Abtak Media Google News

પાર્ટીની બેઠકમાં કમિટીએ શરદ પવારને અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો કરવાનું સૂચન આપી રાજીનામુ નામંજુર કર્યું

એનસીપીની કમિટીએ શરદ પવારના રાજીનામાને નામંજૂર કરી દેતાં તેમનું અધ્યક્ષ પદ યથાવત રહેશે. શરદ પવારને અધ્યક્ષ બનાવી રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી મળી ગઈ છે.

શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામાની જાહેરાત કરી હતી અને તેના બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી હતી. આ બેઠકમાં પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એનસીપીના દફ્તરની બહાર એનસીપીના કાર્યકરો દ્વારા જોશભેર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. શરદ પવારના સમર્થનમાં અહીં સૂત્રોચ્ચાર થયો હતો.

નેશનલ કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ પ્રફુલ્લ પટેલે પત્રકાર પરિષદ દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, શરદ પવારે 2 મેના રોજ અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. તેમણે આગળની કાર્યવાહી માટે અને નવા પ્રમુખની પસંદગી માટે પક્ષના નેતાઓની એક સમિતિની નિમણૂક કરી. આજે અમારી કમિટીની બેઠક હતી. આમાં અમે પવારને તેમનો કાર્યકાળ પૂરો કરવા વિનંતી કરી છે.

આ અગાઉ પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ નક્કી કરવા માટે શરદ પવારે 18 સભ્યોની સમિતિ બનાવી હતી. જેમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, પીસી  ચાકો, નરહિ જિરવાલ, અજીત પવાર, સુપ્રીયા સુલે, જયંત પાટિલ, છગન ભૂજબળ, દિલીપ વલસે પાટિલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ અને પાર્ટીના અન્ય નેતા સામેલ છે.

શરદ પવારનું રાજીનામું નામંજૂર થતા તેઓ એનસીપીના અધ્યક્ષ પદે રહેશે. આ નિર્ણય બાદ હવે મુંબઈ સ્થિત એનસીપી ઓફિસ બહાર જશ્નનો માહોલ છે. કાર્યકરોએ શરદ પવારના સમર્થનમાં નારેબાજી કરી. એનસીપીની કોર કમિટીએ પાર્ટી પ્રમુખ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખવાની ભલામણ કરતા એક પ્રસ્તાવ પસાર કર્યો. કમિટીના પ્રસ્તાવ બાદ હવે શરદ પવાર નિર્ણય લેશે કે શું કરવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.