Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.

Advertisement

Vlcsnap 2020 05 08 11H53M55S564

એડવાન્સ લીમીટેડ પ્રા.લી.ના અનિલભાઈ ભોરાણીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સરકારના નિયમો મુજબ શ્રમિકોને લોકડાઉનમાં પગાર ચુકવીને જમવાની વ્યવસ્થા કરી આપી છે. જયારે કારખાનાઓ શરૂ થયા ત્યારે સરકાર દ્વારા શ્રમિકોને વતન જવાની છુટ આપવામાં આવી છે.

જેથી શ્રમિકો વતન જતા રહેશે તો ઉધોગોમાં કામ નહીં થવાથી રેવન્યુ જનરેટ નહીં થાય. દેશભરમાં દુકાનો તેમજ ટ્રાન્સપોર્ટ શરૂ નહીં થાય તો ઉધોગો શરૂ થયા છે તે ૧૫ દિવસમાં બંધ થઈ જશે. અમારી પ્રોડકટ ડાયરેકટ ફેકટરીમાંથી સેલ થતી નથી માટે રીટેઈલ કાઉન્ટર ચાલુ થવા જરૂરી છે. મોટાભાગનાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી ઉધોગોને તકલીફ પડવાની છે. ટ્રાન્સપોર્ટેશનની છુટ છે તે ભાડા વધારે વસુલે છે. હાલ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલા સમયથી એક પણ રૂપિયાની આવક થઈ નથી છતાં તે ઉધોગોએ બેન્કોને વ્યાજ આપ્યા છે તો બેન્કોને હવે વ્યાજ માફી આપવી જોઈએ. ગર્વમેન્ટ ઉધોગોને સહકારરૂપ બને તે જરૂરી છે. જો તમામ ટ્રાન્સપોર્ટેશન ચાલુ નહીં થાય તો પણ ઉધોગો વધારે દિવસો ચાલુ રહી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.