Abtak Media Google News

આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઈનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઇલમાંથી એવી ઘણી તસવીરો મળી હતી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ આઈઇડી બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્ત્વના શહેરો હતા.

Advertisement

શાહનવાઝે કહ્યું કે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર આતંકીઓના નિશાને હતા. આતંકી શાહનવાઝની દિલ્હી પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે. તેને એનઆઈએ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર 5 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. શાહનવાઝની દિલ્હીથી એનઆઈએએ ધરપકડ કરી હતી. પૂણે આઈએસઆઈએસ મોડ્યુલના અનેક આતંકીઓ હજુ ફરાર છે.

ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના ભીડભાડવાળા વિસ્તારોમાં રેકી પણ કરી હતી : આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં આપી કબૂલાત

તાજેતરમાં પકડાયેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પૂણે મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાને મુંબઈ અને ગુજરાતના શહેરો હતા.

આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માગતો હતો. પૂછપરછમાં તેણે કહ્યું કે આતંકીઓના નિશાને ગુજરાતમાં ભાજપ હેડક્વાર્ટર, આરએસએસ હેડક્વાર્ટર, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન, ભીડવાળા બજાર અને વીઆઈપીના ઘર અને તેના રુટ્સ હતા. મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023માં રેકી કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.