Abtak Media Google News

આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ શહેરની વિવિધ એન.જી.ઓ. સાથે પરામર્શ કર્યો

રાજકોટ શહેરમાં પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મનપા કચેરી ખાતે શહેરની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો સાથે એક ખાસ બેઠક યોજી જુદાજુદા મુદ્દાઓ અંગે પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં રાજકોટ જીલ્લાના પ્રભારી વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી  રાહુલ ગુપ્તા, સિનિયર આઈ.એ.એસ. અધિકારી મિલિન્દ તોરવણે, મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, ખાસ અધિકારીઓ રવીન્દ્ર ખતાલે (આઈ.એ.એસ.) તથા મેહુલ દવે અને રાજકોટ મનપાના નાયબ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ  ઉપરાંત રાજકોટ ચેમ્બર, ટી પોસ્ટ પ્રા.લિ., બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી કાનુડા મિત્ર મંડળ, શ્રી માનવ કલ્યાણ મંડળ, લાઈફ બ્લડ સેન્ટર, રાજકોટ હોટલ એસોસિએશન, પ્રોજેક્ટ લાઈફ રિસર્ચ, પ્રોજેક્ટ લાઈફ રાજકોટ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ, પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, બી.એ.પી.એસ., શ્રીરામકૃષ્ણ આશ્રમ, કેમિસ્ટ એસોસિએશન રાજકોટ, આર્ટ ઓફ લિવિંગ, વાત્સલ્ય ટ્રસ્ટ, કર્મયોગ મંદિર ટ્રસ્ટ, એસ.એચ.પી.સી. ટ્રસ્ટના હેદેદારો વગેરે ઉપસ્થિત રહયા હતાં.

અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ મીટિંગમાં ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા એમ કહ્યું હતું કે, હાલ માત્ર ભારત દેશ જ નહી પરંતુ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહયું છે ત્યારે વહીવટી તંત્રને એન.જી.ઓ. તથા નાગરિકોના સાથસહકારની પણ એટલી જ આવશ્યકતા છે. કોરોના સંક્રમણની કડી તોડવા સૌનો સહયોગ જરૂરી છે. ૧૦૮ ની ઇમરજન્સી સેવા જે રીતે શહેરમાં ખુબ જ ઉપયોગી અને લોકપ્રિય છે. એવી જ રીતે “૧૦૪ સેવા રથ”, ધનવંતરી રથ અને સંજીવની રથની પણ લોકોમાં સહજ રીતે ઉપલબ્ધ છે અને ઝડપથી નાગરીકોમાં લોકપ્રિય બને તે સૌના હિતમાં છે. અમદાવાદમાં “૧૦૪ સેવા રથ” અને ધનવંતરી રથની સેવાઓથી કોરોનાની મહામારી ઉપર અંકુશ મેળવવામાં સફળતા મળી રહી છે. મહદ અંશે કોરોના પર કંટ્રોલ કરાયો છે. નાગરિકો સતત હેન્ડ વોશ (હાથ ધોતા રહે) કરે અને માસ્ક પહેરે તો કોરોનાના ચેપથી બચી શકાય છે.

ડો. જયંતિ રવિએ વધુમાં એમ કહ્યું હતું કે, આપણે સૌએ કોરોનાથી બચવા માટેના પ્રયાસોનો સતત વ્યાપક પ્રચાર પ્રસાર કરવા “જન આંદોલન” છેડવાની જરૂરિયાત છે. સમાજમાં સારો મેસેજ પ્રસરે અને લોકો વધુ જાગૃત અને સતર્ક બને તે માટે સૌ આગેવાનો હેન્ડ વોશનો વિડીયો સૌની સાથે શેર કરે તેવી અપીલ છે. હાઈ સુગર ડાયાબીટીસ, ટી.બી., હાઈ બી.પી. જેવી બીમારી ધરાવતા વધુ ઉમરવાળા લોકો કોરોનાથી વધારે સાવચેત રહે તેની સૌ કાળજી રાખવી જોઈએ. અત્યારી નિત્ય અવનવી અફવાઓ ફેલાતી રહેતી હોય છે. જેનાથી નાગરિકોએ બચવું જોઈએ. આપણે સૌએ પોઝિટિવ મેસેજ ફેલાવવો જોઈએ. રાજકોટમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે પુરતી સંખ્યામાં બેડ ઉપલબ્ધ છે ત્યારે કોઈએ બેડ ઓછા હોવા અંગેની કોઇપણ અફવાથી પ્રેરાવું કે ભયભીત થવું ના જોઈએ. સાચી વાત અને સાચો મેસેજ લોકો શેર કરે તે સૌના હિતમાં છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને સૂચન મુજબ ધનવંતરી રથ લોકોના ઘરના ફળિયા પાસે જઈને નિદાન સારવાર સહિતની સેવાઓ આપી રહેલ છે તે મેં આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ જઈને નિહાળ્યું છે.

