Abtak Media Google News

ભાવનગર ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં વિરાટ સત્સંગ મહાસંમેલન યોજાયું

સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે આગામી તા.૬ થી ૧૨ નવેમ્બર ૨૦૧૯ દરમ્યાન ભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવઉજવાશે. તેના ઉપક્રમે ભાવનગરના સરદારનગરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વડતાલ મંદિરના આયોજન તળે વિરાટ સત્સંગ મહા સંમેલન તા.૨૫ રવિવારના રોજ યોજાયું હતું. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તજનોને રૂડાં આશીર્વાદ પાઠવ્યા હતા.

Advertisement

સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને કુંડળધામના પ.પૂ.સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સત્સંગનો લાભ આપ્યો હતો. સૌ ભક્તોને વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા અનુરોધ કરતાં પૂ.સ્વામીજીએ જણાવ્યું હતું કે, વચનામૃત ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના શાશ્વત અક્ષરધામની તથા સ્વસ્વરૂપની અદ્ભૂત વાતો કરી છે. જેથી દરેક સત્સંગીઓએ દરરોજ એક વચનામૃત વાંચવું કે સાંભળવું જ જોઈએ. ભગવાને આપણને જે અમૂલ્ય સમય અને શક્તિ આપ્યા છે તેનો સદ્ઉપયોગ કરી જીંદગીને સફળ બનાવી લેવી. જે ભગવાનની આજ્ઞા લોપે તે ગમે તેવો મોટો કહેવાતો હોય તોપણ તેને દુ:ખ આવે જ.વગેરે વાતો કરી ભક્તોને ઉત્સાહ પ્રેર્યો હતો.

સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત વચનામૃત ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા વડતાલધામમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે. જેમાં સત્સંગ-સંસ્કાર અને સમાજ ઉદ્ધારકના વિવિધ કાર્યક્રમોની હારમાળા રચાજે. લાખો ભાવિક ભક્તો લાભ લેશે. તેના માટેની તૈયારીઓ વડતાલ મંદિર દ્વારા થઈ રહી છે. મહોત્સવપૂર્વે ઉત્સાહવર્ધક મ્યુઝીકલ આમંત્રણ પત્રિકાની સીરીઝ શરૂ કરાઈ છે તે અંતર્ગત ભાવનગર ખાતે પત્રિકા નં.૭નું વિમોચન આચાર્ય મહારાજ તથા વરિષ્ઠ સંતો અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાવનગરના વિવિધ સ્વામિનારાયણ મંદિરો તથા ગુરુકુલોમાંથી તેમજ સમગ્ર ગઢપુર પ્રદેશમાંથી વિશાળ સંખ્યામાં સંતો પધાર્યા હતા અને ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા તથા ભાવનગર આજુબાજુના પ્રદેશોમાંથી વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

વડતાલધામમાં યોજાનાર આ મહોત્સવપૂર્વે દર રવિવારે વિવિધ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોમાં ભવ્ય સત્સંગ સંમેલનોનું આયોજન વડતાલ મંદિર દ્વારા કરવામાં આવે છે. તેના ભાગરૂપે હવે પછીના રવિવારે તા.૧/૯/૨૦૧૯ ના રોજ મુંબઈ ખાતે સંમેલન યોજાશે. જેમાં મ્યુઝીકલ આમંત્રણ પત્રિકા નં.૮નું વિમોચન ભવ્યતાથી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.