Abtak Media Google News

એનપીએ થયેલા લોન ધારકની લોનની રકમ હાઇકોર્ટમાં જમા કરાવવાના બદલે ગઠીયો ડમી ખાતામાં જમા કરાવી ફરાર

શહેરના બાલાજી હોલ પાસે રહેતા અને શાપરમાં સબ મશીબલ પંપનું કારખાનું ધરાવતા વેપારીને બેન્ક દ્વારા એનપીએ થયા બાદ લોન ભરવાઇ કરવા હાઇકોર્ટમાંથી ઓર્ડર મેળવી બાકી રકમ રૂા.78 લાખનો ડીડી હાઇકોર્ટમાં જમા કરાવવાના બદલે લોન કનસલટને બેન્કમાં ડમી ખાતું ખોલાવી બારોબાર ઉપાડી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રહેતા અને શાપર ખાતે અમલ પંપ નામનું કારખાનુ ધરાવાત મનસુખભાઇ બચુભાઇ રૈયાણીએ ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા લોન ક્ધસલટન દિપ ધીરૂભાઇ ભુત નામના શખ્સે હાઇકોર્ટમાં જમા કરાવવાનો રૂા.78 લાખનો ડીડી હાઇકોર્ટમાં જમા ન કરાવી બેન્કમાં ડમી ખાતુ ખોલાવી બારોબાર ઉપાડી લઇ પરિવાર પાસે પલાયન થઇ રૂા.78 લાખની છેતરપિંડી કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મનસુખભાઇ રૈયાણી 2001માં પ્રવિણભાઇ સાથે ભાગીદારીમાં બાલાજી ટ્રેડીંગ નામે ધંધો કરતા હતા ત્યારે લોન લેવામાં આવી હતી તેના હપ્તામાં પ્રવિણભાઇથી ચુક થતા બંને એન.પી.એ. થયા હતા. દરમિયાન મનસુભાઇ રૈયાણીએ પોતાના પુત્ર જયદીપ અને હાર્દિક સાથે ભાગીદારીમાં શાપર ખાતે અમલ પંપ એલ.એલ.પી નામની પેઢી શરૂ કરી કારખાનું શરૂ કરવા માટે બેન્ક ઓફ બરોડામાંથી લોન માટે અરજી કરતા બેન્ક ઓફ બરોડા દ્વારા રૂા.1.43 કરોડની લોન મંજુર કરી હતી તે પૈકી રૂા.30 લાખની સીસી લોન મંજુર કરવામાં આવી હતી.

મનસુખભાઇ રૈયાણીએ બેન્ક ઓફ બરોડામાંથી રૂા.99 લાખ મેળવી કારખાના માટે બાંધકામ કર્યુ હતુ અને મશીનરી ખરીદ કરી ધંધો શરૂ કરવા માટે રૂા.30 લાખની સીસી લોનની માગણી કરતા તેઓ એનપીએ હોવાથી સીસી લોન અટકી હતી.

મનસુખભાઇ રૈયાણીએ પોતાના જુના ભાગીદાર પ્રવિણભાઇને બાલાજી ટ્રેડીંગની બાકી લોન પુરી કરવા જણાવ્યું હતું. ત્યારે પ્રવિણભાઇએ રામનગરમાં રહેતા અને લોન ક્ધસલટનનું કામ કરતા દીપ ધીરૂ ભૂતનો પરિચય કરાવ્યો હતો અને બેન્ક લોનનું અને એનપીએ થયા હોય તેના ગુચવાડા ઉકેલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. બેન્ક ઓફ બરોડા દ્વારા રૂા.30 લાખની સીસી લોન મંજુર ન થતાં મનસુખભાઇ રૂા.99 લાખની ઉપાડેલી લોન ભરપાઇ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

મનસુખભાઇ રૈયાણી દ્વારા અત્યાર સુધીના ભરેલા હપ્તાનો હિસાબ કરી બાકી નીકળતા રૂા.78 લાખનો હાઇકોર્ટમાં ડીડી જમા કરાવવા હુકમ કર્યો હતો આથી મનસુખભાઇ રૈયાણીએ પોતાના સગા-સંબંધીઓ પાસેથી રૂા.78 લાખની વ્યવસ્થા કરી દિપ ભુતને હાઇકોર્ટના નામનો ડીડી કઢાવી અમદાવાદ આવી જવા જણાવ્યું હતું પરંતુ દિપ ભુત બેન્કમાં ડમી એકાઉન્ટ ખોલાવી બારોબાર રોકડી કરી ફરાર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. મનસુખભાઇ રૈયાણીએ રામનગર ખાતે તપાસ કરવા ગયા ત્યારે તેમના મકાનને તાળા મારી મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.