Abtak Media Google News

દલિતોને વરઘોડાનો અધિકાર છે, રાજય સરકાર દલિતો સાથે હર હંમેશા છે જ અને રહેશે જ: ગુજરાતની શાંતિ હણનારા તત્વો દ્વારા રાજયની શાંતિ ડહોળવાના પ્રયત્નોને રાજય સરકાર સાંખી લેશે નહિ, વિધટનકારી તત્વોને નાગરિકો ઓળખે જ છે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેર્યુ કે, રાજયમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે પરંતુ રાજયમાં દલિત સમાજના વરઘોડા દરમીયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુ:ખદ છે. રાજય સરકાર આ માટે સતત ચિંતીત છે. આ ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાંકડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ તેમની સાથે છે અને કાયમ રહેશે જ.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, કડી તાલુકાના લ્હોર ગામે પ્રથમ ઘટના ઘટી કે તુર્તજ  રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને રાજયની શાંતી, સલામતી અને ભાઇચારાની ભાવના ડહોળાઇ નહી તે માટે સતત માર્ગદર્શન આપીને કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સુચનાઓ આપી હતી. લ્હોર ગામે તો રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કરસનભાઇ સોલંકી દ્વારા રૂબરૂ પહોચી જઇને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજીને તમામને સમજાવાયા હતા અને ગામમાં સુલેહ સ્થાપવાના પ્રયાસો પણ કરાયા હતા. સાથે સાથે રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકની ત્વરિત કામગીરીના પરિણામે લ્હોર ખાતે જનજીવન ગણતરીની પળોમાં જ પૂર્વવત થઇ ગયું હતું.

ગૃહ મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત એ વિકસીત રાજય છે. રાજય સરકારની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજયમાં કાયદો વ્યવસ્થાની સુપેરે પરિસ્થિતિના કારણે રાજયમાં શાંતિ જળવાઇ રહી છે ત્યારે કેટલાક વિધટનકારી તત્વો કે જે ચૂંટણીમાં હાર ભાળી ગયા છે તેઓ ગુજરાતની શાંતિને હણવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને રાજય સરકાર કયારેય સાંખી લેશે નહી. આવા તત્વોને રાજયના સૈા પ્રબુધ્ધ નાગરિકો સારી રીતે ઓળખે જ છે તેમણે કહ્યું કે, રાજયમાં ભાઇચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે સૈાનો સાથ સૈાનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને રાજયના સૈા નાગરિકો પણ રાજય સરકાર સાથે ખભે ખભા મિલાવીને દલીત સમાજની પડખે ઉભા રહીને સધિયારો આપે તે અત્યંત જરૂરી છે.

મંત્રી જાડેજાએ કહ્યું કે, કડી તાલુકાના લ્હોર ખાતે બનેલ બનાવ સંદર્ભે પાંચ વ્યક્તિઓની અટકાયત કરી દેવાઇ છે. તેમજ મોડાસા તાલુકાના ખંભીરસર ગામે પણ દલીત સમાજ દ્વારા વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગતા પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ વરઘોડો શાંતિથી પૂર્ણ  થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. વરઘોડા દરમીયાન કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પુરતા પગલા લેવાયા હતા. જેના પરિણામે કોઇ ઘટના ઘટી ન હતી. નાયબ પોલીસ અધિક્ષક સામેના આક્ષેપો સંદર્ભે અરવલ્લી પોલીસ અધિક્ષકને તપાસ સોંપવામાં આવી છે અને અહેવાલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, પ્રાંતિજ તાલુકાના સીતવાડા અને બોરીયા ફળીયું ખાતે  તથા વડાલી તાલુકાના ગાજીપુર ખાતે દલિત સમાજ દ્વારા દિકરા-દિકરીના લગન સંબધે વરઘોડો કાઢવા સંદર્ભે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખીને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો શાંતિપૂર્વક સંપન્ન થયો હતો અને કોઇ અનઇચ્છનીય બનાવ બન્યો નથી.

સમાજના આગેવાનો દ્વારા ભાઇચારાની ભાવના બની રહે તે માટેના પ્રયાસો પણ થઇ રહ્યાં છે. ભાવનગર તાલુકાના વેળાવદર ખાતે કાઠી દરબાર દ્વારા દલિત યુવાનના વરઘોડામાં પોતાની ઘોડી આપીને અનેરૂ ઉદાહરણ સમાજને પુરૂ પાડયું છે ત્યારે રાજય સરકારની સંવેદનશીલતા અને પ્રજાકીય સહયોગના પરિણામે રાજયમાં સામાજીક સમરસતાનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આપણે સૈાએ સહયારા પ્રયાસો કરવા પડશે તેવી અપીલ ગૃહમંત્રીએ રાજયના સૈા નાગરિકોને કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.