Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ મોરબી જિલ્લામાં નોંધાઇ રહ્યા છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 381 કેસો, એક દર્દીનું મોત, 6 દર્દી વેન્ટિલેટર ઉપર

રાજ્યમાં કોરોનાની વહી રફતાર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોરબી કોરોનાની સ્થિતિએ જોખમી જણાઈ રહ્યું છે કારણકે અહીં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 381 કેસો નોંધાયા છે જેમાંથી મોરબી જિલ્લામાં 35 કેસો નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. માત્ર કોરોના કેસમાં જ વધારો નહીં પણ મૃત્યુના કેસ પણ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. જ્યારે 269 દર્દીઓ સાજા થયાં છે. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. તો રાજ્યમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. રાજ્યભરમાં 555 લોકોનું રસીકરણ કરાયું છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં 120, મોરબીમાં 35, સુરતમાં 32, મહેસાણામાં 25, રાજકોટમાં 23, વડોદરામાં 20, સાબરકાંઠામાં 11 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. કચ્છમાં એક કોરોના દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11054 દર્દીઓનો મૃત્યુ નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11054 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 2247 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. તો 2241 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.96 ટકા થઈ ગયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,68,563 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં નવા 3095 કેસ : એક્ટિવ કેસ 15 હજારને પાર

દેશમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,095 કેસ નોંધાયા છે.  તે જ સમયે, અગાઉ ગઈકાલે એટલે કે ગુરુવારે, કુલ 3,016 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે 15 હજારને પાર કરી ગયા છે.  હાલમાં 15208 કોરોના સક્રિય છે.

માસ્ક રિટર્નની સંભાવના ? કોરોનાની સમિક્ષા બેઠકમાં ખુદ સીએમએ મોઢું ઢાંકયું!

રાજયની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 10 અને ર0 એપ્રિલે મોકડ્રીલ

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે કોવિડ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

જેમાં ખુદ સી.એમ. અને બેઠકમાં ઉપસ્થિત તમામ મંત્રી ઉચ્ચ અધિકારીઓએ મોઢે માસ્ક પહેર્યા હતા. આગામી 10 અને 11મી એપ્રિલના રોજ રાજયની તમા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19 ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના  કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં  વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

તદ્દ અનુસાર ,ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ કોવિડ -19 પોઝિટિવ દર્દીઓનું જીનોમ સિક્વન્સીંગ પણ કરાય છે.

આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે, આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે.

આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ, માનવ બલ વગેરે ની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલે બેઠકમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરીની વિગતો આપી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રાજ્યમાં વહેલા નિદાન અને સારવારને પરિણામે હોસ્પિટ લાઈઝેશન એટલે કે દાખલ કરવા પડે એવા દર્દીઓનું પ્રમાણ 3% કરતાં ઓછું છે અને મૃત્યુદર  પણ નહિવત છે.

કોવિડ-19 કેસોનું દૈનિક ધોરણે એનાલિસિસ કરીને આરોગ્ય વિભાગ રોગ અટકાયતના પગલા પણ ત્વરાએ લે છે તેની આ બેઠકમાં વિગતો આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી.

આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવા માં આવ્યું હતું.

મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે.

ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું , ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.