Abtak Media Google News

જૂનાગઢના ત્રણ શખ્સો ઝડપાયા ; સુરતના મુખ્ય સૂત્રધાર ઝડપાયા

રોજના ૨૦ થી ૩૦ હજારની કમાણી કરોની મેસેજની લોભામણી  લાલચમાં સેંકડો ફસાયા

રાજ્યવ્યાપી ચકચારી કૌભાંડમાં બે બેંકના એકાઉન્ટમાંથી ‚.૧ કરોડના નાણાકીય વ્યવહારો મળ્યા

શહેરમાં  મોબાઇલ ફોનમાં ફોરેકસ ટ્રેડિંગ’માં રોકાણ કરી રોજના રૂ ૨૦ હજારથી ૩૦ હજાર કમાવવાની તક’..એવા મેસેજ મોકલી લોભામણી લાલચ આપી તેની છેતરપીંડી કરતાં જુનાગઢના ત્રણ શખ્સોને રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે અગાઉ નોંધાયેલા ગુનાને આધારે પકડી લઇ રિમાન્ડ મેળવી પુછતાછ બાદ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેય જેલહવાલે કરાયા છે. આ ત્રણ શખ્સોની ટોળકીનો સુત્રધાર સુરતનો જયેશ હિમતલાલ વાઘેલા હોવાનું અને આ ટોળકીએ રાજકોટ, સુરત, મોરબી, ભરૂચ, વાપી, વલસાડના ૧૯ લોકોને છેતરી રૂ ૬૭ લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસે કાલાવડ રોડ પર રુરલ હાઉસીંગ બોર્ડમાં રહેતા  અને ખોડિયાર ડેરી ફાર્મ નામે વેપાર કરતાં ઉમેશભાઇ વશરામભાઇ ગોંડલીયા (પટેલ) (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી મેટા ટ્રેડર-ફાઇવ કંપનીનના વિક્રાંત પટેલ અને જયેશ તથા બેંક એકાઉન્ટ નંબર આપનાર શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી), આઇટીએકટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ બાદ જુનાગઢના ચોકલી ગામના જયસુખ ચીનુભાઈ સરવૈયા (ઉ.વ.૩૦), આશિષ ઉપેન્દ્રભાઇ દવે (ઉ.વ.૩૫) તથા જીતેન્દ્ર હસમુખભાઇ જાગાણી (ઉ.વ.૩૮)ની ધરપકડ કરી હતી.

ઉમેશભાઇના મોબાઇલ ફોન માં ૧૨/૫/૨૦ના રોજ એક ટેકસ મેસેજ આવ્યો હતો. જેમાં અને ડેઇલી રૂ ૨૦૦૦૦ ટુ ૩૦૦૦૦ વીથ ધ હેલ્પ ઓફ ફોરેકસ ઓટો સોફટવેર. કોલ અસ નઉ ફોર લાઇવ ડેમો..એવા લખાણ સાથે મોબાઇલ નંબર હતો. આથી ઉમેશભાઇએ નંબર પર ફોન કરતાં રિસિવ કરનારે પોતાની ઓળખ વિક્રાંત પટેલ તરીકે આપી હતી. તેણે કહેલું કે ફોરેકસ ટ્રેડિંગમાં રૂ ૧ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોજના રૂ ૨૦ થી ૩૦ હજારનો નફો મળે છે. એ પછી તેણે પોતાની કંપનીના સોફટવેરનું નામ મેટા ટ્રેડર-ફાઇવ આપ્યું હતું. તેમાં એકાઉન્ટ ખોલાવવા રૂ ૧ લાખ આપવા પડશે તેમ કહેતાં ઉમેશભાઇ તૈયાર થયા હતાં.

એક લાખ જમા કરાવવા વિક્રાંત ખાનગી બેંકનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેમાં ઝુલુ ટ્રેડ નામે એકાઉન્ટમાં  ૧૯/પના રોજ ઉમેશભાઇએ એક લાખ જમા કરાવ્યા હતાં. એ પછી વિક્રાંતને પૈસા ભર્યાની પહોંચ વ્હોટ્સએપ પર મોકલી હતી. ત્યારબાદ વિક્રાંત તેની એપ્લિકેશનમાં ઉમેશભાઇના નામનું એકાઉન્ટ ખોલી આપી આઇડી નંબર આપ્યા હતાં. થોડા સમય પછી ઉમેશભાઇએ પોતાની આઇડીમાં તપાસ કરતાં તેમના ખાતામાં રૂ ૩૫ લાખ જમા થઇ ગયેલા દેખાયા હતાં. જે નફો હોવાનું બતાવાયું હતું.

ત્યારબાદ ઉમેશભાઇએ વિક્રાંત પટેલને ફોન કરી પૈસા ઉપાડવા છે એવી વાત કરતાં તેણે કહેલ કે બીજા ૧૦ લાખ જમા કરાવો તો જ આ રૂપિયા વિડ્રોલ થઇ શકશે. ઉમેશભાઇએ આટલી રકમ પોતાની પાસે ન હોઇ અને ૭. લાખ પડ્યા હોઇ તેવી વાત કરતાં વિક્રાંતે સુરત અડાજણ ખાતે આંગડીયા મારફત આ રકમ મોકલી આપવા કહ્યું હતું. ૨૯/પના રોજ ઉમેશભાઇએ આ રકમ મોકલી આપી હતી. જે વિક્રાંતે મળી ગયાની ખાત્રી કરી આપી હતી. એ પછી ઉમેશભાઇએ પોતાના ખાતામાં જમા થયેલા નફાના ૩૫ લાખ વિડ્રોલ કરવા કહેતાં વિક્રાંતે તમારે હજુ થોડા પૈસા જમા કરવા પડશે તેમ કહી દીધુ હતું. પરંતુ બાદમાં તેનો ફોન બંધ થઇ જતાં છેતરપીંડી થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે અરજી કરી હતી.

સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાએ તપાસ કરવા સુચના આપતાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ સી.એસ. પટેલ, એએસઆઇ જે. કે. જાડેજા, પી.એન. ત્રિવેદી, હેડકોન્સ. સંજયભાઇ ઠાકર, જયદેવભાઇ બોસીયા સહિતે તપાસ શરૂ કરતાં અને કોલ ડિટેઇલ કઢાવતાં જુનાગઢના ત્રણ શખ્સો સામે આવ્યા હતાં અને તેને પકડી લઇ રિમાન્ડ મેળવાયા હતાં.આ ત્રણેયની પુછતાછમાં મુખ્ય સુત્રધાર સુરતનો જયેશ હિમતલાલ વાઘેલા હોવાનું ખુલ્યું હતું. રિમાન્ડ પુરા થતાં ત્રણેય આરોપી જેલહવાલે થયા હતાં. તપાસ યથાવત રાખી બેંકના વ્યવહારો તપાસાતાં ૧૯ લોકો સાથે ૬૭ લાખની ઠગાઇ થયાનું સામે આવ્યું હતું. જે લોકો છેતરાયા છે તેમાં રાજકોટના ત્રણ અને બાકીના સુરત, વલસાડ, વાપી, ભરૂચ, મોરબીના રોકાણકારો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.