Abtak Media Google News

દાલ રોટી ખાઓ, પ્રભુ કે ગુણગાવો

સંતોષીનગર સદાસુખી પણ સુખ અને દુ:ખ બધાના જીવનમાં આવતાં જ રહે છે: આપણે બીજાના સુખે વિચાર કેન્દ્રીત કરે આપણું પોતાના વિચારતા જ નથી: સુખ મેળવવાની આંધળી દોટમાં પ્રવર્તમાન ક્ષણને પણ ભોગવી શકતા નથી

ઘણા સફળ માણસોએ સફળતા મેળવી લીધા બાદ પણ અસંતોષ અનુભવે છે: યુવાથી વૃઘ્ધો સુધીની યાત્રામાં માનવી તૃષ્ણાને સંતોષવામાં જ પોતાનું જીવન ખર્ચી નાંખે છે

જુના યુગ કરતાં આજનો માનવી ભૌતિક સુવિધા વચ્ચે પણ આધિ – વ્યાધિ અને ઉપાધી નથી સતત ધેરાયેલો જોવા મળે છે. પોતાને જોઇતી વસ્તુ મેળવવા અને  મેળવ્યા બાદ ત્યાંનો જ ઉભો રહેતો જોવા મળે છે. પવર્તમાન સમયમાં ગરીબ હોય કે શ્રીમંત, આજે બધાને પોતાના જીવન પ્રત્યે અસંતોષ કે અણગમો જ  જોવા મળે છે. એક વસ્તુ નકકી છે કે માણસની વિવિધ ઇચ્છાઓ જ તેને દુ:ખી કરે છે. સંતો-મહંતોએ કે મહાપુરૂષોએ જીવનને તૃષ્ણામાંથી મુકત થવાની વાત કરી છે. સંસાર યાત્રામાં સુખ અને દુ:ખ બે કિનારા જેવા છે, જે સાઇડ તરફ તમે જાવ ત્યાં તે બન્ને સાઇડસાથે જ રહે છે.

આપણાંમાં કહેવત છે કે સંંતોષી  નર સદા સુધી પણ આજે પૃથ્વી પર વસતો માનવી પોતાની જીવન શૈલી, વિચારો અને બીજાના સુખ જોઇને સૌથી વધુ દુ:ખી થઇ રહ્યો છે. આપણે હંમેશા બીજાનું જ વિચારતા હોવાથી પોતા માટે વિચારવાનું કે વિકાસ કરવાનું વિચારતો જ નથી. સુખ મેળવવાની આંધળી દોટમાં પ્રવર્તમાન ક્ષણને પણ માણી શકતો નથી. આપણું મન સતત ઇચ્છાઓ કરે ને બુઘ્ધિ પોતાના વિચારો રજુ કરે ત્યારે તેને પૂર્ણ કરવા દરેક માનવી એક અવિરત દોડ લગાવે છે. આજે તો સફળતા મેળવેલ માનવી પણ અસંતોષ અનુભવે છે. યુવા હોય કે વૃઘ્ધ તૃષ્ણાઓને સંતોષવામાં જ પોતાનું જીવન ખર્ચી કે વેડફી નાંખે છે.

જીવન સુખમય જીવવાનો અર્થ છે જે તમારી પાસે છે તેમાં તમો આનંદમાં રહી શકો. સકારાત્મક વલણ પણ સુખી જીવન મેળવવાની ચાવી છે પણ, આજે દરેક માનવી નકારાત્મક વિચાર શૈલીને કારણે સુખમાં દુ:ખી જોવા મળી રહ્યો છે. ચાણકય નીતિમાં વાત કરી છે કે ધન, જીવન સ્ત્રી અને ભોજનની બાબતમાં બધા જ લોકો અતૃષ્ત રહીને દુનિયામાંથી ચાલ્યા ગયા છે. સુખી લોકોને જોઇને કે બીજાનું ઘર જોઇને પણ માણસ તેને પામવા પોતાનું વર્તમન જીવન નષ્ટ કરી દે છે. મળેલ જીવનને માણી ન શકનારો ભાવી આયોજન કરીને શ્રેષ્ઠ જીવનના દિવા સ્વપ્નોમાં રાચતો માણસ કયારેય સુખી થઇ શકતો જ નથી. જીવન તો બહુ સરળ જ છે પણ આપણે જ તેને કઠિન બનાવી દઇએ છીએ. આપણું મન એક અખુટ શકિતનો ખજાનો છે, તેને કેળવવું પડે ને જીવનની વાસ્ત વિકતા સમજવી જ પડે છે. મન જેટલું જટિલ છે, એટલું જ સરળ પણ છે. જે છે તેમાં સંતોષ જ માનવીને સુંદર જીવનની ભેટ આપે છે.

