Abtak Media Google News

વિશ્ર્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ખાતે એનઆઇઆર સ્નેહમિલનમાં વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્માણ કાર્યમાં ખંતપૂર્વક કાર્યરત સૌ સ્વયંસેવકોને અભિનંદન પાઠવી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, નિર્માણાધિન ઉમિયાધામ માત્ર મંદિર નહીં પણ, આધ્યાત્મિક-સામાજિક ચેતના તથા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર બની રહેશે.

ગાંધીનગર નજીક જાસપુરમાં નિર્માણાધિન વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન ખાતે આયોજિત એનઆઈઆર સ્નેહમિલન અભિવાદન સમારોહમાં ઉપસ્થિત એનઆરઆઈ સહિત પાટીદારોને સંબોધતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ ફાઉન્ડેશનના જનકલ્યાણ અને સમાજના નાનામાં નાના વર્ગને મદદ કરવાની ઉમદા ભાવનાને સંપૂર્ણ સહયોગ આપવા રાજય સરકાર હરહંમેશ માટે પ્રતિબદ્ધ છે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું હતુ.

Img 4911

ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે તેમ કહી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા સરકાર કટીબદ્ધ છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્રને ઉજાગર કરવા આ ફાઉન્ડેશન અને પાટીદાર સમાજ પણ રાજયના વિકાસમાં સહભાગી બન્યો છે જે, સૌ પાટીદારો માટે જ નહીં પરંતુ સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’માં દાતાઓએ કરેલા દાનની રકમનો સદઉપયોગ જ થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખી શકાય તેવું આ વિશ્વાસપાત્ર ફાઉન્ડેશન છે જેથી સર્વે દાતાઓને ઉદાર હાથે દાન કરવા મુખ્યમંત્રીએ હાંકલ પણ કરી હતી. ભાગ્યશાળીની જ લક્ષ્મી શુભ કાર્યો માટે વપરાય છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, આ ઈશ્વરીય કામ છે, તે ઈશ્વર જ પુરૂ કરશે. મા ઉમાના આશિર્વાદ થકી રૂપિયા એક હજાર કરોડનો આ પ્રોજેક્ટ પાર પાડવામાં જરાય મુશ્કેલી કે અડચણ આવશે નહીં તેવો મને વિશ્વાસ છે.

Patto Ban Labs

સામાજિક વિકાસ માટે પાટીદાર સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે તેવું જણાવી નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે ઉમેર્યું હતું કે, આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે આટલું સમર્થન ખૂબ જ ટૂંકા સમયગાળામાં મળ્યું તે વાત પ્રસંશનીય છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા દાન કરનાર સર્વે દાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું.

અમદાવાદ એ પાટીદાર સમાજનું હબ છે તેવું જણાવી નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું નિર્માણ થયા બાદ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે તે બાબતને ધ્યાનમાં રાખી સરકારે પણ રોડ-રસ્તાના કાર્યોનું સુચારુ આયોજન કરી દેવામાં આવ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેમ ગુજરાતની ઓળખ બન્યું છે તેમ આ ઉમિયાધામ પણ પાટીદાર સમાજ સહિત ગુજરાતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેમ ઉમેર્યું હતું.

ઊર્જામંત્રી  સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક એવું ફાઉન્ડેશન છે કે જેના પર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સમાજના સૌ નાગરિકોએ વિશ્વાસ મૂક્યો છે. જેના ઉમદા કાર્યથી સમાજના તમામ નાગરિકો અવગત છે. ૧૦૦ વીઘા જમીન ઉપર રૂ.૧૦૦૦ કરોડના સામાજિક પ્રોજેક્ટને પાર પાડવાનું ભગીરથ કાર્ય પાટીદાર સમાજ કરી શકે છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત એન.આર.આઈને આવકારી જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વિદેશમાંથી માદરે વતન આવતા એન.આર.આઇને એરપોર્ટ પર બિનજરૂરી ચેકિંગ સહિતની કેટલીક હેરાનગતિનો સામનો કરવો પડતો હતો તેવી ફરિયાદો ધ્યાને આવી હતી. જે બાબતને ગંભીરતાથી લઇને રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી આ બિનજરૂરી હેરાનગતી દુર કરવા વહીવટી તંત્રને સૂચના આપી હતી. વિદેશમાંથી સ્વદેશમાં આવી વતન અને રાજ્યનાં વિકાસકાર્યોમાં એન.આર.આઈ સહભાગી થઇ રહ્યા છે તેવા સર્વે ગુજરાતીઓનો સરકાર વતી મંત્રી  જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો.

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન.ગોલે જણાવ્યું કે, એનઆરઆઇ બિઝનેશ સ્નેહમિલનમાં આઠથી વધુ દેશના ૪૦૦ એન.આર.આઇ ઉપસ્થિત રહ્યા છે.તેઓએ ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં રોકાણ કરવાની ઈચ્છા પણ વ્યકત કરી હતી.

સમગ્ર વિશ્વ એક પરિવાર છે આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરતો આ અણમોલ મંત્ર છે તેમ કહી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ  આર.પી.પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી ઉમેર્યુ હતું કે, આશરે ૧૦૦ શહેરોમાં સેવાનાં એકમાત્ર ઉદ્દેશ સાથે ૧૦ લાખથી પણ વધુ સ્વયંસેવકો આ ફાઉન્ડેશનમાં કાર્યરત છે. તેથી જ આ ફાઉન્ડેશન વિવિધ સામાજિક કાર્યોમાં અગ્રેસર છે.

સામાજિક વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહેનાર આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હવે વિશ્વ સ્તરીય નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે તેવું કહી  આર.પી.પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં સૌથી વિશાળ, દિવ્ય અને ભવ્ય એવા વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કરવું આપણા સૌ માટે ગર્વની વાત છે.

આ એન.આર.આઈ સ્નેહમિલન સમારંભમાં સાંસદ  એચ.એસ.પટેલ, શારદાબેન પટેલ, મહેસુલ મંત્રી  કૌશિકભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ બાબુભાઈ જમનાદાસ પટેલ, ધનજીભાઈ પટેલ અને રમણભાઈ પટેલ સહિત ફાઉન્ડેશનના દાતાઓ, વિદેશમાં વસતા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.