Abtak Media Google News

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય મોરારી બાપુ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અયોધ્યામાં ભક્તોને પવિત્ર માનસ રામ મંદિર કથાનું રસપાન કરાવશે. તાજેતરમાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સંપન્ન થયેલી પ્રાણપ્રતિષ્ઠા પછી આ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહોત્સવ નિશ્ચિતપણે આ ધાર્મિક નગરીના આધ્યાત્મિક વારસાને મજબૂત બનાવશે અને તેની મહત્તાને વધારશે.

આ મહત્વપૂર્ણ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુએ ખૂબ જ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે મને અયોધ્યામાં માનસ રામ મંદિર કથા સંભળાવવાની એક અનોખી તક મળી છે. છેલ્લા છ દાયકા કરતાં વધુ સમયથી મારી અંત:કરણથી એવી ઇચ્છા રહી છે કે અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય પછી મને ત્યાં જ રામકથા યોજવાનો મોકો મળે. મારા સમગ્ર જીવનકાળ દરમિયાન મેં હજુ સુધી કોઈ મંદિરના શુભારંભ માટે ભારતભરમાં આટલો ભવ્ય ઉત્સવ મનાવાયો હોય તેવું કદી જોયું નથી. થોડાક મહિના પહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મને રામકથાનું પઠન કરવા માટેનું નિમંત્રણ મળ્યું હતું જેનો મેં હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો.

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં દેશભરના સાધુ-સંતોએ હાજરી આપી હતી ત્યારે આ શુભ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વની ક્ષણ હતી. પૂજ્ય મોરારી બાપુએ મંદિરમાં રામલલાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને સમગ્ર વિશ્વ માટે ‘ત્રેતા યુગ’નો પ્રારંભ ગણાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.