Abtak Media Google News

માતા-પિતા, પુત્રી-પુત્ર, દાદા-દાદી, નાના-નાની સાથે મિત્રતા જેવા વિવિધ સંબંધો થકી જ માનવજીવન ધબકતું રહે છે, મૈત્રીના રસાયણમાં સુખ-દુ:ખના હજારો કિલોમીટર ઓગળી જાય છે

સંબંધને ગમે તે નામ આપો તે સો ટચના સોના જેવો જ હોય છે. સંબંધ કયારેય ‘બંધ’ ન થાય તે તો અનંત છે. પારિવારિક સંબંધોનું જીવનમાં ખુબ જ મહત્વ છે.

માનવજીવનમાં સંબંધનું અતિ મહત્વ છે. જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગે સંબંધની પરીક્ષાઓ થતી જોવા મળે છે. સાચવવો પડે તેવો સંબંધ કયારેય ન હોય શકે સચવાય તે જ સંબંધ કહેવાય છે. કૃષ્ણ- સુદામાનો સખા પણાને અમરત્વ પ્રાપ્ત થયું છે. આપણા જીવનમાં પણ બાળપણની ગોઠડી જ વિશેષ મહત્વ ધરાવે છે. માનવ જન્મથી માતૃત્વના સંબંધે બંધાય છે. અને મોટા થતાં પિતા – ભાઇ-બેન, દાદા-દાદી,  કાકા-કાકી, નાના-નાની, મામા-મામી જેવા વિવિધ કૌટુંબિક સંબંધોને તાતણે બંધાય છે. જેની સાથે બેસવું ઉઠવું રમવું કે વાતો કરવી ગમે તેવા સંબંધો આપમેળે નિર્માણ થઇ જાય છે. આજે તો સંબંધોમાં પણ સ્વાર્થવૃતિનો પ્રવેશ થઇ ગયો છે.

એક વાત નકકી છે કે સંબંધ કયારે ‘બંધ’ ન થાય તે તો અનંત છે. ગમે તેવો સંબંધ હોય તે ૧૦૦ ટચના સોના જેવો શુઘ્ધ જ હોય છે તેને આપણે જ વધુ પડતી અપેક્ષાને કારણે નષ્ટ કરીએ છીએ, પારિવારિક સંબંધોની પણ એક મજા છે, ‘ગમતાનો ગુલાલ’ સાથે ઉજવાતા ઉત્સવે આપણાં સંબંધો ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. આપણું જીવન જ આવા સંબંધો થકી ધબકતું રહે છે. સુખ કરતાં દુ:ખમાં સંબંધોની કસોટી થાય છે. તેને ટકાવવો સહેલો પણ સાથે અધરો પણ છે કારણ કે એકબીજાને જતુ કરવાની ભાવના સાથે સધિયારાનો ભાવ હોવો જરુરી છે.

પ્રેમ, હુંફ, લાગણી આ ત્રણ શબ્દો સંબંધોના પાયા છે જો એક પણ પાયો નબળો પડે તો સંબંધમાં તિરાડો પડવા લાગે છે. અને અંતે બ્રેકઅપ થાય છે. આજના યુગમાં તો પરિવારમાં જ ભાઇઓ એક-બીજા બોલતા નથી ત્યાં તેના મહત્વની વાત કયાં કરવી, સંબંધો આપણને નિર્ભયતા બક્ષે છે ને જીવન જીવવાની પ્રેરણાને પ્રોત્સાહન  આપે છે. આજે તો સંબંધોમાં નૈતિકતા જોવાય છે અને અનૈતિક સંબંધોને ટીકાનો વરસાદ વરસાવે છે. એક બીજાના ઇચ્છાથી બંધાતા બંધન-સંબંધોને કયારેય કશું જ નડતું નથી હા એ સંબંધોથી બીજાને નુકશાન ન થવું જોઇએ, છાત્ર જીવનમાં બંધાતા સંબંધ નિર્દોષતા સભર હોય છે તો પુખ્તવયે બંધાતા સંબંધમાં આકર્ષણ કે છળકપટ હોય છે.

