Abtak Media Google News

સતત ત્રીજી વાર બિન હરીફ ચૂંટાતા જયદિપસિંહ ડોડીયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. ના કારોબારી સદસ્યોની એક મહત્વની બેઠક આગામી ચાર વરસ માટે પદાધિકારીઓની ચૂંટણી કરવા માટે મળી હતી.

આ બેઠકમાં મોટાભાગના કારોબારી સદસ્યો હાજર રહ્યા હતા. ગહન ચર્ચા વિચારણાના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. ના પ્રમુખ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર અને આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રો. ડો. જયદીપસિંહ ડોડીયાની સતત ત્રીજી વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આમ પ્રો. જયદીપસિંહ ડોડીયા પ્રમુખ પદે સતત ત્રીજીવાર બિનહરીફ ચૂંટાયા છે. તેમજ ઉપપ્રમુખ તરીકે ભૌતિકશાસ્ત્ર ભવનના સિનિયર પ્રાધ્યાપક ડો. જયંત એ. ભાલોડિયા, મંત્રી તરીકે ગણિતશાસ્ત્ર ભવનના પ્રો. ડો. વિનોદરાય જે. કનેરિયા, સહમંત્રી તરીકે મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ તેમજ ખજાનચી તરીકે રસાયણશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડો. રંજન ખૂંટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લખનીય છે કે છેલ્લા પાત્રીસ વર્ષથી મંડળીના કારોબારી સભ્યો અને તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં ક્યારેય ચૂંટણી યોજવાની નોબત આવી નથી, જેનો સંપૂર્ણ શ્રેય આ સહકારી સંસ્થાનું હિત જેમના હૈયે વસેલું છે તેવા તમામ સભાસદો ને ફાળે જાય છે. કારોબારીની આ મહત્વની બેઠકમાં વરિષ્ઠ કારોબારી સભ્ય પ્રો. અતુલ ગોસાઈ, હોમસાયન્સ ભવનના પ્રાધ્યાપક ડો. રેખાબા જાડેજા, કોમર્સે ભવનનાં પ્રાધ્યાપક ડો. અશ્વિન સોલંકી , સમાજ શાસ્ત્ર ભવનનાં પ્રાધ્યાપક ડો. ભરતભાઈ એમ. ખેર વગેરે હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની આ ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી લિ. ના નવનિયુક્ત હોદ્દેદારોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો. ગીરીશભાઈ ભીમાણી ,  ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય પ્રો. કલાધર આર્ય તેમજ રાજકોટ આરડીસી બેંકના ડિરેકટર અરવિદભાઇ તાળાએ અભિનંદન પાઠવ્યા છે તેમજ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના કાર્યકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધે અને સૌરાષ્ટ્રની ધરાને શોભે તેવી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.