Abtak Media Google News

વીમા કંપનીઓ દ્વારા ખેડુતો સાથે મશ્કરી કે છેતરપિંડી…?

ખેડૂતોને નાનુ એવું તણખલુ આપે તો પણ પહાડ જેવી જાહેરાતો કરવામાં પાવરધી સરકાર પાક વીમા બાબતે કેમ મૌન: આંબલીયા

આ અંગે  તાત્કાલીક યોગ્ય ચોખવટ નહીં થાય તો ફરી અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી

પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડુતોને 2019ના ખરીફ પાક વીમાના રૂપિયા ખેડુતોના ખાતામાં જમા થઇ રહ્યા હોવાના વીમા કંપનીઓના તેમજ બેંકના મેસેજ આવતા ખેડુતો અસમંજસમાં પડયા હોય આ બાબતે સરકાર દ્વારા વિસ્તૃત છણાવટ સાથે સ્પષ્ટતા કરવા ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયાએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી છે.

આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા આંબલીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ અઠવાડીયાથી રાજયના અલગ અલગ જિલ્લાઓના ખેડુતોને જુદી જુદી વીમા કંપનીઓ મેસેજ કરી જણાવી રહી છે કે, 2019ના પાક વીમાના રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવ્યા છે. અને બાકીની રકમ સરકાર આપશે ત્યારે તમારા ખાતામાં જમા કરવામાં આવશે. તેઓએ આશ્ર્ચર્ય સાથે એમ પણ જણાવ્યું કે ઘણા એવા ખેડુતો છે જેને મેસેજ આવ્યા પછી બેંકમાં તપાસ કરતા ત્યાં આ રકમ જમા ન થઇ હોઇ…? તો આ રકમ હવે કયારે જમા થશે..?

ખેર…. જે ખેડુતના ખાતામાં પાક વિમાની અમુક રકમ જમા થઇ તે સારી વાત છે પરંતુ આ  પાક વિમો કયા વર્ષનો છે ? કયા પાક માટે છે? કયા કયા તાલુકાઓમાં મંજુર થયો? કેટલા ટકા મંંજુર થયો? કયા કયા તાલુકાઓમાં મંજુર થયો? કેટલા ટકા મંજુર થયો? પાક વિમો આંશિક છે. કે પુરો અને આંશિક છે તો પુરો કેમ નહિં? વગેરે અઢાર જેટલા મુદ્દાઓની સ્પષ્ટતા સરકારે કરવી જોઇએ.

તેઓએ એમ પણ કહ્યું હતું કે, મેસેજમાં અમુક ખેડુતોને પાક વિમાની પ0  ટકા રકમ અપાઇ છે. જયારે એક ખેડુતને તો તેના ખાતામાં માત્ર ર00 રૂપિયા પાક વિમા પેટે કંપનીએ જમા કરી ધરતી પુત્રની મશ્કરી કરી કે શું? એ મુદ્દો પણ ચર્ચાઇ રહ્યો છે.

અગત્યનો મુદ્દો તો એ છે કે વીમા કંપની એમ કહે છે કે, સરકાર દ્વારા ખેડુતોને આપવાની થતી પાક વિમાની રકમ સરકાર આપતી નથી..! શું સરકાર ખેડુતોને પાક વિમાની રકમ મળે તેવું ઇચ્છતી નથી?

ખેડુતોના પાક વિમા અંગે વિસ્તૃત પ્રકાશ પાડતા આંબલીએ એમ પણ કહ્યું હતું કે, રાજય સરકાર કેટલી ખેડુત લક્ષી છે તે આ પરથી સમજાય છે ખેડુતોનો 2019નો મંજુર થયેલો પાક વિમો કંપનીઓ પાસેથી તેમના કાન પકડીને એજ વર્ષમાં ખેડુતોને આપવો જોઇએ પણ સરકાર કંપનીઓને છાવરતી રહી ખેડુતોને ગુજરાત હાઇકોર્ટમાં જવાની ફરજ પડી. હાઇકોર્ટે સરકાર અને પાક વીમો કંપનીઓને ફટકાર લગાવી પછી ખેડુતોના ખાતામાં પાક વિમામાં કં5નીઓ રૂપિયા આપે છે પણ સરકારે જે હિસ્સો આપવાનો હતો એ હજુ ખેડુતોને મળતો નથી. તો શું ખેડુતોએ રાજય સરકારના હિસ્સા માટે ફરીથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડશે??

આવા અનેક પ્રશ્ર્નો અત્યારે ખેડુતોના મનમાં ઉભ થઇ રહ્યા છે છેલ્લા અઠવાડીયામાં મને વ્યકિતગત ફોન મેસેજ કે સોશિઅલ મીડીયા દ્વારા હજારો ખેડુતો પૂછી રહ્યા છે કે આ પાક વિમા બાબતે રાજય સરકાર સ્પષ્ટતા શા માટે નથી કરી રહી? સામાન્ય રીતે તો ખેડુતોને નાનું એવું તણખલું આપે તો પણ એને પહાડ ગણાવી પ્રેસ કોફરન્સ કરી મોટી મોટી જાહેરાતો કરવામાં પાવરધી સરકાર આ પાક વિમા બાબતે શા માટે મૌન છે.

જો પાક વિમા કંપનીઓએ રાજય સરકારને બદનામ કરવા આવા મેસેજ કર્યા હોય તો રાજય સરકારે પાક વિમા કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ અને ખેડુતોને તાત્કાલીક પાક વિમા આપવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.