Abtak Media Google News

નાના બાળકોને આકારો, રમકડા, વાર્તા , બાળગીતો, ચિત્રો, રંગ અને રમત ગમત બહુ જ ગમતાં હોવાથી તેને શિક્ષણ સાથે સાંકળીને તેનો ઝડપી વિકાસ કરી શકાય. શિક્ષણમાં દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનું વિશેષ  મહત્વ હોવાથી આ બાબતના છાત્રોના રસ-રૂચિને સકારાત્મક કરવો જરૂરી.  બાળકોમાં વિવિધ છુપી કલાઓ પડેલી હોય છે તેને પ્રોત્સાહન મળવું જરૂરી.

બાળક પોતે એક શ્રેષ્ઠ કુદરતનું સર્જન સમુ ચિત્ર છે , આપણે તેને જોવાની અને સાંભળવાની જરૂર છે. નાના બાળકો   ને રમવું  બહુંજ  ગમે છે, અને આ  રમતો દ્વારા તે ઘણું બધુ શીખતો હોય છે.

પ્રિ-સ્કૂલ અને ધોરણ 1 – 2 ના બાળકોને રંગ, આકારો, રમકડા, વાર્તા, બાળગીતો ,સંગીત, રમતગમત, બહુ જ ગમે છે : જો આ માધ્યમનો સહારો લઈને શિક્ષણ અપાય તો તેનો વિકાસ ઝડપી થાય : ચિત્ર દ્વારા બાળકોની કલ્પનાશક્તિની ખીલવણી થાય છે

એકિટવીટી બેઝ લર્નીંગ જ શિક્ષણને રસમય બનાવે છે : બાળક ચિત્ર જોઈને સમજે, વિચારે અને બોલવા લાગે છે : શીખવવા માટે ચિત્ર વાર્તા સૌથી શ્રેષ્ઠ છે : 10 વર્ષથી નીચેના બાળકને ચિત્ર દ્વારા ઘણુ શીખવી શકાય છે

બાળકના  ઘરના વાતાવરણમાથી બોલચાલની  ભાષા શીખે છે, શબ્દ ભંડોળ તેને મા-બાપ  પાસેથી મળે છે,  પછી ભલે એ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કેમ નથી હોતા. બાળ માનસમાં આપણે જે નિરૂપણ કરીએ છીએ તે તુરંત ગ્રહણ કરીને તેની સમજ મુજબ અનુકરણ કરે છે. પ્રારંભે તે ટુકા શબ્દો કે  વાકયો ઝડપથી કેચઅપ કરી લે છે. નાના બાળકને જેમ વાળો તેમ  વળી શકતા હોવાથી  નાનપણથી તેને સારી ટેવો,  માહિતી તથા તેના રસ-રૂચી-વલણો મુજબ જોડવા જરૂરી છે. બાળક માટે તેના સૌથી પહેલા શિક્ષક તેના મા-બાપ હોય છે. તેની જેવડા સમોવડીયા પાસેથી પણ તે ઘણુ શીખી જતો હોય છે. સૌથી મોટી વાત એ છે કે બાળ માનસ પર  ચિત્રની  ગહેરી અસર પડે છે. નાના બાળકો કે 10 વર્ષથી  નીચેના છાત્રોને  તમે ચિત્ર દ્વારા  ઘણુ શીખવી  શકો છો.

હવે નવી શિક્ષણ નિતીમાં આ વસ્તુ સરકારી દાયરામાં આવતા ધો.2 સુધીમાં તો બાળક વાંચન-ગણન અને લેખનમાં પાવરફૂલ થશે. ભાવી નાગરિકોને પાયાથી જ મજબૂતી મળશે. નાનકડું બાળક હવે 3 વર્ષે જ ભણવા લાગશે , જો કે આ અગાઉની તેમની વયમાં ફરી આવા પ્લે હાઉસ શરૂ ન થાય તે માટે સમાજે જાગૃત થવું પડશે. 0 થી 3 વર્ષ બાળક માતા પાસે જ કુટુંબમાં ઉછરે તે ખૂબ જ જરૂરી છે, વાલીઓ એમાં પણ પ્લે હાઉસમાં મુકવા માંડશે તો તેનો વિકાસ રૂંધાશે.

