સંગઠન પર્વના સહસંયોજક રજનીભાઇ પટેલ સહિત ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.