Abtak Media Google News

મુખ્યમંત્રી રેડીએ એક વર્ષમાં ૯૦ ટકા વચનો પૂર્ણ કર્યા

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આજે સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા પરિમલ નથવાણી અગાઉ દિલ્હીની યાત્રા કરવા અસમર્થ હોવાથી તેઓ તેમની સાથે ચૂંટાયેલા સભ્યોની સાથે શપથ ગ્રહણ કરી શક્યા ન હતા.

Advertisement

ઝારખંડથી ૨૦૦૮ અને ૨૦૧૪ એમ સતત બે ટર્મ સુધી રાજ્યસભામાં ચૂંટાયેલા પરિમલ નથવાણી ત્રીજી ટર્મ માટે જૂન ૧૯,૨૦૨૦ના રોજ આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.

આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલહું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ ૯૦ ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે. અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે,એમ નથવાણીએ દિલ્હીમાં શપથ ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હજુ ગયા સપ્તાહે ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ ડિપાર્ટમેન્ટ દ્વારા આંધ્રપ્રદેશને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. સોમવારે મુખ્યમંત્રીએ વાય.એસ.આર. સંપૂર્ણ પોષણ યોજનાનો પ્રારંભ કર્યો, જે અંતર્ગત ૩૦ લાખ લાભાર્થીઓને ફોર્ટીફાઇડ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવશે. ઓગષ્ટમાં, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં ભારતના ટોચના ૧૦ સ્વચ્છ શહેરો (૧૦ લાખથી વધારે વસતિ ધરાવતાં શહેરો)ની યાદીમાં વિજયવાડા અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થયો. છેલ્લાં એક વર્ષમાં મુખ્યમંત્રીએ મેળવેલી સિધ્ધિઓ અને લોક કલ્યાણ યોજનાઓની આ માત્ર એક ઝાંખી છે.

આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા ૧૨ વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ, એમ તેમણે જણાવ્યું હતું.

પરિમલ નથવાણી આંધ્રપ્રદેશ થી રાજ્યસભા સાંસદ છે અને અગાઉ તેમણે ૨૦૦૮ થી ૨૦૨૦ સુધી સતત બે ટર્મ ઝારખંડનું પ્રતિનિધત્વ કર્યું હતું. નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ આર.આઇ.એલ.ના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ છે અને રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત દેશના પશ્ચિમી રાજ્યોમાં રિલાયન્સ પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ, રિટેલ વ્યવસાય, ગેસ પરિવહન પાઇપલાઇન અને જિયો મોબાઇલ નેટવર્ક સહિતના માળખાકિય પ્રોજેક્ટના અમલીકરણ માં પણ અહમ ભૂમિકા ભજવી હતી.  તેમને તેમના યુવાનીના દિવસોથી જ જાહેર જીવનમાં રસ હતો અને સૌરાષ્ટ્રના સાંસદો સાથે તેઓ જોડાયેલા હતા અને એક વખત તો જામ ખંભાળિયામાંથી વિધાનસભાની ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો હતો. લોકોના પ્રશ્નોને વિવિધ ફોરમ પર ઉઠાવવા જાહેર જીવનમાં સતત પ્રયત્નશીલ રહેવાને કારણે તેમને વોઇસ ઓફ સૌરાષ્ટ્ર (સૌરાષ્ટ્રનો અવાજ) તરીકે ઓળખવામાં આવતા હતા.

ગુજરાત સરકારના બિઝનેસ ડેલિગેશનના સભ્ય તરીકે તેમણે ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરીયા, સ્વીટ્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ટ્રાખાન, વગેરે સહિત એક ડઝનથી વધારે દેશોની મુલાકાત લીધી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો હતો. આ પ્રવાસોથી તેમને ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે વિચારોના આદાન-પ્રદાનની તક મળી હતી.

થોડા સમય પહેલાં સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જી.સી.એ.)ના ઉપ-પ્રમુખ પદે રહેલા પરિમલ નથવાણીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજન સ્થળ તરીકે ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, અમદાવાદનું સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું.  તેઓ લગભગ ૧૫ વર્ષ સુધી ગુજરાતમાં આવેલા દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યાં હતા. તેમણે રિલાયન્સ વતીથી ગુજરાત સરકારની સાથે મળીને પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં સહભાગી બન્યા હતા અને વેગ આપ્યો હતો. દ્વારકા ગુજરાતનું એકમાત્ર શહેર છે જેનો સમાવેશ પ્રાચીન ધર્મ સનાતન ધર્મના ચારધામ અને સપ્તપુરી યાત્રાધામ એમ બંનેમાં થાય છે.

તેઓ નાથદ્વારા ટેમ્પલ બોર્ડના સભ્ય તરીકે નવ વર્ષ કરતાં વધારે સમયથી સેવા આપે છે. આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટી માર્ગી શ્રીનાથજી સંપ્રદાયની સર્વોચ્ચ વ્યવસ્થાપન સંસ્થા છે.

ગીર લાયન: પ્રાઇડ ઓફ ગુજરાત અને ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી) આ બે પુસ્તકો નથવાણીની ક્ષમતાઓના પુરાવા છે. ઝારખંડમાં તેમણે આપેલા પ્રદાન અંગેનું વધુ એક પુસ્તક એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, રાંચી દ્વારા ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.