Abtak Media Google News

કચ્છના સફેદ રણમાં રણોત્સવ ૨૦૧૯ને ખુલ્લો મુકતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

કચ્છની ધરા પર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉજવાઇ રહેલા રણોત્સવ – ૨૦૧૯નો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ શુદ્ધ ગુજરાતીમાં તેમના વક્તવ્યનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પર્યટનના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અભિનંદનીય છે.દેશ દુનિયામાં પોતાની આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતના આ સફેદ રણમાં પ્રતિવર્ષ યોજાતા રણ ઉત્સવ કાર્યક્રમમાં માત્ર કચ્છની સંસ્કૃતિ જ નહીં, પરંતુ ગુજરાતની લોકકલાની સાથે ગુજરાતની સંસ્કૃતિની પણ ઝાંખી થાય છે.

Img 20191216 Wa0126

તેમણે ઉમેર્યું હતું કે, કચ્છનું રણ  એ સંસ્કૃતિ, સંસ્કારો શિલ્પ – કળા અને પ્રકૃતિ સૌંદર્યનો અનોખો સંગમ છે. રણ ઉત્સવ એ આ વિસ્તારના સામાજિક – આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની જન્મ – કર્મ ભૂમિ રહ્યું છે. આ ભૂમિ એ સાચા અર્થમાં તીર્થભૂમિ છે.

તેમણે ગુજરાતની ભૂમિ ઉપર નિર્માણ પામેલ સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ જેવા સ્મારકોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ગુજરાતની ધરા ઉપર આવેલા ઐતિહાસિક સ્મારકો એ સાચા અર્થમાં આઝાદીની લડતમાં સહભાગી બનેલા મહાનુભાવોના યોગદાનની પ્રતીતિ કરાવે છે.

Img 20191216 Wa0117

ઉપરાષ્ટ્રપતિએ કચ્છની સફેદ ધરા ઉપર ઉજવાઇ રહેલા રણોત્સવમાં કચ્છની કલા સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, આ વિસ્તારને પ્રવાસનના નકશા ઉપર મૂકવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અથાક પ્રયાસો કર્યા છે. જેની પ્રતીતિ મને આજે અહીં આવીને થઈ રહી છે.

માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવરૂપ આ સફેદ રણને નિહાળવા આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાંથી પર્યટકો આવી રહ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.તેમણે કચ્છના રણને અડીને આવેલ સરહદ ઉપર ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોનો ઉલ્લેખ કરી, પ્રતિવર્ષ યોજાતા રણોત્સવના કાર્યક્રમમાં બીએસએફના જવાનોને પણ સહભાગી બનાવવા જણાવ્યું હતું.

ઉપરાષ્ટ્રપતિએ આ તકે રણોત્સવના માધ્યમથી લોકતંત્ર અને વિકાસની ધારામાં સ્થાનીય લોકોને સહભાગી બનાવી આ ભૂમિને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Img 20191216 Wa0124

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કચ્છનું સફેદ રણ એ આજે દુનિયાનું પ્રવાસનનું અમૂલ્ય ઘરેણું બન્યું છે. આ રણને, અહીંની સંસ્કૃતિ – અસ્મિતાને દેશ દુનિયા સમક્ષ ઉજાગર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ હાથ ધરેલા પ્રયાસોના પરિણામે આજે કચ્છનું સફેદ રણ એ દુનિયાના પ્રવાસન ધામમાં શિરમોર બન્યું છે. રણોત્સવના કારણે ગુજરાતમાં પ્રવાસનને વેગ મળ્યો છે, સાથો – સાથ આ વિસ્તારની આસપાસ વસતા ગ્રામ્ય કારીગરોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સરકારના પ્રવાસનને વેગ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસોના કારણે આજે ગુજરાતની સંસ્કૃતિથી દેશ – દુનિયાના લોકો વાકેફ થયા છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, કચ્છમાં પ્રતિવર્ષ યોજાતા રણોત્સવ એ આ વિસ્તારના વિકાસના દ્વાર ખોલ્યા છે, આ રણોત્સવમાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી છે.

આ પ્રસંગે પનઘટ કલા કેન્દ્ર –  ગાંધીનગર દ્વારા સંકલિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છી ગજીયો રાસ સહિતની કચ્છની સંસ્કૃતિની સાથે ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન કરાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભાવનગર, નડિયાદ, ડાંગ, પોરબંદર અને ગાંધીનગરના ૧૦૦ થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. આ તકે ગુજરાતના જાણીતા સંગીતકાર શ્યામલ – સૌમિલ અને આરતી મુનશીએ કચ્છની ધરા, સફેદ રણ અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા પર્યટન ગીતને લોન્ચ કર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, સામાજિક – શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઇ આહીર, આ પ્રવાસન વિભાગના સચિવ મતી મમતા વર્મા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વહીવટી સંચાલક જેનુ દેવાન, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, રેન્જ આઈ.જી.  સુભાષ ત્રિવેદી, જિલ્લા કલેકટર  એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ એસ.પી  સૌરભ તૌલંબિયા સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.