Abtak Media Google News

સંક્રમણ ચોકક્સ ઘટ્યું પરંતુ કોરોના હજુ ગયો નથી: સલામતી ખાતર આતશબાજી નહીં યોજવાનો નિર્ણય લેવાયો: મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની સત્તાવાર જાહેરાત

છેલ્લા પોણા બે વર્ષથી હાહાકાર મચાવી રહેલી વૈશ્ર્વિક મહામારી કોરોનાએ તહેવારોની રંગત છીનવી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારોમાં રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય આતશબાજી યોજવામાં આવે છે. જે શહેરીજનોમાં ખુબ લોકપ્રિય છે. જો કે સતત બીજા વર્ષે ધનતેરસે આતશબાજી યોજવામાં આવશે નહીં તેવી સત્તાવાર જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દર વર્ષે દિવાળીના તહેવારમાં કોર્પોરેશન દ્વારા રેસકોર્સ ખાતે માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમમાં આતશબાજી યોજવામાં આવે છે. જે રાજકોટવાસીઓ માટે ખુબજ લોકપ્રિય છે. ગત વર્ષે કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ હોવાના કારણે આતશબાજી યોજી શકાય ન હતી. આ વર્ષે સંક્રમણમાં ચોક્કસ ઘટાડો નોંધાયો છે પરંતુ હજુ સંપૂર્ણપણે કોરોનાએ આપણા વચ્ચેથી વિદાય લીધી નથી.

સલામતી અને સાવચેતીના ભાગરૂપે આ વર્ષે પણ ધનતેરસના દિવસે આતશબાજી નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ દિવાળી કાર્નિવલનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે. દિવાળીએ માત્ર કોર્પોરેશનની કચેરીમાં રોશની કરવામાં આવશે. વધુ માનવ મહેરામણ એકત્રીત થાય તેવા એકપણ કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.