Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ સમગ્ર વિશ્વમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન વૈશ્વીક માન્યતા મેળવવા માટે હવાતિયાં મારી રહ્યું છે. પણ શાસન સ્થાપવા માટે તાલિબાને જાતે જ સમગ્ર દેશમાં અંધાધૂંધી ફેલાવી દીધી છે. હજુ પણ તાલિબાન માન્યતા વગરની સરકાર રચવાના પુરજોશમાં પ્રયાસો કરી રહ્યું હોય અંધાધૂંધી હજુ વધવાની પ્રબળ શકયતા જણાઈ રહી છે. એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અફઘાનિસ્તાનના મુદાને મુસ્લિમ સાશન તરીકે ટાંકીને ગલ્ફના નેતાઓને મળ્યા છે. તો સામે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાન મુદ્દે યુએસએના પ્રમુખને મળવા જઈ રહ્યા છે.

કાબુલ- અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો તો મેળવી લીધો છે, પરંતુ સંગઠનની અંદર ચાલી રહેલી લડાઈનું નિરાકરણ લાવવું તાલિબાન માટે મુશ્કેલ છે. હક્કાની નેટવર્કના નેતા અનસ હક્કાની અને ખલીલ હક્કાનીની તાલિબાનના નેતા મુલ્લા બરાદર અને મુલ્લા યાકુબ સાથેની લડાઈની ખબરો સામે આવી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લડાઈ દરમિયાન હક્કાની સમૂહ તરફથી ગોળી ચલાવવામાં આવી છે જેમાં મુલ્લા બરાદર ઈજાગ્રસ્ત થયા છે.

હક્કાની નેટવર્ક સરકારમાં મોટી ભાગીદારી અને રક્ષા મંત્રીનું પદ માંગી રહ્યું છે, જ્યારે તાલિબાન દેવા માટે તૈયાર નથી. આ જ કારણોસર બન્ને સમૂહો વચ્ચે સહમતિ નથી સાધી શકાતી. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, હક્કાની અને બરાદર સમૂહ વચ્ચે ઝડપ થઈ ગઈ છે. પંજશીર ઓબ્ઝર્વર અને એનએફઆરના રિપોર્ટ્સ અનુસાર, આ લડાઈમાં ફાયરિંગ થઈ છે.

જો કે, હજુ સુધી બન્ને દાવાઓની પૃષ્ટિ નથી થઈ શકી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બરાદર હવે પાકિસ્તાનમાં સારવાર લઈ રહ્યા છે. કદાચ આ જ કારણોસર સરકારની રચના કરવાના કાર્યક્રમને ટાળવામાં આવ્યો છે. આ પહેલા સમાચાર મળ્યા હતા કે તાલિબાનની સરકારનું નેતૃત્વ બરાદરના હાથમાં હશે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન ઈચ્છે છે કે તાલિબાનની સરકારમાં હક્કાની નેટવર્કને મહત્વનું પદ આપવામાં આવે. સીએનએન-ન્યુઝ 18ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફૈઝ કાબુલ ગયા તેની પાછળનું એક મોટું કારણ એ છે કે તે ક્વેટા શૂરાના મુલ્લા યાકુબ, મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હક્કાની નેટવર્ક વચ્ચેના મતભેદને દૂર કરી શકે

મુલ્લા બરાદર વિષે વાત કરીએ તો, તે તાલિબાનના બીજા ક્રમાંકના નેતા છે અને દોહામાં રાજકીય કાર્યાલયના પ્રમુખ છે. લગભગ 20 વર્ષ પછી તે અફઘાનિસ્તાન પહોંચ્યા છે. મુલ્લા બરાદરે પોતાના બનેવી મુલ્લા ઉમર સાથે મળીને તાલિબાનની સ્થાપના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.