Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30,000થી વધુ રન બનાવનાર ‘ધ ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર

કેટલાક મહાન પેદા થાય છે. તો કેટલાક મહાનતા હાંસલ કરે છે. ને કેટલાકને મહાન બનાવવામાં આવે છે. વિલિયમ શેક્સપિયરે પોતાના નાટક ટ્વેલ્થ નાઈટમાં આ પંક્તિઓ લખી છે. વધુ એક કેટેગરીના લોકો હોય છે. તે પોતાની મહેનતથી પોતાનું કદ વધારે છે અને સૌથી મહાન બની જાય છે. આમાંથી તો કેટલાક ખૂબ જ ખાસ હોય છે, જે તમામ સીમાને પાર કરીને ભગવાન બની જાય છે. ક્રિકેટના લિજેન્ડ સચિન તેંડુલકર આ જ વર્ગમાં સામેલ છે.

અદ્ભૂત પ્રતિભાની સાથે જન્મેલા, તનતોડ મહેનતની મદદથી તેઓ ક્રિકેટના ભગવાન બની ગયા છે. ક્રિકેટના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે એટલે કે 24 એપ્રિલે 50મો જન્મદિવસ ઉજવઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં તેમને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. સચિન રમેશ તેંડુલકરે ક્રિકેટના તમામ ફોર્મેટમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. સાથે જ એવો બેન્ચમાર્ક બનાવ્યા છે, જેને એ જ ખેલાડી તોડી શકશે, જે ખૂબ જ પ્રતિભાશાળી, તનતોડ મહેનત કરનારો અને સૌથી વધુ ભાગ્યશાળી હશે.24 એપ્રિલ 1973ના દિવસે મરાઠી કવિ, નવલકથાકાર, સાહિત્યકાર રમેશ તેંડુલકર અને રજની (જે વીમા વિભાગમાં કામ કરતી હતી)ના ઘરે જન્મ્યા હતા. સચિન જીવનમાં કંઈ પણ બની શકતા હતા. જોકે, તેમનું નસીબ હતું કે, તેઓ ક્રિકેટર બન્યા. તેમના મોટા ભાઈ અજિત તેંડુલકરે ક્રિકેટ પ્રત્યે તેમની પ્રતિભાને ઓળખી અને તે તેમના કોચ રમાકાન્ત આચરેકર પાસે ગયા હતા, જે હંમેશા સચિનના ગુરૂ, ગાઈડ અને મેન્ટોર રહ્યા હતા. તેમણે સચિનની પ્રતિભાને ઓળખી અને તેમણે ભારતીય ક્રિકેટના ભગવાન બનાવી દીધા. સમગ્ર વિશ્વને પોતાની પ્રતિભાની ઝલક સચિને 1988માં બતાવી હતી. જ્યારે વિનોદ કાંબલીએ આંતર શાળા મેચમાં 664 રનની અણનમ ભાગીદારી કરી હતી. સચિને તે મેચમાં અણનમ 325 રન બનાવ્યા હતા. જ્યારે કાંબલીએ આ મેચમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. જોકે, કાંબલીની ક્રિકેટ કારકિર્દી નાની અને વિવાદો ભરેલી રહી હતી. બીજી તરફ સાડા 5 ફૂટના સચિનને ક્રિકેટના ભગવાન કહેવામાં આવ્યા.જ્યારે સચિનના સાથી ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ, હરભજન સિંહ, યુવરાજ સિંહ અને વિરાટ કોહલી સહિત તેમને આ જ નામથી બોલાવે છે. વિદેશી ક્રિકેટર પણ આમાં સામેલ છે. સચિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 30,000થી વધુ (34,357) રન બનાવનારા એક માત્ર ક્રિકેટર છે. તેણે 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે તમામ ફોર્મેટમાં 34,357 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 15,921 રન બનાવ્યા છે. સાથે જ તેમણે ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી (51) અને સૌથી વધુ ટેસ્ટ રમવાનો (200) રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેમના નામે આ ફોર્મેટમાં સૌથી વધુ ચોગ્ગા (2,058) છે અને તે સૌથી વધુ 15,000 ટેસ્ટ રન બનાવનારા બેટ્સમેન પણ છે.

સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મેળવનારા સૌથી નાની વયના ખેલાડી

આટલી મોટી ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમના અંગે કહેવામાં આવે છે કે, તેમણે ક્યારેય પણ આવેશમાં આવીને ક્યારેય કોઈ પણ ટિપ્પણી નથી કરી. અન્ય ખેલાડીએ પણ જ્યારે તેમની વિરૂદ્ધ નિવેદન આપ્યું હોય તો પણ તેમણે તેનો જવાબ પોતાના બેટથી આપ્યો છે. સચિન જ્યારે પણ બેટિંગ માટે ઉતર્યા છે. તેમણે મેદાનમાં પગ રાખતાં પહેલાં સૂર્ય દેવતાને નમન કર્યું છે. ક્રિકેટ પ્રત્યે તેમનો લગાવનો અંદાજ આ જ ઘટનાથી લગાવી શકાય છે કે, વર્લ્ડ કપ દરમિયાન જ્યારે તેમના પિતાનું નિધન થયું. આ અંગે જાણ થતાં જ તેઓ ઘરે આવ્યા, પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અને પરત ફર્યા. ત્યારબાદ સચિન આગામી મેચમાં રમવા માટે મેદાને ઉતર્યા ને સદી ફટકારીને પોતાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનારા તેઓ સૌપ્રથમ ખેલાડી અને સૌથી ઓછી વયના વ્યક્તિ પણ છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થનારા પણ તેઓ પહેલા ક્રિકેટ ખેલાડી છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તેમણે ભારતીય ક્રિકેટર્સની નવી પેઢીને પ્રભાવિત કરી છે અને જ્યારે તેઓ રમતા હતા ત્યારે તેઓ ભારતીયો માટે સૌથી મોટી આશા હતા. આ તેમનું વ્યક્તિત્વ છે, જે તેમને મહાન ક્રિકેટર બનાવે છે અને કેટલાક લોકો માટે ક્રિકેટના ભગવાન.

સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે

પૂર્વ ભારતીય કેપ્ટને સૌથી વધુ વન ડે (463) રમી છે. સાથે જ સૌથી વધુ વનડે રન (18,426) બનાવ્યા છે. તેમ જ સૌથી વધુ વન ડે સદી (49) ફટકારી છે. ઉપરાંત તેઓ વનડેમાં બેવડી સદી ફટકારનારા પહેલા પુરૂષ બેટ્સમેન બન્યા છે. તેમણે વર્ષ 2011ના વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. સાથે જ 6 વર્લ્ડ કપ રમનારા કેટલાક ક્રિકેટર્સમાં તેઓ પણ એક છે. સચિને ક્યારેય ક્રિકેટ પોતાના માટે નથી રમી. તેઓ હંમેશા જ પોતાની ટીમ માટે તેનાથી પણ વધારે પોતાના દેશ માટે રમ્યા છે. તેમના મનમાં ક્રિકેટ પ્રત્યે સૌથી વધુ સન્માનનો ભાવ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.