Abtak Media Google News

મૃતક યુવાને પરિણીતાને મોબાઈલ આપ્યો હોય જેમાંથી ફોન કરી અવાવ‚ જગ્યાએ બોલાવી પ્લાનીંગ મુજબ ખૂન કર્યાની આરોપીઓની કબુલાત મર્ડરનાં રહસ્ય પરથી પડદો ઉંચકતી અમરેલી એલસીબી

બાબરાના કલોરાણા ગામ પખવાડિયા પહેલાની હત્યાનો ભેદ ઉકેલાયો

પખવાડીયા પહેલા છગનભાઇ પોપટભાઇ સાંકળીયા, ઉં.વ.૫૦, રહે.કલોરાણા, તા.બાબરા વાળાએ બાબરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલ કે પોતાનો દિકરો રમેશ છગનભાઇ સાંકળીયા, ઉં.વ.૨૨ વાળો ગઇ તા.૧૬/૦૩/૧૯ ના રાત્રે તેના મોબાઇલમાં કોઇનો ફોન આવતાં ઘરેથી બહાર ગયેલ અને ત્યાર બાદ ઘરે પાછો આવેલ નથી તેમજ તેનો મોબાઇલ ફોન પણ બંધ આવે છે આમ, રમેશ છગનભાઇ સાંકળીયા ગુમ થયા અંગેની જાહેરાત આપતાં બાબરા પોલીસ સ્ટેશન ગુમ નોંધ નોંધાયેલ.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાઓને ગુમ થનાર યુવક અંગે તપાસ તજવીજ હાથ ધરી ગુમ થનાર યુવકના સબંધીઓ, પરિચિતોની પુછપરછ કરી યુવકના ગુમ થવા પાછળનું કારણ મેળવવા તેમજ ગુમ થનાર યુવકને શોધી કાઢવા સઘન પ્રયત્નો કરવામાં આવેલ. તપાસ દરમ્યાન અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે ગુમ થનાર યુવકને પરણિત યુવતી સાથે આડા સબંધ હોય જેથી તેનું ખુન થઇ ગયેલ છે અને તેની લાશ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં આ અંગે ખાનગી રીતે તપાસ હાથ ધરતાં મરણ જનારને તેના જ ગામની નીમુબેન નામની પરણિત યુવતી સાથે પ્રેમ સબંધો હોવાની હકીકત મળતાં નીમુબેનના પતિ અને શકદાર અશ્વિન ગોરધનભાઇ વાહાણી તથા તેના સબંધીઓ મળી કુલ પાંચ ઇસમોને રાઉન્ડ અપ કરી તેમની પુછપરછ કરતાં તેઓએ ગુમ થનાર યુવક રમેશ છગનભાઇ સાંકળીયાને માર મારી તેનું ખુન કરી નાંખી તેની લાશને કુવામાં ફેંકી દીધેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

તપાસ દરમ્યાન મરણ જનાર રમેશ છગનભાઇ સાંકળીયાને તેના જ ગામના અશ્વિન ગોરધનભાઇ વાહાણીની પત્ની  નીમુબેન સાથે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમ સબંધ હતો. રમેશે વાત-ચીત કરવા માટે નીમુબેનને મોબાઇલ ફોન આપતાં જે વાતની તેણીના પતિ અશ્વિન ગોરધનભાઇને ખબર પડી જતાં આ વાત સહન નહીં થતાં અશ્વિન ગોરધનભાઇ વાહાણીએ રમેશ છગનભાઇને મોતને ઘાત ઉતારવાનું નક્કી કરેલ અને પોતાનો આ ઇરાદો પાર પાડવા તેણે પોતાના કુટુંબી ભાઇ રાજુ ભોળાભાઇ વાહાણી, રહે.કલોરાણા, ભત્રીજા અજય અરવિંદભાઇ વાહાણી, રહે.કલોરાણા, પોતાના ફઇના દિકરાઓ માવજી મોહનભાઇ ધોરાળીયા તથા વિપુલ મોહનભાઇ ધોરાળીયા, રહે.બંને ઇતરીયા, તા.ગઢડા વાળાઓ સાથે મળીને રમેશ છગનભાઇ સાંકળીયાનું કાસળ કાઢી નાંખવાનું કાવતરૂં ઘડેલ.

