Abtak Media Google News

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતની પ્રજા ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવા માં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -યુએસએ અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે.

રાજ્યમાં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન – યુએસએ ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાઓ અને ટ્રસ્ટીઓ માં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદ ના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે .રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્ર્રેટર સાથે  પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવી રહ્યા છે.

ભારતની સાથે  અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે  પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ

અમદાવાદ એરપોર્ટ પર આવતીકાલે સાંજે અથવા શુક્રવારે વહેલી સવારે  આવી પહોચશે. આ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરેલાં એરકાર્ગો પાર્સલનું  વિશ્વ ઉમિયાધામ મંદિર, જાસપુર ખાતે પુજન થશે અને ત્યારબાદ રાજ્યના વિવિધ શહેરો માં વિવિધ સંસ્થાઓ અને સમાજોને ઓક્સિજન કોન્સ્ટ્રેટર પહોંચાડવામાં આવશે. દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજ ના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.આ સમગ્ર કામગીરી માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમેરિકાના કોર્ડીનેટર  રસિકભાઈ  બી.પટેલ, અજીતભાઈ પટેલ, વી.પી.પટેલ ,જે પી પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સવિશેષ યુએસએ યુથ કમિટીના ચેરમેન  દિનેશ પટેલ – ડેની (ગામ – નારદીપુર )નું  યોગદાન સર્વોત્તમ રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે તે માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.

વિશ્વઉમિયાધામ મંદિરે ઓક્સિજન બેંક શરૂ કરાઈ

અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ઓક્સિજન બેંક શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક (એક પણ રૂપિયા નો ચાર્જ લીધા વગર) હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતાં પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખુટે તે માટે દિવસ રાત મહેનત કરાઈ રહી છે.

મોરબીમાં  600 બેડના બે કોવિડ સેન્ટર કાર્યરત

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધાસાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. મોરબી પટેલ ક્ધયા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. સાથે સાથે મોરબી નજીક આવેલાં જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલ ( પાટીદાર કોવિડ કેર સેન્ટર)માં વધરાના 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે.

અમદાવાદમાં 120 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત

 વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદમાં ડી.કે. હોલ – નારણપુરા ખાતે 120 બેડની કોવિડ હોસ્પિટલ દેવસ્ય હોસ્પિટલના સહયોગથી શરૂ કરેલ છે.  જેમાં હાલ તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે. આ માટે જીવના જોખમે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ, તેમજ અન્ય હોદ્દેદારશ્રી દિપકભાઈ પટેલ રૂપેશભાઈ પટેલ, ડી.એન. ગોલ , સુરેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ અનેક દાતાઓ – મિત્રો  રાત-દિવસની મહેનત કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને

એશિયન મિલ્સ પ્રા. લી ના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા અઢી કરોડનું દાન સંસ્થાને આપેલ છે, તેમણે કોરોના ના દર્દીઓની સારવાર અર્થે રૂપિયા એક કરોડ નુ દાન સંસ્થા માં જમા કરાવી દીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.