Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટી દ્વારા અન્ય મહાનગરોની માફક જામનગર મહાનગરપાલિકામાં પણ નવનિયુકત પદાધિકારીઓની ટીમ મુકવામાં આવી છે. આ ટીમના સારથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા દ્વારા કમિટીની પ્રથમ જ બેઠકમાં રૂા. 1100 કરોડના પ્રોજેકટસ મુકીને જામનગરમાં તહેલકો મચાવી દીધો છે. જામનગરમાં રિવર ફ્રન્ટ બનશે અને શહેરમાં રૂા. 400 કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ પ્રોજેકટસને અમલમાં મુકી જામનગરને ખરા અર્થમાં મહાનગર બનાવવામાં આવશે.

400 કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો, લાખોટા કોઠા-ભૂજિયા અને ખંભાળીયા દરવાજાને જોડતી હેરિટેજ સાંકળ બનશે, માંડવી ટાવર પણ ધારણ કરશે નવા રંગરૂપ

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક  નવનિયુકિત કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં મેયર અને કમિશ્ર્નર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. કમિટીની આ પ્રથમ બેઠકમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તકના કોર્પોરેશનના જુદા જુદા લોકેશનના હાઉસ કિપીંગના કામો માટેની સમગ્ર આઇટમને કમિશ્ર્નર દ્વારા દરખાસ્તના રૂપમાં પેશ કરવામાં આવી હતી. જેને કમિટીએ રિટેન્ડર માટે મોકલી દીધી હતી. આ ઉપરાંત આ જ વિભાગના એક કર્મચારીને પેટ્રોલ તથા મોબાઇલ એલાઉન્સ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં રખડતા અને નગરજનોને પરેશાન કરતા પશુઓના નિયંત્રણ માટે સરકારમાંથી રૂા. 8 કરોડની ગ્રાન્ટ મેળવવી જોઇએ. એ મતલબની દરખાસ્ત કમિશ્ર્નર દ્વારા મુકવામાં આવી હતી. જેનો કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે.

હાપા માર્કેટ યાર્ડ નજીક રેલવે ઓવરબ્રીજ બની રહયો છે જેમાં સલાહકારોની સલાહ લેવાની આવશ્યકતા ઉભી થઇ છે. આ માટે ક્ધસલ્ટન્સી સર્વિસના ચાર્જરૂપે રૂા. 20.70 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં. 8-15 અને 16 માં રસ્તાઓને મજબુત કરાવવા રૂા. 3 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના બે અલગ-અલગ ઝોનમાં રૂા. 46.46 લાખના ખર્ચે પાણીની નવી પાઇપલાઇનો બેસાડવામાં આવશે.

આ ઉપરાંત સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના કામો સુચવવા કમિશ્ર્નર તરફથી રૂા. 402.70 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત આવી હતી. જે દરખાસ્ત સરકારમાં મોકલવા અને ગ્રાન્ટની માંગણી કરવા અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. એ જ રીતે શહેરી સડક યોજના અંતર્ગત કમિશ્ર્નર દ્વારા રૂા. 71.31 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેનો પણ કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કરી લીધો છે.

આ ઉપરાંત શહેરમાં રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજુરી આપવા કમિશ્ર્નર દ્વારા થયેલી દરખાસ્તના અનુસંધાને રૂા. 600 કરોડનો ખર્ચ કરવા સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા અંગે કમિટીએ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યો છે. આ ઉપરાંત લાખોટા ભૂજીયા કોઠા અને ખંભાળિયા દરવાજાને જોડતી હેરીટેજ સાંકળ બનાવવા માટે રૂા. 13 કરોડની કમિશ્ર્નરની દરખાસ્તના અનુસંધાને સરકારમાંથી આ ગ્રાન્ટ મેળવવા અંગે કમિટીએ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યો છે. એ જ રીતે માંડવી ટાવરના રેસ્ટોરેશન માટે સરકારમાંથી રૂા. 1.25 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે.

આ ઉપરાંત ચેરમેને ચેર પરથી એવી જાહેરાત કરી હતી કે, આગામી 1 ઓકટોબરથી 30 ઓકટોબર સુધી વેરા રિબેટ યોજના અમલમાં મુકવા ઇચ્છીએ છીએ. આ આઇટમ આગામી જનરલ બોર્ડની બેઠકમાં મંજુરી માટે મુકવામાં આવશે. અને ત્યારબાદ વધુ એક મહિના માટે નગરજનોને વેરા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવશે. આમ, કમિટીની બેઠક દરમિયાન કુલ રૂા. 1097.22 કરોડનો વિવિધ પ્રોજેકટસ તથા ખર્ચ માટેનો આંકડો મંજુર અને સૈદ્રાંતિક સ્વિકાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્ર્નર દિનેશ મોદી, ઇન્ચાર્જ ડે. કમિશ્ર્નર ભાવેશ જાની તથા કમિટીના 11 સભ્યો તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.