Abtak Media Google News

તાકીદે યોગ્ય વિકલ્પની જાહેરાત કરવા અને સ્કૂલ ફી માફી કરે તેવી વ્યવસ્થાની માંગ

હાલ કોરોના અને લોકડાઉનના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ક્યારે શરૃ થશે તે નક્કી નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૃ કર્યાની જાહેરાત કરી છે, પણ આ ઓનલાઈન શિક્ષણ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગવડતાભર્યુ હોવાની રજૂઆત જામનગરની લોક સરકાર સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્રમાં પાઠવીને કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે બાળકોની આંખ તથા માનસિક સ્વાસ્થ્ય માટે બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે છે ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે બાળકોએ મોબાઈલનો જ ઉપયોગ કરવો પડે છે. એટલું જ નહીં આજે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ઓનલાઈન શિક્ષણ માટે બાળકો માટે મોબાઈલ ખરીદવો અશક્ય છે. તેમાંય એક પરિવારમાં બે-ત્રણ બાળકો ભણતા હોય તો તેમના માટે શું અલગ-અલગ મોબાઈલ રાખવાના…? કારણ કે, ઓનલાઈન શિક્ષણ તો એક જ સમય સ્લોટમાં ચાલુ હોય તો બાળકો એક જ મોબાઈલથી કેવી રીતે તેને ફોલો કરી શકે…?

રાજય સરકારે શાળાઓને પ્રથમ ત્રણ/છ મહિનાની સત્ર ફી માં માફી આપવાનો આદેશ આપવાના બદલે માત્ર હપ્તેથી ફી ભરવાની રાહત આપવાની જાહેરાત કરી છે તેથી ફી તો ભરવાની જ થાય છે અને શાળાઓ દ્વારા ફી ભરી જવા વારંવાર મેસેજ આવ્યા રાખે છે. આથી ઓનલાઈન શિક્ષણ ખૂબ જ અગવડતાભર્યુ હોય, તાકીદે યોગ્ય વિકલ્પની જાહેરાત કરવા અને શાળાઓ ફી માફી કરે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.