Abtak Media Google News

રાજકોટના ખંઢેરી ખાતે  ક્રિકેટ સ્ટેડીયમની બાજુની જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ખરીદ કરવામાં આવતા જમીન વેંચનારના સંબંધી મીણબાઈ નાથાભાઈ કોઠીવાર દ્વારા સદર જમીનમાં પોતાનો અવિભાજીત વારસાઈ હિસ્સો હોવા બાબતે  દાખલ કરાયેલ વાંધા અરજીના કામે સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસીએશનને પક્ષકાર તરીકે જોડવા કરાયેલી અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે.

આ કેસની હકીકત એવી છે કે,  ખંઢેરી ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ નજીક  પડધરી તાલુકાના ખંઢેરી ગામના રેવન્યુ સર્વે નં. 78 ની આશરે 17 એકર જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સને-2019માં રજિસ્ટર દસ્તાવેજથી જમીન માલીક સ્વ. નારણભાઈ દેશળભાઈ જળુ અને સ્વ. કરશન દેશળભાઈ જળુના વારસો પાસેથી ખરીદ કરી હતી.

જે જમીન ખરીદ કરતા સમયે દૈનિકપત્રમાં જાહેર નોટિસ આપતા જમીન વેંચનારના ફઈબા  મીણબાઈ નાથાભાઈ કોઠીવારે વાંધો લઈ ઉપરોકત મિલ્કત સિવાયની તેમના પિતા સ્વ. દેશળભાઈ જળુની અન્ય મીલ્કતોમાં પણ તેમનો ત્રીજા ભાગનો હિસ્સો હોવાનું જણાવી રાજકોટની અદાલતમાં દિવાની અરજી દાખલ કરી તેમના પિતાશ્રી દ્વારા કોઈ વિલ બનાવવામાં આવેલું ન હોવાનું જણાવી તેમના બંન્ને ભાઈઓ દ્વારા તેમના પિતાની મીલ્કતોમાં તેનો 33% હિસ્સો ડુબાડવા બોગસ એન્ટ્રીઓ દાખલ કરાવડાવેલ હોવાની તકરાર લઈ તેમના પિતાની તમામ મીલ્કતોમાં તેમની વારસદાર તરીકે જોડી અને વારસા સર્ટિફિકેટ ઈશ્યુ કરવા તેમજ ઉપરોકત મિલ્કતો તેમના ભત્રીજાઓ અન્ય કોઈ વ્યકિત, સંસ્થા, ટ્રસ્ટ, બેંક કે અન્ય કોઈપણ રીતે વેંચાણ કે તબદીલ કરે નહીં અને મીલ્કતમાં તેમનો સંયુકત ભોગવટો કરતા અટકાવે નહી તેમજ મીલ્કતમાં પ્રવેશ કરવા અટકાવે નહી તેવો કાયમી મનાઈ હુકમ આપવા અદાલતમાં અરજી દાખલ કરી હતી.મીણબાઈ  કોઠીવાર દ્વારા અદાલતમાં અરજી કરાયા બાદ તેમના ભાઈઓ સ્વ. નારણભાઈ તથા સ્વ. કરશનભાઈના વારસો દ્વારા તેમના પિતાની મિલ્કતો પૈકીની ખંઢેરીના રેવન્યુ સર્વે નં. 78ની આશરે 17 એકરની જમીન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સને-2019માં રૂા. 12 કરોડમાં વેંચાણ કરેલું હોય, જેથી મીણબાઈ દ્વારા તેમની અરજીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન પણ અસરકર્તા  હોય તેમને પક્ષકાર તરીકે જોડવા અરજી દાખલ કરી હતી.

જે અરજી સુનાવણી માટે આવતા મીણબાઈ કોઠીવાર વતી એવી રજૂઆત કરાયેલ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા વિવાદીત મિલ્કત ખરીદ કરવા માટે આપવામાં આવેલ જાહેર નોટિસ સામે અરજદારે વાંધાઓ પ્રસિધ્ધ કરેલ હોવા છતાં ક્રિકેટ એસોસીએશન દ્વારા રૂા. 12 કરોડ જેવી માતબર રકમ ચુકવી વિવાદીત જમીન ખરીદ કરવામાં આવેલ હતી. અને અરજદાર દ્વારા અદાલતમાં કરાયેલ અરજીનો જે કોઈ ન્યાયીક નિર્ણય થાય તે મિલ્કત ખરીદનાર તરીકે ક્રિકેટ એસો.ને પણ અસરકર્તા બની રહે તેથી એસો.ને પક્ષકાર તરીકે જોડવા અરજી દાખલ કરી હતી.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએસનને પક્ષકાર જોડવા માટેની અરજીનો વિરોધ કરતા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત લેખીત તથા મૌખીક રજુઆતો કરી જણાવેલ હતું કે અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવેલ છે તે ઈન્ડિયન સકસેશન એકટ મુજબ તેમના પિતાની મિલ્કતોમાં વારસા હકક મેળવવા માટે કરેલી છે,  જેથી ક્રિકેટ એસોસીએશન  બોનાફાઈડ પરચેઝર  છે, તેમને અરજદારની પારીવારીક તકરાર સાથે કોઈ જ લેવા દેવા નથી, તેથી પક્ષકાર બનાવી શકાય નહી.

તે ઉપરાંત એવી પણ રજુઆત કરવામાં આવેલી કે, અરજદાર દ્વારા વેંચાણ દસ્તાવેજની સામે અલગથી દાવો દાખલ કરવામાં આવેલો છે જે હકીકત  અદાલત સમક્ષ સંતાડેલ છે. અને જે દલીલો કરવામાં આવેલ છે  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર બનાવવાથી અરજદાર કે સામાવાળાઓ વચ્ચેની તકરારને કોઈ અસર થતી નથી. જેથી ક્રિકેટ એસોસીએશન યોગ્ય અને જરૂરી પાર્ટી હોવાનું જયારે અરજદાર બતાવી શકતા ન હોય ત્યારે કોર્ટ પ્રોસિડિંગ્સમાં તેમને પક્ષકાર તરીકે જોડી હેરાન કરી શકાય નહી, તે મુજબની દલીલો કરી  વડી અદાલતોના વિવિધ ચૂકાદાઓ રજુ રાખેલ હતા.

બંન્ને પક્ષકારોની દલીલોના અંતે રાજકોટના અધિક સીનીયર સિવીલ જજે સૌરાષ્ટ ક્રિકેટ એસોસીએશન વતી થયેલી દલીલો અને રજુ થયેલા ચૂકાદાઓ માન્ય રાખી અદાલત દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને પક્ષકાર તરીકે જોડવાની અરજી નામંજુર કરવામાં આવી છે.આ કામમાં સામાવાળા વતી યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી,ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા, સિધ્ધાર્થ દવે રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.