5 વર્ષ સુધીના બાળકોને ચિત્ર દ્વારા તમે ઘણું શિખવી શકો છો. 10 વર્ષ સુધીના બાળકોને રમવું બહુ જ ગમે છે ત્યારે શિક્ષક રમતાં-રમતાં શિક્ષણ આપે તે જરૂરી છે. આ વયના બાળકોને રંગો, આકારો, રમકડાં, વાર્તા, બાળગીતો, સંગીત, રમત-ગમત, બહુ જ ગમતા હોય છે. આ માધ્યમો દ્વારા જ તેને શિક્ષણ સાથે સાંકળીને જો શિક્ષણ અપાય તો તેનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. મોટા ભાગે નાના ધોરણમાં લેડી ટીચર હોવાથી તે બાળકોને વધુ સમજી શકે છે. અર્લીચાઇલ્ડ એજ્યુકેશનમાં તેની લાગણી, માંગણી વિગેરેનું જતન શિક્ષકે કરવું જ પડે છે. ઘર છોડીને પ્રથમવાર શાળાએ આવનાર બાળકને પ્રેમ, હુંફ, લાગણી મળે તો તે નિશાળમાં બેસશે , અન્યથા રડવા લાગશે કે ઘરે જવાની જીદ્ પકડશે.

ફાઉન્ડેશનમાં શૈક્ષણિક રમકડાનું વિશેષ મહત્વ છે, સાથે પ્રવૃતિ દ્વારા શિક્ષણ અપાય તો આનંદમય શિક્ષણ કે જોય ફૂલલર્નીંગનો હેતુ સરે છે. વર્ગખંડના બાળકોના રસ, રૂચી, વલણો, આધારિત સરળ શૈલીની શિક્ષણની પધ્ધતિ શિક્ષકે અમલમાં મૂકવી પડે છે. આ વય કક્ષાના બાળકોને દ્રશ્યશ્રાવ્ય સાધનોના ઉપયોગથી તમે ઘણું શીખવી શકો છો. તેમના માટેના પુસ્તકો પણ રંગબેરંગી હોવા જોઇએ. દરેક બાળકની ક્ષમતા અલગ-અલગ હોય શકે છે. એકી સાથે વર્ગખંડના તમામ બાળકો શીખી જાય એ શક્ય જ નથી.

નાના બાળકોને કોઇપણ ચિત્ર બતાવો તો તે વિશે તે નાના વાક્યો બોલે છે. આવી એક્ટીવીટી નિયમિત કરાવવાથી તેની મૌખિક અભિવ્યક્તિ ખીલે છે. ઘણીવાર તો બાળકને લખતા-વાંચતા કશું જ ન આવડતું હોય છતાં , તે ઘણા બધા વાક્યો ફક્ત ચિત્ર જોઇને બોલે છે, આમા બાળક જોવે છે, વિચારે છે ને પછી ગોઠવીને વાક્યો બોલતો થાય છે. આમ જોઇએ તો બાળક તેના આસપાસના પર્યાવરણમાંથી પણ ઘણું શીખીને આવે છે. તમે પ્રવૃતિ કરાવો ત્યારે તે પણ તમને પ્રશ્ન પણ કરે છે. બાળક રમતાં-રમતાં ઘણું શીખે છે.

બાળકોને જૂથ પધ્ધતિમાં કાર્ય કરાવવાથી તે ઝડપથી ગ્રહણ કરી લે છે. ફ્લેશકાર્ડ, મણકાઘોડી, ટપકાં જોડી ચિત્રો બનાવવા, રંગપૂરણી, કાગળ કટીંગ, મૂર્ત વસ્તુની ગણતરી કે અલગ-અલગ કરીને જુદા પાડવા જેવી વિવિધ રમતોથી ગુજરાતી, ગણિત, પર્યાવરણ શિક્ષક કે મા-બાપ શિખવી શકે છે. વિવિધ તહેવારો વખતે તેની વાત સાથે તેના દ્વારા જ ઉજવણી કરવાથી તે શિક્ષણ સાથે લાંબો સમય ટકી રહે છે. પતંગ, હોડી, ફળો, પ્રાણીઓ, સંતો દેશ નેતા વિગેરેના ચાર્ટ દ્વારા બાળક જાતે શીખતો  થઇ જાય છે. બાળકને જુદા-જુદા અવાજોથી પરિચિત કરાવો ને પ્રાણીઓના અવાજો સંભળાવો , બાદમાં તે પણ એવા અવાજ દ્રઢિકરણથી સતત સાંભળતા કે બોલતા શીખી જાય છે. ગાયના ચિત્ર ઉપરથી તે ગાયની ઘણી વાત શીખે છે, બોલે છે.

