Abtak Media Google News

આઇઆરસીટીસીનો આઇપીઓ ૧૧૨ ગણો ભરાયો, સીડીએસએલ દ્વારા સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલાયા, જ્યારે એમેઝોન, ફ્લિપકાર્ટે સૌથી વધુ વેચાણ કર્યું

હાલ દેશની અર્થવ્યવસ્થા ઉપર અનેકગણા પ્રશ્નો ઉદભવિત થઈ રહ્યા છે કયાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અનેકવિધ ઉધોગોની આર્થિક પરિસ્થિતિ અત્યંત કથળેલી બની ગઈ છે. બજારમાં કોઈ પણ જગ્યાએ રૂપિયા નથી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે જે જોતા એ વાત સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કોણ કહે છે કે મંદી છે તો કયાંક એવું પણ લાગી રહ્યું છે કે, મંદીની વ્યાખ્યા શું બદલાઈ ગઈ કે કેમ ? કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે અને સાથો સાથ જીડીપીનો દર ૮ ટકા કરવાનો નિર્ધાર કર્યો છે તે કેવી રીતે પરીપૂર્ણ થશે. કયાંકને કયાંક અર્થતંત્રને વધુ મજબુત અને બેઠુ કરવા માટે બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે પરંતુ જે રીતે બજારમાં મંદીની વાતો કરવામાં આવી રહી છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, દેશમાં સહેજ પણ મંદીની સ્થિતિ જોવા મળતી નથી.

ગત અઠવાડીયામાં ૬ એવી ઘટનાઓ ઘટી જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, બજારમાં મંદી છે જ નહીં અને મંદીની વ્યાખ્યા પણ જાણે બદલાઈ ગઈ.જેમાં પ્રથમ મુદ્દો તો આઈઆરટીસીનાં આઈપીઓનો આવે છે. જે રીતે ૬૪૫ કરોડ રૂપિયા નિર્ધારીત કરવામાં આવ્યા હતા જેની સામે ૧૧૨ ગણો વધારો થઈ આઈઆરટીસીનો આઈપીઓ ૭૨ હજાર કરોડે પહોંચ્યો જે એ વાત સ્પષ્ટ કરે છે કે, લોકોને હવે સરકારી આઈપીઓ અને સરકારી શેરોમાં પણ ભરોસો થઈ રહ્યો છે ત્યારે બજારમાં રૂપિયા ન હોવાની વાત સામે આવી રહી છે ત્યારે બીજી તરફ સરકારી આઈ૫ીઓમાં ૧૧૨ ગણો વધારો એ વાત સુચવે છે કે, બજારમાં મંદી સહેજ પણ નથી.

એવી જ રીતે બીજી ઘટના એ ઘટી કે, ભારત ૨૨ ઈટીએફએ ૨૦૦૦ કરોડ રૂપિયાની સામે ૨૩૫૦૦ કરોડ રૂપિયાની બીડ કરી જેમાં ભારત ૨૨ સ્ટોક એકસચેન્જમાં નોંધાયેલી છે. ભારત ૨૨ દ્વારા જે બીડ કરવામાં આવી તે તેનાં કદ કરતા ૧૦ ગણી વધુ હોવાની વાત સામે આવી છે. એ વાત સ્પષ્ટ થાય છે કે, શેરબજાર અને સ્ટોક એકસચેન્જમાં જયારે રૂપિયા નહીં હોવાનો એટલે કે તરલતાનો અભાવ માનવામાં આવે છે. તેની સામે શેરોનાં બિડીંગમાં જે વધારો જોવા મળ્યો છે તે અત્યંત વધુ છે. જેનાં કારણોસર દેશમાં જે તરલતાનો અભાવ જોવા મળે છે તે કયાંકને કયાંક નહિવત હોય તેવું કહી શકાય. કારણકે આ તમામ આંકડાઓ એ વાત સુચવે છે કે, બજારમાં પૂર્ણત: સ્થાપિત થયેલી છે.

ચાલુ નાણાકીય વર્ષનાં સપ્ટેમ્બર માસમાં સીડીએસએલ દ્વારા સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જે એ વાત સુચવે છે કે, નવા રોકાણકારો બજારમાં રોકાણ કરવા માટે તત્પર છે અને તેઓને યોગ્ય વળતર મળશે તે વિશ્ર્વાસ સંપાદનની સાથે તેઓ દ્વારા નવા ડિમેટ એકાઉન્ટો ખોલવામાં આવ્યા છે. ડિમેટ એકાઉન્ટ ખુલતા જ એ વાત સ્પષ્ટ થાય છે કે, બજારમાં રૂપિયો ખરાઅર્થમાં જોવા મળી રહ્યો છે. શેરબજાર તે અર્થતંત્રનું બેરોમીટર માનવામાં આવે છે જેથી જો ડિમેટ એકાઉન્ટ સૌથી વધુ પ્રમાણમાં ખુલતા હોય તો તે વાત સ્પષ્ટ છે કે, બજારમાં રૂપિયો ફરી રહ્યો છે.

