Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝુંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી.કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આરટીઆઈની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદાઓની ચર્ચા કરી જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સુચના આપી હતી.

આ બેઠકમાં લોકસભા સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી તથા ઋત્વિકભાઈ મકવાણા દ્વારા રોડ-રસ્તા, પાક વિમા, જિલ્લા ઉધોગ કેન્દ્ર હસ્તકની વિવિધ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવતી લોન, મનરેગા હેઠળ થયેલ કામો વગેરે પ્રશ્ર્નોનો સત્વરે નિકાલ કરવા જે તે વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક દિપક મેઘાણી, નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, નાયબ વન સંરક્ષક એ.એમ.પરમાર, પ્રોબેશ્નરી આઈ.એ.એસ. સ્વપ્નીલ ખરે, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.