ખાસ અધિકારી  મિલિન્દ તોરવણેએ ઉપસ્થિતોને એવું સૂચન કર્યું હતું કે, નાગરિકો કોરોનાના ટેસ્ટ કરાવવાથી ઘબરાય નહી. કોરોના પોઝિટિવનું નિદાન થાય તો પણ ડર્યા વિના સારવાર લેવી જોઈએ. રાજકોટમાં રિકવરી રેટ સારો છે. જેટલું વહેલું કોરોના પોઝિટિવનું નિદાન થશે સારવાર એટલી જ વધુ કારગત અને સરળ બનશે. સામાજિક સેવાકીય સંસ્થાઓ આ સમયમાં લોકોને વધુ જાગૃત કરવા આગળ આવે. ૧૦૪ સેવા રથની સેવા મેળવવી ખુબ જ સરળ છે. લોકો ૧૦૪ નંબરની હેલ્પલાઈન પર ફોન કરીને આ સેવા પ્રાપ્ત કરી શકે છે. એવી જ રીતે ધનવંતરી રથની સેવા પણ લોકોના ઘરઆંગણે આપવામાં આવી રહી છે. ધનવંતરી રથ એક પ્રકારે હરતું ફરતું દવાખાનું જ છે અને લોકો તેનો વધુ ને વધુ લાભ લ્યે તેવી અપીલ છે. એન.જી.ઓ.ના સ્વયમ સેવકો વહીવટી તંત્રને મદદરૂપ થઇ શકે છે. આ માટે એન.જી.ઓ. આગળ આવે તે ઇચ્છનીય છે.

લોકો ટેસ્ટ કરાવતા ડરે છે, ભય દૂર કરવા એનજીઓ આગળ આવે: મ્યુ. કમિશનર

Udit1એ C

મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે મીટિંગના પ્રારંભે એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ ૫૦ ધનવંતરી રથ લોકોની સેવામાં કાર્યરત્ત છે. સાડા ત્રણસો જેટલા આશા બહેનો સર્વેલન્સની કામગીરી કરી રહયા છે. પાંચ દિવસ પહેલા ત્રણ ૧૦૪ સેવા રથ શહેરમાં શરૂ કરાયા બાદ આજે વધુ સાત એટલે કે કુલ દસ “૧૦૪ સેવા રથ” શરૂ કરી દેવાયા છે.લોકો ટેસ્ટ કરાવતા ડરે છે. લોકોનો ભય દુર કરવા એન.જી.ઓ. આગળ આવે તંત્રને સહયોગ કરે તેવી અપીલ છે. ટેસ્ટમાં વધુ સારવારની આવશ્યકતા અને લક્ષણ જણાય તો જ દર્દીને રીફર કરવામાં આવે છે.અન્યથા સામાન્ય લક્ષણ જણાય તો દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો વ્યક્તિના ઘેર જરૂરી સુવિધા ના હોય તો તેને સરકારી હોમ આઇસોલેશનમાં સારવાર પણ લઇ શકે છે. હોમ આઇસોલેશન થયેલ વ્યક્તિની મહાનગરપાલિકા દ્વારા દરરોજ ટેલીફોનીક સારસંભાળ લેવામાં આવે છે. જરૂરિયાત જણાય તો ચેકઅપ માટે મેડિકલ ટીમો પણ ઉપલબ્ધ છે. મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશનની સેવા સંપૂર્ણ ફ્રી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના સીનીય સીટીઝન વ્યક્તિઓને તેમના ઘેર જઈને સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.