Abtak Media Google News

વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ

દક્ષિણ ગુજરાતમાં ધમરોળીને ગુજરાત તરફ આગળ વધી રહેલું ‘ઓખી’ વાવાઝોડુ આજે રાતે રાજ્યમાં પ્રવેશ કરશે. વાવાઝોડાની અસર ગઈ રાતથી જ શરૂ થઈ છે. રાજ્યભરમાં ઠેરઠેર અમી છાંટણા થયા હોવાની અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે અને શિયાળામાં ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે.

ઓખીને પગલે અમિતશાહ ની સભા રદ્દ

ઓખીની અસરને પગલે અમરેલી જિલ્લામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓખીની અસરને પગલે પવન સાથે ઝાપટું પડ્યું હતું. જેને લીધે ઊભો કરવામાં સભાનો મીનિ ડોમ તૂટી ગયો હતો. આખરે શાહની સભા રદ્દ કરવામાં આવી હતી.

સાવચેતીના પગલા લેવા રાજ્યભરના કલેક્ટરોને સૂચના

‘ઓખી’ વાવાઝોડાની સંભાવના સંદર્ભના હવામાન વિભાગના અનુમાનો અને સૂચનાઓ સંદર્ભે રાજ્ય સરકારે પ્રભાવિત જિલ્લાને જાણ કરી છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લાના કલેકટરોને સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ આપી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ જિલ્લાઓના કલેકટરશ્રીઓને વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી કોઇપણ માછીમારને માછીમારી કે અન્ય હેતુ માટે દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ દરિયાકાંઠે ન જાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.