Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી દિન” ઉજવણી અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા ચેક અર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સતાનો મોહ નહી પરંતુ પ્રજાની વચ્ચે વિનમ્રતાથી સતા નહી પણ જવાબદારી સંભાળેલ છે. અને માનવી ત્યાં સુવિધા વિવાદ નહી સંવાદ લઘુતમ સાધનો મહતમ ઉપયોગ અને આપણી પોતાની સરકારના ભાવ સાથે સરકારની ધૂરા સંભાળેલ અને તેવુ જ વાતાવરણ પાંચ વર્ષમાં સર્જાયેલ છે. સરકાર મુખ્ય ચાર સ્તંભો સાથે પારદર્શકતા અને ઈમાનદારીથી કામ કરી રહી છે. નિર્ણાયકતામાં સત્વરે નિર્ણય લઈ અને અનિરર્ણાયકતામાં વિકાસ રૂધાય નહિ.

ભૂતકાળમાં જે નિણર્યનો અભાવ હતો. નિર્ણય કરવા માટે ઈમાનદારી જોઈએ. અમારો સ્વાર્થ નથી માટે ઝડપથી નિર્ણય કરી શકાયા છે. કોરોનાકાળમાં પણ રાજ્યનો  વિકાસ થંભવા દીધો નથી. બીજી લહેરમાં સંપૂર્ણ લોકડાઉન વગર કામો આગળ ધપાવ્યા છે. ત્રીજી લ્હેર આવે તો તેનો સામનો કરવા માટે સરકાર સજ્જ છે.

ભૂતકાળની સરકારમાં 20 થી 25 વર્ષ પહેલા હાથ ધરેલી સુધી યોજનાઓ સાકાર કરી શકી નહોતી, જેમાં નિર્ણયનો અભાવ હતો. અત્યારની સરકાર સૌ સાથે બેસીને ત્વરિત નિર્ણય કરે છે. અમારી સરકાર જે કામોનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. અમારી સરકાર લોકોને આંબા આંબલી બતાવતી નથી. અગાઉની સરકારોનું બજેટ 8000 કરોડથી 9000 કરોડ જેટલું રહેતું હતું જ્યારે આજે આપની સ્ટ્રક્શનનું બજેટ બે લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. પાંચ વર્ષમાં સરકાર દ્વારા 1700 થી વધુ નિર્ણયો કર્યા છે.

અમારી સરકાર લોકો સૂચવે એ પહેલા જ, સામે ચાલીને લોકોના કામો કરે છે. ગરીબ, પીડિત, શોષિત,વંચિત લોકોને ધ્યાનમાં રાખી સર્વાંગી વિકાસ કરેલ છે. ગુજરાત વિશ્ર્વકક્ષાની સ્પર્ધામાં ઉણું ન ઉતરે તે દિશામાં કામ કરી રહી છે. હું સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હતો ત્યારે શહેરમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ હતી. ત્યારે ટેન્કરો અને ટ્રેનથી પાણી મંગાવવું પડતું હતું. આ સમસ્યા ઉકેલવા એલ.આઈ.સી. અને હુડકો પાસેથી લોન લઈ કામ કરવામાં આવતું. ત્યારની સરકાર દ્વારા ફૂટી કોડી પણ મળતી ન્હોતી.

આજની અમારી સરકાર દ્વારા ગામડા, નગરો અને શહેરોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ત્વરિત ફાળવવામાં આવે છે. બે દસકામાં રાજ્યની કાયાપલટ થયેલ છે તેમ અંતમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવેલ કે, છેલ્લા પાંચ વર્ષમાં શહેરી વિકાસ બાબતે ગુજરાતે અમાપ સિધ્ધિ પ્રાપ્ત કરી છે. સને-2001માં જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગુજરાતનાં વિકાસનું લક્ષ્યાંક રાખેલ હતું. રાજયના શહેરો લીવેબલ અને લવેબલ બન્યા છે. અમદાવાદનો રીવરફ્રન્ટ દેશ અને દુનિયામાં અમદાવાદની ઓળખ સમાન બન્યો છે. સ્માર્ટ સિટી, સફાઈ તથા “સીટી ઈઝ ઓફ લિવીંગ” ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. અમે ફકત ઉજવણી નથી કરતા પરંતુ વિકાસ માટે પ્રતિબધ્ધતા દર્શાવી, રાષ્ટ્રીય ઈચ્છાશકિત દર્શાવી છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવેલ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની સરકાર છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અને પ્રથમ દિવસથી જ રાજયના મહાનગરો, નગરો અને ગામડાઓની સતત ચિંતા કરી રહી છે. શહેરોની સાથે ગામડાનો પણ સમાંતર વિકાસ થાય તે પરત્વે પૂરતુ ધ્યાન આપેલ છે. શહેરી વિકાસ માટે વાર્ષિક રૂ.13,440 કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. છેલ્લા 5-વર્ષમાં 156-નગરપાલિકા અને 8-મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર દ્વ્રારા પૂરતો પ્રયાસ કરવામાં આવેલ છે. અને આશરે રૂ.61,845 કરોડ ફાળવવામાં આવ્યા છે. આજે રૂ.5000 કરોડનાં 471 જેટલા વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત થનાર છે તેમજ રાજયની નગરપાલિકા અને મહાનગરપાલિકાને રૂ.1000 કરોડનાં ચેકો અર્પણ કરવામાં આવનાર છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જણાવ્યુ કે, એક સમય એવો હતો કે, રૂપિયા એક કરોડની ગ્રાન્ટ માટે પણ ગાંધીનગર સુધી અનેક ધક્કા ખાવા પડતા હતાં. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. સરકાર દ્વારા તમામ ગ્રાન્ટની રકમ સત્વરે ફાળવવામા આવે છે. ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા જકાત નાબૂદી કરવામા આવી ત્યારે વિરોધ પક્ષ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવેલ હતો અને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવેલ કે રાજ્યની નગરપાલિકા તથા મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચાલશે.? વિકાસ કામો કેવી રીતે થશે.?

રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, “શહેરી જનસુખાકારી દિવસ” અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળનાં કુલ રૂ. 39.98 કરોડના લોકાર્પણ તથા રૂ. 2.74 કરોડના ખાતમુહૂર્ત મળી કુલ રૂ. 42.72 કરોડના કામોનાં મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા તેમજ ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ચેરમેન અમિત અરોરા દ્વારા પુસ્તક તથા પુષ્પગુચ્છ આપી, મુખ્ય મહેમાન અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.