હવે ધોરણ પાંચ સુધી માતૃભાષામાં શિક્ષણ થવાનું છે. જે ખૂબ જ સારી બાબત છે. અત્યાર સુધી પ્રારંભથી અંગ્રેજી માધ્યમમાં ભણતો બાળક દુકાનનું ગુજરાતી બોર્ડ પણ વાંચી શકતો ન હતો. માં-બાપ ગુજરાતી બોલેને છોકરો ખાલી અંગ્રેજી એવું પણ પરિવારોમાં જોવા મળતું. સરવાળા, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર મૂર્ત વસ્તુના માધ્યમથી બહુ જ સરસ શિખડાવી શકાય છે. કાઢવા અને ઉમેરવા કે ઓછા કરવા તે વસ્તુના માધ્યમથી શીખવી શકાય છે. ફાઉન્ડેશનમાં શ્રવણ, કથન, લેખનનું મહત્વ છે તો વાંચન, ગણન, લેખનનું મહત્વ છે. બાળક સાંભળે, સમજે-વિચારેને લખે તે આદાન-પ્રદાન ની ક્રિયા વર્ગખંડની હોવી જોઇએ. પુનરાવર્તન સતત મહાવરો અને દ્રઢિકરણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હોવું જરૂરી છે. આ વય જૂથના બાળકો રમતમાં ઘણું બધુ ભૂલી જતાં હોવાથી સતત મહાવરો આપવો જરૂરી છે.

અર્લી ચાઇલ્ડ એજ્યુકેશન અને ધો.1-2ના ગાળામાં બાળકમાં સમજનું મહત્વ અને તે દરેક પ્રવૃતિમાં ભાગ લે તેવું અસરકારક વર્ગખંડનું વાતાવરણ હોવું જોઇએ.  શિક્ષકની સજ્જતા જ બાળકને પ્રેરણા આપે છે , તેથી તે સ્વઅધ્યયન કરતો થાય છે. તેનામાં રહેલી વિવિધ કલાને શિક્ષક જાણીને સતત પ્રોત્સાહન આપે તે જરૂરી છે. વિવિધ આકારોના માધ્યમથી ચિત્રો કે રમતો દ્વારા તેને શિખવી શકાય છે.સારૂ અને ખરાબ આ બે વસ્તુ બાળકોને શિખવવી જરૂરી છે. જીવનમૂલ્યનાં પાઠ વિવિધ પ્રસંગો, વાર્તા, ગીતો દ્વારા કરાવીને તેને સતત શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડી રાખે તે જ સાચો શિક્ષક, બાળ મનોવિજ્ઞાનનો શિક્ષક અભ્યાસી હોવો જોઇએ. વર્ગખંડના દરેક બાળક વિશે તે તમામ બાબત જાણતો હોવો જોઇએ. બાળકો પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે પ્રેમભાવ કેળવે એ માટે વિવિધ પ્રવૃતિઓ વર્ગખંડમાં યોજવી જોઇએ. બાળક જોઇને  80 ટકાથી વધુ શીખે છે. તેથી આવા બાળકોને પર્યાવરણનો સતત મહાવરો કરાવવો.

સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ચિત્ર  વાર્તા સૌથી વધુ ઉપયોગી

શિક્ષણ લેતા ટબુકડા બાળ મિત્રો  માટે ચિત્રો દ્વારા વિવિધ સમજનોપ્રયોગ ખુબજ સફળ રહ્યો છે નાના બાળકનું મગજ ખૂબજ સતેજ હોવાથી ને બહું ઝડપથી શીખી જાય છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ચિત્ર વાર્તા સૌથી અસરકારક બને છે. બાળમનોવિજ્ઞાન પણ તેના રસ-રૂચિવલણને ધ્યાને  આવી પ્રવૃત્તિની હિમાયત કરે છે. નાના બાળકને બિહામણા ચિત્રો કયારેય ન બતાવવા, પર્યાવરણ, પશુ, પંખી, જંગલો, કુદરતી દ્રશ્યો, બાળવાર્તાનાં ચિત્રો, ક્રમિક ચિત્રોની વાર્તા બતાવવી આવું બધું જોઈને તેની કલ્પના શકિત ખીલે છે અને તે તેની સમજ પ્રમાણે બોલવા લાગે છે. બાળક સાંભળે છે પછી વિચારે છે અને પછી સમજે છે. શ્રવણ-કથનના બે પ્રારંભીક તબકકા પાયાના શિક્ષણ માટે ખૂબજ જરૂરી હોવાથી શિક્ષક મિત્રોએ વિશેષ કાળજી લેવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.