Abtak Media Google News

પોલીસ સુરક્ષા સાથે સિંચાઇ અધિકારીઓ ત્રાટકશે

હળવદના ખેડૂતોને અણીના સમયે સિંચાઈ વિભાગે ડામ દીધો હોય તેવી સ્થિતિ ઉદભવી છે. કારણ કે, ખેડૂતો અગાઉ પાક વાવી દીધો હતો તેથી પાકના જતન માટે હાલ પાણીની સખત જરૂરિયાત હોય તેવા સમયે જ સિંચાઈ વિભાગે ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ કરી દીધી છે જેથી ખેડૂતો રોષે ભરાયા છે.કાલે સિંચાઈ વિભાગ પોલીસ સુરક્ષા સાથે ડેમ ખાતે જઈને ખેડૂતોના પાણી ઉપડવાના મશીન અને મોટરો તથા પાઇપ લાઇન હટાવી દેશે.

હળવદના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.એક તો કુદરતે ચોમાસામાં મહેર કરી નથી.ઉપરથી સરકારી તંત્ર પણ અણીના સમયે ડેમમાંથી સિંચાઈ માટે પાણી લેવાની મનાઈ કરતું હોવાથી ખેડૂતો માટે કપરી સ્થિતિ ઉદ્દભવિ છે. વધુમાં અંગે જાણવા મળતી વિગતી મુજબ હળવદમાં ગતવર્ષે ઓછો વરસાદ પડતાં ડેમમાં અપૂરતો જળ સંગ્રહ છે. હાલ ઉનાળામાં આ ડેમમાં ૧૦ ફૂટ જેટલું જ પાણી બચ્યું છે. તેથી સિંચાઈ વિભાગે પાણીની કટોકટીને ધ્યાને લઈને બ્રાહ્મણી -૨ ડેમમાંથી ખેડૂતોને પાણી ઉપડવાની મનાઈ ફરમાવી દીધી છે અને આ આદેશનું કડક પાલન કરવા માટે સિંચાઈ અધિકારીઓની ટીમ પોલીસ સુરક્ષા સાથે આવતીકાલે હળવદના બ્રાહ્મણી ડેમમાં ત્રાટકશે અને ડેમમાંથી ખેડૂતોના પાણી ઉપડવાના મશીનો અને મોટરો તથા પાણીની પાઇપલાઇન કટ કરી નાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પંથકના ખેડૂતોને અત્યાર સુધી બ્રાહ્મણી ૨ ડેમમાંથી સિંચાઈ માટે પાણી મળતું હતું.જોકે થોડા સમય પહેલા ખેડૂતોએ પોતાના ખેતરમાં પાકનું વાવેતર કર્યું હતું અને આ ડેમમાંથી પાણી મેળવીને પાકનું જતન કરતા હતા. હવે સંપૂણપણે પાક તૈયાર થવા માટે આ ડેમમાંથી બે વખતના પાણીની સખત જરૂરિયાત છે. તેવા ટાંકણે જ સિંચાઈ વિભાગે બ્રાહ્મણી ૨ ડેમમાંથી પાંજ લેવાની ખેડૂતોને મનાઈ ફરમાવી છે અને સિંચાઈ વિભાગે આવતી કાલથી ખેડૂતોના ડેમમાંથી પાણીના મશીનો હટાવી લેવાની સૂચના આપી છે.તેથી પાક નિષફળ જવાની ભીતિથી ખેડૂતોમાં સિંચાઈ વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલની સિંચાઈ વિભાગની કાર્યવાહીમાં ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.