સંસાર યાત્રામાં આપણી આસપાસના વાતાવરણમાં બંધાતા સંબંધોની અલગ વ્યાખ્યા છે. જેમ કે પાડોશી સાથે કામના સ્થળે, જાહેર સ્થળોએ એ જે સંબંધો બંધાય કે રાખવા પડે તે એક કાર્યનો ભાગ હોય છે જે સમયાંતરે બદલાતા રહે છે. સૌથી મહત્વના સંબંધોમાં પારિવારિક સંબંધો સૌથી ટોચ ઉપર ના ગણાય છે. આના સહયોગ પ્રોત્સાહનથી તમો તમારો સર્ંવાગી વિકાસ કરો છો ત્યારે તેના મુલ્યને કયારેય અવગણી ન શકાય આમ જોઇએ તો પણ એ જ સંબંધો આપણી સાચી મૂડી છે.

સંબંધ કે મિત્રતા ને ખરા અર્થમાં સમજવી હોય તો તમારે નાના બાળકોને રમતા જોવો તો સમગ્ર જીવનનાં તમામ ગુણોના દર્શન થઇ જશે. આપણા જીવનમાં ઘણા સંબંધો બંધાતા આપણી દુનિયા બદલાઇ જતી જોવા મળે છે. વ્યકિત બદલાય તેમ તેના અનુભવોને લાગણીઓ પણ બદલાતી જોવા મળે છે. કયારેક સમય, સંજોગો, વિચારો વ્યકિતના જીવનમાં પરિવર્તન આવે તેમ આપણાં સંબંધો ઉપર પણ અસર પડે છે. મેળવવા કરતા પામવાનું મહત્વ વધારે હોય તો જ સંબંધો લાંબુ ટકી શકે છે. એકલવાયુ જીવન જીવતો માનવી સંબંધોની મહત્તા સમજે તો તેનું જીવન પણ હરિયાળુ બની શકે છે. પણ સ્વભાવ તેમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપણાં સંબંધો સુગંધ જેવા હોવા જોઇએ જેને અનુભવાય પણ કયારેય પકડી ન શકાય.

3988996

આજે સંસાર જીવનમાં વધતા છુટાછેડાની ઘટનામાં સહનશિલતા સાથે એકબીજાને સમજવાની મુશ્કેલીસમાં જ જીવન બરબાદ થઇ જાય છે. આજે જે વડિલો છે તેને પૂંછએ કે તમે જીવનમાં સંબંધો ટકાવવા કેટલું જતું કર્યુ છે? પ્રશ્ર્નનો જવાબ છે તેનો સ્વભાવ સંબંધોની મીઠાશ હોય કે મીઠાશવાળા સંબંધો  છેલ્લે તો એક મેકને મદદગારી કરી ફરી જીવતો કરો તે જ તેનું મૂલ્ય છે. આજના સંબંધોમાં અમીરી-ગરીરી જોવા મળે છે જો કે આ ભેદ રેખા વર્ષોથી ચાલી આવી છે. આપણી જીવનશૈલી જ આપણા મિત્રોને આપણી તરફ ખેંચે છે.

