Abtak Media Google News

છેલ્લા 18 વર્ષથી જેલમાં રહેલા દોષિતોને ગુન્હામાં તેમની ભૂમિકાના આધારે જામીન અપાયા

ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લગાવીને 59 લોકોની હત્યા કરવાના દોષિત 8 લોકોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ તમામ લોકોને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 17-18 વર્ષ જેલમાં વિતાવ્યાના આધારે જામીન આપ્યા હતા. જો કે, નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા અને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદમાં ફેરવાયેલા 4 લોકોને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.

જામીન મેળવનારાઓના નામ છે- અબ્દુલ સત્તાર ગદ્દી, યુનુસ અબ્દુલ હક, મોહમ્મદ. હનીફ, અબ્દુલ રઉફ, ઇબ્રાહિમ અબ્દુલ રઝાક, અયુબ અબ્દુલ ગની, સોહેબ યુસુફ અને સુલેમાન અહેમદ. આ તમામ લોકોને ટ્રેનમાં સળગતા લોકોને બહાર આવતા રોકવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. જે 4 લોકોને કોર્ટે આજે મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે તેમાં અનવર મોહમ્મદ, સૌકત અબ્દુલ્લા, મહેબૂબ યાકુબ મીઠા અને સિદ્દીક મોહમ્મદ મોરાનો સમાવેશ થાય છે. તેમના પર હત્યામાં સીધી સંડોવણીનો આરોપ સાબિત થયો છે. ગુજરાત સરકારે તેમને ફાંસીની સજાની માંગ કરી છે.

આ કેસમાં કુલ 31 દોષિતોમાંથી 11ને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, જ્યારે 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ સાથે જ હાઈકોર્ટે નીચલી કોર્ટમાંથી આજીવન કેદની સજા પામેલા 20 લોકોની સજાને યથાવત રાખી હતી. આ તમામ લોકોની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સુપ્રીમ કોર્ટે આ કેસના એક દોષિત ફારુકને જામીન આપ્યા હતા. નીચલી અદાલતમાં ફારુકને ટ્રેનના સળગતા ડબ્બામાંથી લોકોને બહાર આવવાથી રોકવા માટે પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે કેસમાં પણ સુપ્રીમ કોર્ટે આ હકીકતનો આધાર બનાવ્યો હતો કે ફારૂક 17 વર્ષથી જેલમાં છે. જ્યારે, આ વર્ષે 18 એપ્રિલે, સુપ્રીમ કોર્ટે ઇરફાન ઘાંચી અને સિરાજ મેડાની જામીન અરજીઓને નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને કારણે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હજુ સુધી ઘણા દોષિતોના જામીન પર વિચાર કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.