એક વાત નકકી છે કે દરેક માનવી સવારથી સાંજ સતત વિચાર તો હોય છે. વિચારો પર નિયંત્રણ રાખવાની પણ એક કલા છે જેને માનવીએ હસ્તગત કરવી જ પડે છે. મેન્ટલ હેલ્થ જ માનસિક શાંતિ આપી શકે છે. પરિવાર સાથે આનંદમય વાતાવરણમાં રહેનાર હમેંશા હસતોને સુખી જ જોવા મળે છે, પછી ભલે તેની પાસે પૈસા વિગેરે કશું જ ન હોય. તમારી ઇચ્છાઓનું લિસ્ટ બનાવો અને તમારો ગોલ સેટ કરો કે તમે શું કરવા માંગો છે તેના પર કામ કર્યા બાદ જ તમો ખોટા વિચારોમાંથી બહાર નીકળશો. સ્વજાગૃતિ સાથે સુખ જોડાયેલું છે.

પોતાના સુખ સગવડ વાળા જીવન વિશે મહત્વ કાંક્ષી માણસ સતત વિચારોમાં કાર્યરત હોવાથી તેના આસપાસના વાતાવરણને પરિવારજનોને સતત દુ:ખી જ કરે છે. ઇર્ષા, શોક, ડર, અસંતોષ આ બધા તેના મુળ છે એ ન ભૂલવું જોઇએ. રસ, રૂચી, વલણો આધારીત જીવન જીવનારો માનવી કયારેય ચલીત થતો નથી. ઘણા લોકો કહેતા હોય કે મારે જે જોઇએ છીએ તે હું મેળવીને ઝંપુ છું, પણ એ મેળવ્યા બાદ ફરી નવી ઇચ્છાઓની લાઇન તેને જીવનભર સતત મહેનત જ કરાવે છે ને છેલ્લે હતા ત્યાંને ત્યાં જેવી વાત માનવીના જીવનમાં જોવા મળે છે.

શરીરનું સ્વાસ્થ્ય પણ કરોડો રૂપિયા જેટલું જ કિંમતી  છે અને તેમાંય માનસિક સ્વાસ્થ્ય તો સૌથી મહત્વની બાબત ગણાય છે. તમામ સુખો મેળવી લેનાર પણ મગજથી શાંત જોવા મળતો નથી. આજે દરેક માનવીએ સ્વ.-મૂલ્યાંકન કરીને વધુ સારા માનવી બનવાના પ્રયત્નો કરતા રહેવા પડે છે. દરેકનું સામાજીક જીવન શ્રેષ્ઠ જ હોય છે. પણ આપણે જ તેને ઇચ્છાપૂર્તિ કે સ્વભાવને કારણે જીવન કે ધુળ-ધાણી કરી નાંખીએ છીએ.

આજે દુનિયામાં બધાને સુખી થવું છે પણ જે માનવીનું શરીર નિરોગી છે તે સુખી જ તે વાત કોઇ સમજતું નથી. જેની પાસે અપાર સંપત્તિ છે તે સુખી છે એવું સૌ કોઇ માને છે પણ, જે વ્યકિત દરેક પરિસ્થિતિમાં આનંદ અને સંતોષ સાથે સ્થિત પુરી રહી શકે તે સાચો સુખી માણસ છે. જીવન જીવવાની પણ એક કલા છે. આજનો માનવી બીજાના રહેન – સહન જોઇને પોતાનું જવન તેના જેવું બદલવા માંગે છે. કૃત્રિમ સગવડો વચ્ચે માનવી પણ મશીન થઇ ગયો ે. એટલે જ સમાજમાં જાુઠી શાન – દેખાડા કરીને પોતાને બીજા કરતાં વધુ સુખી દેખાડવામાં જ તેનું જીવન બગાડે છે.

અસંતોષી માનવીના મનમાં લોભ – લાલચ – તૃષ્ણા હોય

પૈસાએ જીવન જીવવાનું એક સાધન હોય શકે પણ તે જીવન તો નથી જ સંતોષ નરની તમામ મુશ્કેલી, ચિંતા, પરેશાની સ્વ-મર્યાદિત હોય છે. અસંતોષી માનવીના મનમાં લોભ, લાલચને તૃષ્ણાનો કાયમી વાસ હોય છે. આજની દોડધામ વાળી જીવન શૈલીમાં બધુ જ હોવા છતાં પણ કાંઇ નથી તેવો ડર માનવીને સતત ખોખલો કરતો જાય છે. જો માનવીમાં સંતોષ નો ગુણ ખીલી જાય તો તેની પાસે બધુ આવે કે જે છે તેમાં તે સારુ જીવન લાગવા લાગે છે. જીવનનો શોર્ટ કટ પણ ઘણીવાર પારાવાર મુશ્કેલીને લાવે છે પણ વિચારીને ડગલા માંડનાર છેલ્લે સુખી જ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.