અગાઉ કરેલ પ્લાનીંગ મુજબ અશ્વિન ગોરધનભાઇ વાહાણીએ પોતાની પત્ની નીમુબેન પાસે રમેશ છગનભાઇના મોબાઇલમાં ફોન કરાવી તેને મળવાના બહાને કલોરાણા ગામે અવાવરૂ વિસ્તારમાં આવેલ સરકારી નિશાળની પાછળની બાજુએ બોલવતાં રાત્રિના અગીયારેક વાગ્યે રમેશ છગનભાઇ એકલો નીમુબેનને મળવા માટે નિશાળ પાછળ જતાં ત્યાં હાજર અશ્વિન ગોરધનભાઇ, રાજુ ભોળાભાઇ, અજય અરવિંદભાઇ, માવજી મોહનભાઇ તથા વિપુલ મોહનભાઇએ મળીને કોદાળીના હાથા તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાના ધોકાઓ વડે રમેશ છગનભાઇને આડે-ધડ માર મારી તેનું ખુન કરી નાંખેલ. અને પછી રમેશની લાશને ચાદરમાં બાંધી, તેને મોટર સાયકલ ઉપર કલોરાણા તથા ગોખલાણા વચ્ચે આવેલ સીમમાં આવેલ વાડીના અવાવરૂ કુવા પાસે લઇ જઇ લાશની સાથે પથ્થરો બાંધી તેના ઉપર એલ્યુમિનીયમનો તાર વીંટી દસ ફુટ પાણી ભરેલ કુવામાં ફેંકી દીધેલ.

શકદાર અશ્વિન ગોરધનભાઇ વાહાણી તથા તેના સબંધીઓએ પોલીસ પાસે આપેલ કબુલાત આધારે કલોરાણા તથા ગોખલાણા વચ્ચેલ આવેલ સીમમાં આવેલ વાડીના અવાવરૂ કુવામાંથી એફ.એસ.એલ. અધિકારી તેમજ તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્ર્ેટની હાજરીમાં પોટલું બહાર કઢાવી ખોલતાં તેમાંથીપુરુષની કોહવાઇ ગયેલ લાશ મળી આવેલ હતી. લાશ ઉપરના કપડા તેમજ તેના બાંધા ઉપરથી આ લાશ પોતાના દિકરા ગુમ થનાર રમેશની હોવાનું કહી છગનભાઇ પોપટભાઇ સાંકળીયાએ લાશ ઓળખી બતાવેલ હતી.

મરણ જનાર યુવકના ભાઇ લાલજીભાઇ છગનભાઇ સાંકળીયા, ઉં.વ.૨૬, રહે.કલોરાણા વાળાએ અશ્વિન ગોરધનભાઇ વાહાણી વિ. ૬ ઇસમો વિરૂધ્ધ પોતાના ભાઇનું ખુન કરી લાશ કુવામાં ફેકી દીધા અંગે ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે.માં કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૧૨૦(બી), જી.પી.એક્ટ કલમ ૧૩૫* મુજબનો ગુન્હો રજી. થયેલ છે.  બનાવને પગલે અશ્વિન ગોરધનભાઇ વાહાણી, (ઉં.વ.૩૧,   રહે. કલોરાણા, તા.બાબરા.), રાજેશ ઉર્ફે રાજુ ભોળાભાઇ વાહાણી, (ઉં.વ.૨૧, રહે.કલોરાણા, તા.બાબરા.) અજય અરવિંદભાઇ વહાણી, (ઉં.વ.૧૯, રહે.કલોરાણા, તા.બાબરા.), માવજી મોહનભાઇ ધોરાળીયા, (ઉં.વ.૨૮, રહે.ઇતરીયા, તા.ગઢડા, જી.બોટાદ.) વિપુલભાઇ મોહનભાઇ ધોરાળીયા, (ઉં.વ.૨૨, રહે.ઇતરીયા, તા.ગઢડા, જી.બોટાદ.) વગેરે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આમ, પખવાડિયા પહેલા ગુમ થયેલ યુવકની હત્યા કરી લાશ કુવામાં નાંખી દઈ ગુન્હા પર પડદો પાડી દીધેલ હોય આ વણશોધાયેલા હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી પોલીસે સફળતા મેળવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.