૨જી ઓકટોબરનાં રોજ બોલીવુડ મુવી વોર રીલીઝ થયું જેને માત્ર ૩ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ વકરો સુચવે છે કે, બજારમાં રૂપિયો જોવા મળી રહ્યો છે અને લોકો ખુલ્લા હાથે તેને વાપરે છે તેવી જ રીતે લો બજેટનું મુવી ડ્રિમ ગર્લ જયારે રીલીઝ થયું તો તેને ૧૧૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. લોકો પોતાના મનોરંજન માટે થિયેટરોમાં મુવી જોવા જતા હોય છે અને ખર્ચો પણ કરતા હોય છે એટલે બજારમાં જે તરલતાનો મુદ્દો કયાંકને કયાંક સામે આવે છે તે નહિવત હોય તો નવાઈ નહીં. તેવી જ રીતે એમેઝોન અને ફલીપકાર્ટ ગત થોડા દિવસોમાં તહેવારોની સીઝન આવતાની પહેલા જ સૌથી વધુ વેચાણ કર્યું છે. જે ચિત્ર સ્પષ્ટ કરે છે કે, લોકોની ખરીદ શકિતમાં પણ કોઈ પ્રકારની કચાશ આવી નથી અને લોકો દિવસેને દિવસે એમેઝોન અને ફલીપકાર્ટ જેવા માધ્યમોથી ખરીદી કરતા જોવા મળે છે.

મોબાઈલમાં જીઓમી નામક બ્રાન્ડે માત્ર ૭ દિવસમાં ૫૩ લાખ મોબાઈલોનું વેચાણ કર્યું છે જેમાંથી ૩૮ લાખ સ્માર્ટ ફોન હોવાનું સામે આવે છે. આ તમામ મુદાઓ એક જ વાત સુચવું છે કે, બજારમાં તરલતા અને લોકોની ખરીદ શકિતમાં સહેજ પણ ફેર આવ્યો નથી અને જે લોકો કહે છે કે, બજારમાં મંદી છે તો આ તમામ મુદાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે, બજારમાં સહેજ પણ મંદી નથી અને જો મંદી હોય તો મંદીની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

અમેરિકા ભારત સાથે વ્યાપાર સંધી માટે તત્ત્પર

૨૦૨૦ નવેમ્બર માસમાં અમેરિકામાં ચુંટણી યોજાવાની છે ત્યારે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર સંધી થાય તેવા ઉજળા સંકેતો જોવા મળી રહ્યા છે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર અમેરિકા ભારત સાથે વ્યાપાર સંધી કરવા માટે તત્પર છે. ઘણા સમય પહેલા અમેરિકાએ ભારતની ચીજવસ્તુઓ ઉપર ભારે ઈમ્પોર્ટ ડયુટી લાદી હતી જેની સામે ભારતે પણ અમેરિકામાં પણ મોકલવામાં આવતી ચીજ-વસ્તુઓ ઉપર ડયુટી લગાડી હતી પરંતુ હાઉડી મોદી કાર્યક્રમ બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, જગત જમાદાર અમેરિકા ભારત સાથે વ્યાપાર સંધી માટે હવે તત્પરતા દાખવી છે. હાર્લી ડેવિડસન જેવા બાયકોમાં અમેરિકાએ ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે

જે વાત સુચવે છે કે, અમેરિકા અને ભારત વચ્ચેનાં વ્યાપાર સંબંધો વધુને વધુ મજબુત બને. આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજનાર બેઠકમાં વ્યાપાર સંધી માટે સહમતી દાખવવામાં આવશે અને જે ચીજવસ્તુઓ ઉપર ઈમ્પોર્ટ ડયુટી લગાવવામાં આવી છે તેને કેવી રીતે ઘટાડી શકાય તે દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આવનારા નવેમ્બર માસમાં ઈલેકશન હોવાનાં કારણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને મત અંકે કરવા ભારતીય લોકોને રીઝવવા કયાંકને કયાંક ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરે તો નવાઈ નહીં. મેડિકલ ક્ષેત્રે, ન્યુકલીયર ક્ષેત્રે જયારે ભારત દ્વારા મોકલવામાં આવતા સફરજનો, બદામ અને અખરોટનાં વેચાણમાં ડયુટીમાં ઘટાડો કરશે તે વાત સ્પષ્ટ થઈ રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે જે વ્યાપાર સંધી થશે તે બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધુ ગાઢ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.