Abtak Media Google News

ગોંડલ, જુનાગઢ,રાજકોટ, જામનગર,મુંબઈ, ચેન્નાઈ સહિત જયાં પણ ગોંડલ સંપ્રદાયના પૂ.સંત – સતિજીઓ બીરાજમાન હશે ત્યાં ઉપકારી આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ના આત્માના ગુણોના સ્મરણ સાથે સમગ્ર દેશ – વિદેશના ભાવિકો

જૈન દર્શનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમે પ્રેમીઓના મુખપર અચૂક આવે.

Advertisement

સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ  પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધર્મ લાભ આપતા દ્રશ્યમાન થાય છે.

આજે ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.ગોં.સં.ના સાધુ – સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોર્ડર સુધી જૈન ધર્મનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.

ચાલો…આપણે પણ ઉપકારી પૂ.આચાર્ય ભગવંતના જીવનમાં ડોકીયું કરી પાવન બનીએ.

મનોજ ડેલીવાળાએ  જણાવ્યું કે વિ.સં.1792 માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધર્મ નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલૂડાનું નામ ” ડુંગરસિંહ ” રાખ્યું. ચાર – ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરીવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો. બદાણી પરીવાર એટલે પૂ.સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્ન સમાન પૂ.ગુરુદેવ રત્નચંદ્ગજી મ.સા. ” માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે,સંસારમાં રહીને દૂર્લભ ભવને વેડફશો નહીં.”

વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્યો.મનોમન નક્કી કર્યું કે બસ હવે આ સંસારમાં રહેવું જ નથી.માવિત્રો તેમજ પરીવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.1815 કારતક વદ દશમના દિવબંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્ગજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂર્ણ કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે – પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં – તારયાણં અર્થાત્ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓશ્રીએ ચરિતાથે કર્યું.

પૂ.ડુંગરસિંહજી મ.સા.કહેતા કે સાધુ બન્યા પછી સાધના જ કરવાની હોય…

મન ને શૂન્ય થવું
એ મૌન અને
જેનું મન શૂન્ય
થાય તે મુનિ….

પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વર્ષ સુધી નિદ્ગાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય. વિ.સં.1845 મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. ગોં.સં.ના સંસ્થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્ધી લક્ષે વિ.સં.1861 માં પૂ.સાધુ – સાધ્વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે  સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે આચાર્ય એટલે સ્વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે.

વૈશાખ સુદ પૂનમના ચત્તારી શરણં પવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ 84 વર્ષની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી 32 વષે આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા અને ગૌરવ વધારી સ્વ – પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.

સંકલન :મનોજ ડેલીવાળા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.