Abtak Media Google News

મા બાપની લાગણી દુભાવવી નહીં, સુખમાં બીજાને ભાગીદાર બનાવવા, શકિતનું પ્રદર્શન ન કરવું અને કયારેય નિરાશ ન બનવું

પ્રભુ મહાવીર સ્વામીએ આપેલા ૪ સંદેશને જીવનમાં અપનાવવા હંમેશા પ્રયત્નશીલ બનવું જોઈએ તેમ પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબે પર્યુષણ મહાપર્વનાં ત્રીજા દિવસે જણાવ્યું હતું.

Advertisement

પૂ.ધીરજમુનિ મ.સા.એ વધુમાં જણાવ્યું કે, આજથી આશરે ૨૬૦૦ વર્ષ પૂર્વે બિહારના ક્ષત્રિયકુંડ નગરમાં રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં ચૈત્ર સુદ તેરસના જન્મ ધારણ કરનાર અને જન્મથી સર્વત્ર વૃદ્ધિ થતા વર્ધમાન નામ અપાયું હતું તેવા અહિંસાના અવતાર અને જૈનધર્મમાં ૨૪માં તીર્થકરપદે બિરાજમાન થયેલા પ્રભુ મહાવીર સ્વામીના નામથી કોણ અજાણ હોય શકે ?

પ્રભુ મહાવીર સ્વામીના આત્માએ નયસાર સુથારના ભવમાં ભુલા પડેલા સંતને ભોજન વહોરાવી સમકિત (સાચી સમજણ)ને પ્રાપ્ત કરી ભવકટીની શરૂઆત કરતા ૨૭ ભવમાં પ્રભુના જન્મ-મરણનો અંત આવ્યો ? આપણા ભવભ્રમણનો અંત કયારે ? પ્રભુ મહાવીરના ૪ સંદેશને જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બનવાનું ભુલશો નહીં.

પ્રથમ સંદેશ છે કે, મા-બાપના દિલને કદી દુભવશો નહીં. પ્રભુએ ગર્ભમાં પણ માતાને ઠેસ ન પહોંચે તે માટે જ્ઞાન વડે જાણીને હલન-ચલન શરૂ કરી માતાના ભાવોની પૂર્તિ કરી હતી. આજની પેઢીનો સૂર સંભળાય છે કે મા-બાપનો સ્વભાવ સારો નથી પણ વિચારજો મા-બાપે જન્મ આપ્યો છે તો સંતાનોનું અસ્તિત્વ છે. પ્રભુનો બીજો સંદેશ છે કે તમારા સુખમાં બીજાને ભાગીદાર બનાવો. સુખનો ભોગવટો તમે એકલા ન કરો, તમારા પરીવારને, સાધર્મિકને હાથ લાંબો ન કરવો પડે એવા ઉદાર બનો.પ્રભુ મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે એક વર્ષમાં ૩ અબજ ૮૮ કરોડ ૮૦ લાખ સોનામહોરનું વર્ષીદાન કરેલ. લોભવૃતિ અને પરિગ્રહની આશકિતને છોડવા માટે દાન અતિ જરૂરી છે.

પ્રભુનો ત્રીજો સંદેશ છે કે શકિતનું પ્રદર્શન કરશો નહીં. જીવનમાં પુણ્યના ઉદયે પૈસો પ્રાપ્ત થાય છે માટે પૈસો કે પાવર બતાવવો નહીં. શકિતનું પ્રદર્શન કરનારા રાવણ અને કૌરવો રાખમાં રોળાઈ ગયા. સિકંદર જેવાને પણ ખાલી હાથે જ જવું પડયું ! પ્રભુનો ચોથો સંદેશ છે કે નિરાશ કદી બનશો નહીં. શુભે યથાશકિત પ્રયત્નીયમ’ વિકટ પરિસ્થિતિમાં પણ નિરાસાને ખંખેરીને મનોબળ મજબુત બનાવવું. સંકલ્પથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો આપણે સહુ માનવભવને સફળ બનાવવા પ્રભુ મહાવીરના ચિંઘ્યા રાહે ચાલવા પગલી ભરીએ. પ્રભુના ત્રણ સિઘ્ધાંતમાં (૧) આચારે અહિંસા (૨) વિચારે અને કાંત અને (૩) વ્યવહારે અપરિગ્રહની ભાવનાને સઘ્ધર બનાવીએ. પ્રભુનો ધર્મ ગુણપ્રધાન છે વ્યકિત પ્રધાન નથી. તેથી જ કહેવાય છે કે જૈન ધર્મ જે પાળે તેનો ધર્મ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.