Abtak Media Google News

આજે બપોરે  બાબા બાગેશ્વરનું રાજકોટમાં આગમન: જાજરમાન સ્વાગત કરાશે

સનાતન ધર્મની જ્યોત પ્રજવલિત કરવા માટે નીકળેલા હિન્દુ હૃદય સમ્રાટ અને મધ્યપ્રદેશ સ્થિત બાબા બાગેશ્વર ધામના સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના રાજકોટ ખાતેના મહા દિવ્ય દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બાગેશ્વર બાબા આજે અમદાવાદ નો કાર્યક્રમ પૂરો કરીને સાંજે રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુરુ અને શુક્ર એમ બે દિવસ માટે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર  યોજાશેે જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા  છે.બાબા બાગેશ્વરના મહા દિવ્ય દરબાર માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. રાજસ્થાનની રજવાડી થીમ ઉપર બનાવવામાં આવેલું ભવ્ય સ્ટેજ , સોફા  અને ખુરશીઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ તૈયાર થઈ ગઈ છે.

શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના મુખ્ય આયોજક  યોગીનભાઈ છનિયારા,   ભરતભાઇ દોશી, કિશોરભાઈ ખંભાયતા, જયદેવસિંહ જાડેજા, ગુણુભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા, ડી.વી.મહેતા,ઘનશ્યામભાઈ હેરભા, વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા, મિલન કોઠારી, સુજીત ઉદાણી, જય ખારા એ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સુરત અને અમદાવાદના કાર્યક્રમો ભવ્ય રીતે સફળ થયા બાદ હવે તેઓ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ અને સનાતની હિન્દુ લોકો થનગની રહ્યા છે.

રાજકોટમાં પણ બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા છવાયેલી છે. રેસકોર્સમાં બે દિવસમાં દિવ્ય દરબાર દરમિયાન સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેકને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કાર્યકર ભાઈ – બહેનોની ટીમ પણ કામે લાગી ગઈ છે.   મધુરમ ક્લબ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં બે દિવસ માટે કામ ચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે અને બાબાના દરબારમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યા ઊભી થાય તો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ ખડે પગે રહેશે. મધુરમ ક્લબના પ્રમુખ મિલન કોઠારીએ પણ આ સુવિધા અંગે જરૂરી વિગતો આપી હતી.

રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ગોવિંદભાઈ કાનગડ, મુરલીભાઈ દવે, શૈલેષભાઈ જાની, પંકજભાઈ રાવલ,  સહિતના અગ્રણીઓએ  માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.