Abtak Media Google News
  • લીંબડીના ચીફ જ્યુડિશ્યલ અને સુરેન્દ્રનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા ઇચ્છીત જજમેન્ટ ન મળતા ભેજાબાજ એડવોકેટ બંને ન્યાયધિશના રાજીનામાં લખી હાઇકોર્ટમાં મોકલી દીધાંની પોલીસને શંકા
  • જજની જાણ બહાર બારોબાર રાજીનામાં લખવાના ગુનામાં ઝડપાયેલા વકીલને રિમાન્ડ પર મેળવી સાઇકીયાટ્રીકની મદદ લઇ પૂછપરછ કરાશે

સુરેન્દ્રનગર અને લીંબડીના જજની જાણ બહાર બારોબાર રાજીનામાં લખી હાઇકોર્ટમાં મોકલવા અંગેના એકાદ વર્ષ પહેલાં નોંધાયેલા ગુનામાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ સુરેન્દ્રનગરના વકીલની ધરપકડ કરી અતિ સંવેદનશીલ અને ન્યાયતંત્ર માટે અતિ મહત્વના ગણાતા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. બંને ન્યાયધિશના રાજીનામાં શા માટે લખી હાઇકોર્ટમાં મોકલ્યા તે અંગેની પૂછપરછ માટે ઝડપાયેલા એડવોકેટને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ભેજાબાજ ગણાતા ધારાશાસ્ત્રીની પૂછપરછ માટે સાઇકીયાટ્રીકની મદદ લેવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

1670214697352123

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડીના સેશન્સ જજ પ્રતિક જે.તમાકુવાલા અને સુરેન્દ્રનગરના ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ કુમારી રૂચિતા રાજેએ હાઇકોર્ટમાં રાજીનામાં લખેલો પત્ર મોકલવામાં આવ્યો હતો. રાજીનામાં પત્રમાં બંને ન્યાયધીશની ખોટી સહિ કરવામાં આવી હોવા અંગેની ગત તા.9/10/21ના બંને જજ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. રાજીનામાં પત્રમાં ન્યાયધિશ કાર્ય પ્રણાલીથી નારાજ થઇને રાજીનામું આપતા હોવાનું લખવામાં આવ્યું હોવાથી સમગ્ર રાજ્યના જ્યુડીશ્યલમાં ખળભળાટ મચી ગયો હતો.

હાઇકોર્ટમાં સામાન્ય રીતે પત્ર વ્યવહાર અંગ્રેજી ભાષામાં થતો હોય છે અને ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ મારફતે પત્ર વ્યવહાર થયો હોવાથી બંને જજના રાજીનામાં પ્રોટોકોલ સિસ્ટમથી ન થયા હોવાથી બંને જજની ખોટી સહિ કરી હાઇકોર્ટમાં રાજીનામું લખેલો પત્ર સુરેન્દ્રનગર અથવા લીંબડીના વકીલ દ્વારા લખવામાં આવ્યો હોવાની શંકા સાથે સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પી.આઇ.એસ.એમ.જાડેજાએ 10 જેટલા વકીલોના હસ્તાક્ષરના નમુના લઇ હસ્તાક્ષર નિષ્ણાંતને મોકલવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા અદાલતના પ્રિન્સિપલ સિવિલ જજ પ્રતિક જે. તમાકુવાલાએ નોંધાવેલી ફરિયાદની એસ.ઓ.જી. પી.આઇ.એસ.એમ.જાડેજા દ્વારા જીણવટ અને ઉંડી તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન સુરેન્દ્રનગરના એડવોકેટ મહેન્દ્ર જયંતીલાલ મુળીયાના અક્ષરો અને હાઇકોર્ટમાં મોકલવામાં આવેલા રાજીનામાં પત્રના અક્ષર ભળતા હોવાનો હસ્તાક્ષર એક્સપર્ટ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

એડવોકેટ મહેન્દ્ર મુળીયાના હેન્ડ રાઇટીંગના અભિપ્રાયના આધારે એસ.ઓ.જી. પી.આઇ.એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ. એમ.બી.પઢીયાર, એ.એસ.આઇ. પ્રવિણભાઇ આલ, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ પરમાર, જયરાજસિંહ ઝાલા અને સંગીતાબા રાણા સહિતના સ્ટાફે વકીલ મહેન્દ્ર મુળીયાની જજની બોગસ સહી કરવાના ગુનામાં ધરપકડ કરી છે.

વકીલ મહેન્દ્ર મુળીયાને ઇચ્છીત ચુકાદા અદાલતમાંથી ન મળતા હોવાથી બંને ન્યાયધિશના રાજીનામાં પત્ર હાઇકોર્ટમાં મોકલ્યા હોવાની શંકા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. એડવોકેટ મહેન્દ્ર મુળીયાના રિમાન્ડ મળ્યા બાદ મનોચિકિત્સકની મદદ લઇ પૂછપરછ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.