જીવનમાં સંબંધો શ્ર્વાસ જેવા છે જેમાં વિશ્ર્વાસ ભળતા તે ચોમેર દિશાએ ખીલી ઉઠી છે. સંબંધમાં માત્ર પ્રેમ, લાગણી ભળે તો જાનવરો પણ તમારા માટે જીવ આપે છે. સંબંધો આકાશ જેવા છે તેને કોઇ ક્ષિતીજ નથી તે અનંત છે. આપણા સૌના જીવનનો સરવાળો એટલે  જ આપણા સંબંધો, બંધન શબ્દ સંબંધમા આવે ને એ બંધન પણ કરે પણ તે આપણા જીવનના સારા માટે છે. હું અને તું નહી પણ આપણે આવું સંબંધોમાં બોલાય ત્યારે તેમાં સ્વાર્થ નિકળતા પવિત્રતા દાખલ થાય છે. જિંદગી સમય અને સંબંધ આ ત્રણ વસ્તુ કયારેય કોઇના જીવનમાં એક સરખી હોતી જ નથી. સમજદારી સંબંધોની પાયાની બાબત છે. સ્નેહ- સંવેદનાનું મિશ્રણ થાય તો સંબંધો ૧૬ કલાએ નિખરી ઉઠે છે, પછી તે દાંપત્યજીવન હોય કે દોસ્તી હોય,

સમય અને સમજણ આ બે વસ્તુ સંબંધોમાં હોવી જોઇએ. જીવનનું સાચુ સંગીત જ સંબંધ છે. જેના આહોર, અવરોહ, લય-તાલ સાથે સતત જીવન ધબકતું રહે છે. સંબંધો ખુલ્લી કિતાબ જેવા ખુલ્લાને ચોખ્ખા હોવા જોઇએ જેમાં વિશ્ર્વાસ હોવો જોઇએ કોઇપણ વાત જેનાથી છૂપાવી ન શકીએ તે જ સાચો સંબંધ કહેવાય, જરૂર હોય તે ગમે તે માંગણી એકબીજા કરી શકે તે ઉમદા સંબંધોની વાત છે. આજે તો પૈસાને કારણે વણસતા સંબંધોએ ઘણાના જીવન રોળી નાખ્યા છે. વિભકત કુટુંબો કરતાં સંયુકત પરિવારના સંબંધોની તાકાત ઘણી મજબુત હતી. પહેલાના જમાનાના સંબંધો મૃત્યુ સુધી ટકી રહેતા, આજે તો સંબંધો જરૂરિયાત ના હોવાથી લાંબુ ટકતા જ નથી. સંબંધોની સાચી વાત પ્રેમ ભાવ, સાથ સહકાર અને મુશ્કેલીમાં હૂંફ આટલું જ કાફી છે. એમની સલાહ પણ આપણું જીવન પ્રોત્સાહીત કરે છે. આપણો જીવનમાં આપણે અનંત લોકોને મળીએ છીએ પણ સંબંધો તો અમુક સાથે બંધાય છે. અસર-પરસ બધુ સરસ હોય છે તેમ સંબંધોને વિશાળ વટવૃક્ષ બનાવો.

સંબંધ કોને કહેવાય?

આપણું કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક રાખવાનું મન થાય તેને જ ‘સંબંધ’ કહેવાય

* અગાળ વધે તે ઉંમર, સ્થિર થઇને આગળ વધે તે સંબંધ

* ખાલી ચડે ત્યારે ‘પગ’ નું મહત્વ સમજાય તેમ ખાલીપો લાગે ત્યારે ‘સંબંધ’ નું મહત્વ સમજાય

* જયારે સંબંધમાં મૌનનું મહત્વ વધે છે, ત્યારે સંબંધનું મહત્વ ઘટે છે.

* પૈસાને કયારેય એટલું મહત્વ ન આપો કે તમે સંબંધોનું મહત્વ ભૂલી જાઓ.

* સંબંધોનું મહત્વ શું છે એ જાણવું હોય તો કોઇ અનાથ ને પૂછી લેજો…. કારણ કે એનાથી વધારે કોઇને ખબર નહીં હોય કે જીવનમાં કોઇ પોતાનું હોવું કેટલું જરૂરી છે.

* સારા વ્યકિત સાથેનો સંબંધ એ શેરડી જેવો છે. તમે તેને તોડો, પાકો, દબાવો કે પીસો છતાં પણ તમને તેમાંથી હમેંશા મીઠાશ જ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.