Abtak Media Google News

વંથલી તાલુકામાં સૌથી વધુ ૧૩૫૦ હેકટરમાં વાવેતર

જૂનાગઢ જિલ્લામાં ૩૦૮૦ હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થઈ ગયું છે. વંથલી તાલુકામાં સૌથી વધુ ૧૩૫૦ હેકટરમાં અને સૌથી ઓછુ માણાવદર તાલુકામાં ૨૦ હેકટરમાં વાવેતર થયું છે.

સુકો મેવો એવી બદામ ભાવમાં ખુબ મોંઘી પડે છે. પરંતુ આપણી કાઠીયાવાડી બદામ તો મગફળી છે. કાઠીયાવાડી  બદામથી સૌરાષ્ટ્રનું કોઈ ઘર ખાલી ન હોય, એમાંય જો નાના બાળકો મગફળીના દાણા અને ગોળનો ઉપયોગ નાસ્તામાં કરે તો  કુ-પોષણ ગાયબ થઈ જાય એટલી તાકાત ગોળ અને માંડવીમાં છે.        ચારે બાજુથી જ્યારે કોરોના કહેરના સમાચાર આવી રહયા  છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના પાણીદાર ખેડુતો સૌથી મોટા સમાચાર આપવા જઈ રહ્યા છે. હા આપણાં માટે આ ખુશીના સમાચાર એટલે આગોતરી વાવણી. વૈશાખી વાયરા અને ચૈત્રી દનૈયા તપ્યા બાદ પીયતની સુવિધા છે તેવા ખેડૂતો હોંશે હોંશે આગોતરી મગફળીનું વાવેતર કરે છે. અને આવી આગોતરી વાવણી સોરઠના ધરતી પુત્રોએ કરી દીધી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડના જણાવ્યા અનુસાર જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં  ૩૦૮૦ હેક્ટર અર્થાત ૧૯૨૫૦ વિઘા જમીનમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. આગોતરું વાવેતર થતાં વિઘા દીઠ મગફળીનું ઉત્પાદન વધુ થાય છે. તેમજ મગફળીની ગુણવત્તા પણ સારી થાય છે

તાલુકાવાર આગોતરી મગફળી વાવેતરમાં આંકડા જોઈએ તો, જૂનાગઢ તાલુકો ૨૫૦ હેક્ટર, માંગરોળ ૪૫૦, કેશોદ ૨૦૦, માણાવદર ૨૦ હેકટર, વંથલી ૧૩૫૦ હેક્ટર, માળીયા ૧૦ હેકટર, મેંદરડા ૫૦ હેક્ટર અને વિસાવદર તાલુકામાં ૭૫૦ હેકટરમાં આગોતરૂ વાવેતર થયું છે.

આગોતરા વાવેતરમાં મગફળીનું ઉત્પાદન ગુણવત્તા સારી આવવા સાથે ખેડૂતો આ મગફળી કાઢી, શીયાળું પાક જેમાં ડુંગળી, શાકભાજી, ઘાસચારાનું પણ આગોતરું વાવેતર કરી શકે છે. ઉપરાંત તેમનુ ખેત ઉત્પાદન બજારમાં વહેલું આવવાથી ભાવો પણ સારા મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.