Abtak Media Google News

100ડ65 ફૂટની વિશાળ આબેહૂબ અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃત્તિ તૈયાર કરાય: રોજ હજારો દીવડાઓથી રામલલ્લાની આરતી કરાશે

સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા “રામ મેદાન” વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય આયોજન

આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો શુભગ અવસર ધર્મપ્રેમીઓ માટે સાંપડ્યો છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાત-દિવસ એક કરીને આ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Advertisement

અયોધ્યાનગરી કે જેની સાથે કરોડો હિન્દૂઓની આસ્થા જોડાયેલી છે ત્યાં આગામી તા.22 જાન્યુઆરીના રોજ મર્યાદાપુરૂષોતમ શ્રીરામ બિરાજીત થવા જઈ રહ્યા છે. હાલ અયોધ્યાનગરી મધ્યે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ ઘડીની વાટ આખુ રાષ્ટ્ર જોઈ રહ્યું છે. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવની તૈયારીઓ આખા દેશમાં ચાલી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં તા.17 થી 22 જાન્યુઆરી સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવનાર છે. જે મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે રાજકોટ ખાતે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ 100સ65 ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.  આ પ્રતિકૃતિની ઊંચાઈ 35 ફૂટ જેટલી રાખવામાં આવી છે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવનાર છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે. ઉપરાંત મંદિર પટાંગણમાં અયોધ્યાનગરીના જોવાલાયક તેમજ દર્શન કરવા લાયક મુખ્ય ફ્લોટ્સ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.

Untitled 1 20

આ મહોત્સવમાં દરરોજ હજારો દીવડાઓથી શ્રીરામ લલ્લાની આરતી કરવામાં આવશે. જેમાં લોકો દીવડા સાથે આરતી કરવાનો લ્હાવો પણ લઇ શકશે. ઉપરાંત મહોત્સવમાં દરરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થવા જઈ રહ્યા છે. જેમાં દરરોજ સાંજે 7:30 વાગ્યે હજારો દીવડાઓની મહાઆરતી 11  વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં થશે અને દરરોજ 10 હજારથી પણ વધુ દર્શનાર્થીઓની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. સાથે દરરોજ રાત્રીના સમયમાં નામી-અનામી કલાકારોની ઉપસ્થિતિમાં લોકડાયરો-હસાયરો યોજાનાર છે. સુપ્રસિદ્ધ કલાકારો તેમના સ્વરરૂપી શબ્દોથી દેશભક્તિનો રસ પીરસવા જઈ રહ્યા છે.

ભવ્ય મહોત્સવમાં સહભાગી થનાર તમામ ધર્મપ્રેમીઓને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી લલાટે તિલક કરવામાં આવશે. જેના માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો અયોધ્યા પ્રવાસ ખેડી અયોધ્યા મંદિર મના ગર્ભગૃહની માટી અને સરયું નદીનું જળ પણ રાજકોટ લઇ આવ્યા છે.

મહોત્સવના રોજના કાર્યક્રમો 

17 જાન્યુઆરી : શ્રી રામલલ્લા અયોધ્યાનગરીમાં બિરાજે તે પૂર્વે રાજકોટ શહેરમાં તા.17 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે એક ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ સાથે 5000 ટુ-વ્હીલર, 2000 ફોર વ્હીલર જોડાશે. 1000થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતીમાં શોભાયાત્રા રાજકોટ શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થશે જયારે પુર્ણાહુતી ’રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે થશે. જે બાદ રામ મેદાન ખાતે પરમ વંદનીય સંતશ્રી ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ) ના વરદ હસ્તે પ્રતિકૃતિ સ્વરૂપ અયોધ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે જે બાદ ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. સાંજે 7:30 કલાકે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

18 જાન્યુઆરી : શ્રીરામના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે.

19 જાન્યુઆરી : ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે મ્યુઝિક સાંભળવું એક લ્હાવો છે. જેનું સાક્ષી રાજકોટ બનવા જઈ રહ્યું છે.

20 જાન્યુઆરી : પાંચ દિવસીય દિવ્ય મહોત્સવમાં શનિવારે રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વનિતાબેન પાત્રલ તથા ગ્રુપ સ્વરરૂપી રસપાન કરાવનાર છે. જ્યાં હજારો લોકો એકસાથે રાસ લેનાર છે.

21 જાન્યુઆરી : મહોત્સવમાં રવિવારે રાત્રે 8:30 કલાકે વિશ્ર્વ વિખ્યાત અને ગીરનો સાવજ તરીકે ઓળખાતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), માલદે આહીર(ઉપલેટા), રવિ આહીર (ગજડી), પુનશ્રી ગઢવી(કચ્છ) નો લોકડાયરો પણ યોજાનાર છે.

22 જાન્યુઆરી : મહોત્સવના અંતિમ દિવસે એક તરફ અયોધ્યા ખાતે રામ મંદિરની પડદો ખુલો કરી શ્રી રામલલ્લાને દર્શનાર્થે મુકવામાં આવશે ત્યાં બીજી રાજકોટ ખાતે પણ પડદો ખુલ્લો કરવામાં આવશે અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.