Abtak Media Google News

શિક્ષણ જગત થયું શર્મસાર

શાળાના સંસ્થાપકો અને શિક્ષકો દ્વારા કુમળીવયની દીકરીઓ સાથે કરાય છે આવું અધમ કૃત્ય

હળવદ તાલુકાના ભલગામમાં આવેલ ઘનશ્યામ વિદ્યામંદિર નામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે આ શાળાના જ સંસ્થાપકો અને શિક્ષકો દ્વારા શારીરિક અડપલા કરતા હોવાનો એક શર્મનાક બનાવ સામે આવ્યો છે. હાલ આ ચકચારી અને એકદમ નિંદનીય બનાવ અંગે સામાજિક કાર્યકરો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી આ ઘટનામાં હળવદ તાલુકાના ભલગામમાં સરા ચોકડી પાસે આવેલ ઘનશ્યામ વિદ્યામંદીર શાળામાં એકદમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ શાળાના લંપટ અને નરાધમ શિક્ષકો દ્વારા શાળામાં આવતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરી તેનું જાતીય શોષણ કરવામાં આવતા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ભોગ બનનાર વિદ્યાર્થીનીઓના વાલીને સાથે રાખી સામાજિક કાર્યકર એવા મુળજીભાઈ સોલંકી, ગૌતમભાઈ મકવાણા અને હળવદ અનુસૂચિત જાતિના પ્રમુખ જગદીશભાઈ દ્વારા આ ચકચારી બનાવની પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

વધુમાં સામાજિક કાર્યકર મુળજીભાઈ સોલંકી દ્વારા જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો દ્વારા કુમળી વયની દીકરીયું સાથે આવી રીતના બનાવો થતા હોય તો ભોગ બનનારને ન્યાય અપાવવા આગળ આવવું જોઈએ અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના ઉજાગર કરી આવા અધમ કૃત્યો કરતા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.