Abtak Media Google News

ઔદ્યોગીક પોલીસી, નિકાસ અને કૃષિ આધારિત ઉત્પાદનો ઉપર ધ્યાન કેન્દ્રીત: ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના, રીસર્ચ અને ડેવલોપમેન્ટને વેગ આપવા સહિતની જોગવાઈ પાસા બદલી નાખશે

મનસુર અલી ખાન પટોળી, અજીત વાડેકર, ફારૂક એન્જીનીયર, બિશનસિંગ બેદી, ઈએએસ પ્રસન્ના અને શ્રીનિવાસરાઘવન વેંકટ રાઘવન જેવા ખેલાડીઓ વર્ષ ૧૯૬૦ થી ૧૯૭૦ના સમયગાળામાં ક્રિકેટમાં ધુરંધર ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયા. ઘર આંગણે આ ક્રિકેટરોએ ઈતિહાસ રચ્યા પરંતુ જ્યારે વિદેશની ધરતી પર ક્રિકેટ રમવાનો વખત આવ્યો ત્યારે ખુબ ખરાબ રીતે ટીમ હારી હોવાના દાખલા છે. આવું જ ભારતીય ઉદ્યોગ જગત સાથે શરૂઆતમાં થયું જ્યાં અલગ અલગ ટેરીફની છત્રછાયામાં ભારતીય ઉદ્યોગ વિકાસ તો પામ્યા પરંતુ વિદેશ વ્યાપાર, નિકાસમાં વધુ ઉકાળી શકયા ન હતા. જોકે ત્યારબાદ ભારતીય ટીમની જેમ ભારતીય ઉદ્યોગ જગતે પણ સમય સાથે તાલ મિલાવ્યો. ૧૯૮૦ના સમયમાં સમય સાથે તાલ મિલાવવાના ભાગરૂપે ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવા મોકલ્યા. કપીલ દેવ, સુનિલ ગાવસ્કર, ગુંડપા વિશ્ર્વનાથ, મહિન્દર અમરનાથ, દિલીપ વેંગસ્કર અને રવિ શાસ્ત્રીએ વર્ષ ૧૯૮૩નો વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો. આ જ સમયગાળામાં ભારતીય કંપનીઓએ પણ આંતરીક આઝાદીનો અનુભવ કર્યો. ટેકનોલોજી આધારીત પધ્ધતિ અપનાવવા લાગી. વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતના વિકાસને વધારવા માટે ઈતિહાસ રચ્યો. ભારતીય ઉદ્યોગો પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા લાગ્યા, અલબત ૧૯૯૦માં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ સહિતના ધુરંધર ખેલાડીઓએ વધુ સારૂ પ્રદર્શન કર્યું. વિદેશી ધરતીમાં પણ મસમોટા વિજય મેળવ્યા. આ સમયગાળો ભારતીય ઉદ્યોગ જગત માટે ખુબ મહત્વનો ગણાય છે.

ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની, તેંડુલકર, યુવરાજસિંગ, વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી અને ઝાહિર ખાનની ટીમે વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચ્યો. ક્રિકેટ ટીમના બદલાતા પ્રદર્શન પાછળ સમય સાથે તાલ મિલાવવાની પધ્ધતિ અને જરૂર પડે લાંબાગાળાના નિર્ણયો લેવાની સુઝબુઝ કારણભૂત હતી. આવી જ રીતે ભારતીય ઉદ્યોગ જગતમાં પણ પરિવર્તન આવ્યા. લાંબાગાળાની નીતિએ દેશની દિશા-દશામાં પરિવર્તન લાવી દીધા.

ભારતીય ઉદ્યોગમાં પણ આવું જ જોવા મળ્યું છે. અર્થતંત્રમાં સરકારની દુરંદેશીના કારણે મીઠા ફળ ચાંખવા મળશે. મોદી સરકાર પહેલા આવેલી ઔદ્યોગીક ક્રાંતિ અને ત્યારબાદ મોદી સરકારે લીધેલા નિર્ણયોના સમન્વયે ભારત માટે ઉજ્જવળ ભવિષ્ય ઉભુ કર્યું છે. અત્યારે બજેટ માટે વડાપ્રધાન મોદીની સરકારે રાજકોષીય ખાદ્ય તરફે લીધેલા નિર્ણયો મહત્વના સાબીત થયા છે. એક સમયે બજેટ માત્ર ખાદ્ય અને પુરાંતવાળુ રહેતું હતું. પરંતુ મોદી સરકારની આગેવાનીમાં રાજકોષીય ખાદ્ય ક્યાં કેટલી જાળવવી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તબક્કાવાર નિર્ણય લેવાયા હતા. એક સમય એવો આવ્યો કે આંકડાની રીતે રાજકોષીય ખાદ્ય વધુ લાગે પરંતુ પરિપક્વ નિર્ણયના કારણે આ ખાદ્યમાં દર્શાવેલી રકમ યોગ્ય જગ્યાએ ખર્ચાઈ હોવાથી તેનું વળતર લાંબાગાળે ખુબ જ સારૂ મળે ઉપરાંત લોકોપયોગી કામમાં વપરાયેલી રકમ પણ રાજકોષીય ખાદ્ય તરીકે ગણી લેવાય. વર્તમાન સમયે ભારત નિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્યાંક ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમી સુધી લઈ જવાનું છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં નિકાસમાં ૧૮ ટકાના વિકાસ સાથે નિકાસ ૧ ટ્રીલીયન ડોલરે પહોંચશે તેવી ધારણા છે. વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૩ વચ્ચે ૧૮ ટકાના દરે નિકાસમાં વધારો થયો છે. વર્તમાન તબક્કો એવો છે કે જ્યાં નિકાસ વધુ છે અને આયાત તળીયે આ બાબત તંદુરસ્ત લોકશાહી માટે ખુબ મહત્વની છે. નિકાસ અને ઘર આંગણે ઉત્પાદન માટે મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ઉત્પાદન આધારિત પ્રોત્સાહન સ્કીમ હુકમનો એક્કો સાબીત થઈ છે. ઉદ્યોગોને એનર્જી પાછળ થતો ખર્ચ ઘટાડો, લોજીસ્ટીક વધારવું, માળખાકીય સુવિધા આપવી, લેબરમાં પ્રોત્સાહનો આપવા, ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્યને આકર્ષવું તેમજ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પાછળ મસમોટુ ભંડોળ ફાળવવા સહિતની બાબતો કેન્દ્ર સ્થાને રહી શકે છે. ભારત વર્તમાન સમયે ૨.૫ ટ્રીલીયન ડોલરનું માર્કેટ સંભાળવાનો પ્રયત્ન કરે છે. વૈશ્ર્વિક માર્કેટ ૮૦ ટ્રીલીયન ડોલર જેવડું છે ત્યારે ચીનની ૧૪ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી, જાપાનની ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી અને જર્મનીની ૪ ટ્રીલીયન ડોલરની ઈકોનોમીની જેમ ભારત ટોચના ૫ દેશમાં સામેલ છે. દુરંદેશીના કારણે ભારત વડાપ્રધાન મોદીનું ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું લક્ષ્યાંક પૂર્ણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.