Abtak Media Google News

દિવાળીને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ખાદ્ય તેલના ભાવમાં રૂ. 3,000 થી રૂ. 5,000 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો

દિવાળી ટાણે જ હવે તેલના ડબ્બાના ભાવમાં રૂ. 45થી લઈને રૂ. 75 સુધીનો ઘટાડો થવાની શકયતા

અબતક, રાજકોટ : ગૃહિણીઓની દિવાળી સુધરી જવાની છે કારણકે દિવાળી ટાણે જ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં રૂ. 3થી 5 પ્રતિ કિલોનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એટલે હવે તેલના ડબ્બાના ભાવમાં રૂ. 45થી લઈને રૂ. 75 સુધીનો ઘટાડો થવાની શકયતા સેવાઇ રહી છે.

ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડાના કોઈ સંકેતો સાથે ઉદ્યોગ સંસ્થા સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે ભાવમાં 3-5 રૂપિયાનો ઘટાડો કરવો જોઈએ. એસઇએએ જણાવ્યું હતું કે તેના સભ્યોએ લોકોને રાહત આપવા માટે આ તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો 3-5 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં થોડો વધુ ઘટાડો થવાની ધારણા છે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, સરકારના નિર્ણયને કારણે પામ ઓઇલની સરેરાશ છૂટક કિંમત 31 ઓક્ટોબરે 21.59 ટકા ઘટીને રૂ. 132.98 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે, જે 1 ઓક્ટોબરે રૂ. 169.6 પ્રતિ કિલોગ્રામ હતી. સોયા તેલની સરેરાશ છૂટક કિંમત સમાન ગાળામાં રૂ. 155.65 પ્રતિ કિલોથી નજીવી રીતે ઘટીને રૂ. 153 પ્રતિ કિલો થઈ ગઈ છે. જો કે, મંત્રાલયના ડેટા દર્શાવે છે કે સીંગ તેલ, સરસવનું તેલ અને સૂર્યમુખી તેલની સરેરાશ છૂટક કિંમત 31 ઓક્ટોબરના રોજ અનુક્રમે રૂ. 181.97 પ્રતિ કિલો, રૂ. 184.99 પ્રતિ કિલો અને રૂ. 168 પર સ્થિર રહી હતી.

ગ્રાહકોને વધુ રાહત આપવા માટે, સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એ જણાવ્યું હતું કે, “એસઇએના સભ્યોએ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલના ભાવમાં રૂ. 3,000 થી રૂ. 5,000 પ્રતિ ટન સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એસઇએએ જણાવ્યું હતું કે 10 ઓક્ટોબરથી 30 ઓક્ટોબરની વચ્ચે પામોલિન, રિફાઈન્ડ સોયા અને રિફાઈન્ડ સનફ્લાવરના જથ્થાબંધ ભાવમાં ડ્યૂટી બાદ 7-11 ટકાનો ઘટાડો થયો છે. એસઇએએ જણાવ્યું હતું, “આ તમામ ખાદ્યતેલોના આંતરરાષ્ટ્રીય ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, સરકાર દ્વારા ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકો પરની અસરમાં ઘટાડો થયો છે.”

તેલનો ઉપયોગ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને અન્ય દેશોમાં બાયોફ્યુઅલ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખાદ્ય તેલની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે. ભારત તેની મોટાભાગની જરૂરિયાતો વિદેશમાંથી આયાત કરે છે. વિદેશી બજારમાં આ તેલ-તેલીબિયાંના ભાવ વધ્યા છે અને સ્ટોકની પણ અછત છે, જેના કારણે સ્થાનિક ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થયો છે. ભારત તેની ખાદ્યતેલની 60 ટકાથી વધુ માંગ આયાત દ્વારા પૂરી કરે છે. વૈશ્વિક ભાવમાં કોઈપણ વધારાની સીધી અસર સ્થાનિક ભાવ પર પડે છે. અત્યારે આ જ અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. પરંતુ એસઇએના આ નિવેદન બાદ ભાવમાં થોડો ઘટાડો થશે અને તહેવારો પર લોકોને થોડી રાહત મળે તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.