Abtak Media Google News

પરમાત્માના સ્થાને પહોંચવા ગુરૂ માત્ર પગથિયા બને છે, ચાલવાનું સ્વયં હોય છે: પૂ.નમ્રમુનિ મ.સા.

અબતક-રાજકોટ

પરમાત્માના સ્થાન સુધી પહોંચવા માટે ગુરુરૂપી દુર્લભ પગથિયાની જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે મૃત્યુ આવે એની પહેલાં આ સંસારમાંથી પ્રયાણ કરી લેવાનો પરમ પાવનકારી બોધ પ્રસરાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં નવ નવ મુમુક્ષુ આત્માઓના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ લુક એન લર્નના બાળકો દ્વારા ‘સચ કા સર્ચ’ કાર્યક્રમની અર્પણતા સાથે કરવામાં આવ્યો હતો. આ અવસરે પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે લુક એન લર્નના બાળકો, દીદીઓ અને દેશ-વિદેશના હજારો ભાવિકો સંયમની અનુમોદના કરી ધન્ય બન્યાં હતાં.

ભાવ-ભક્તિમાં લીન બનીને લુક એન લર્નના બાળકોએ કરેલાં રજોહરણ ભાવ નૃત્યના દ્રશ્યો તેમજ દીક્ષાર્થી સાથેનો ટોક શો અનેક આત્માની સુષુપ્ત દશાને ઢંઢોળી ગયાં

હૃદયના નિર્દોષ ભાવો સાથે અત્યંત ઉત્સાહપૂર્વક હાથમાં શાસન ધ્વજને લહેરાવતાં બાળકોએ કરેલાં પરમ ગુરુદેવના વધામણા સાથે નાના નાના બાળકો દ્વારા ગુરુ ચરણમાં અર્પણ કરવામાં આવેલી પ્રભુની વાણીનું પઠનની ભેટના દ્રશ્યો બાદ આ અવસરે આત્માને પરમ તૃપ્તિનો અહેસાસ કરાવતી વાણી ફરમાવતાં પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, મૃત્યુના કારણે સંસારમાંથી પ્રયાણ કરતાં પહેલાં જ જે સંસારમાંથી સંયમ તરફ પ્રયાણ કરી જાય છે એનો મનુષ્યભવ સાર્થક બની જતો હોય છે અને આ મનુષ્યભવને સાર્થક કરવા પરમાત્માના સ્થાન સુધી પહોંચવા ગુરુરૂપી પગથિયાની જરૂર પડતી હોય છે. સંયમ તે સમાધિનું જીવન હોય છે અને સંસાર તે માત્રને માત્ર ઉપાધિનું સ્થાન હોય. સંયમમાં કદાચ દેખાતો દુ:ખ હોય પરંતુ વાસ્તવિકમાં સુખ હોય અને સંસારમાં કદાચ દેખાતું સુખ હોય પરંતુ વાસ્તવિકમાં દુ:ખ જ હોય આ પરમાત્મા દ્વારા આપેલું ક્લિયર સર્ટિફિકેટ છે.

Screenshot 52 1

પરમાત્માના સર્ટિફિકેટનો મર્મ આપતી આ પાવન વાણી બાદ લુક એન લર્નના બાળકો દ્વારા દીક્ષાર્થીઓને પૂછવામાં આવેલાં સંયમલક્ષી પ્રશ્નોના દીક્ષાર્થીઓએ આપેલાં સમાધાન સ્વરૂપ આયોજિત રસપ્રદ ટોક શો ઉપસ્થિત દરેક હૃદયને ચિંતનમાં ગરકાવ કરી ગયો હતો. “કર્મના ડાઇરેક્શનમાં પ્લે થઈ રહી આ જીવનની મૂવીમાં આપણે બધાં એક્ટર બનીને એક્ટિંગ કરી રહ્યાં છીએ એવા સંસારના પિંજરામાંથી સદાને માટે મુક્ત બની હું સંયમના મુક્ત ગગનમાં વિહરવા જઈ રહી” આવા વીરતાપૂર્વકના ભાવોની અભિવ્યક્તિ કરીને મુમુક્ષ દેવાંશીબેને કરેલી સંસાર અલવિદાની ક્ષણો, એમના શુભ-હસ્તે કરવામાં આવેલું વર્ષીદાન જીલતાં ભાવિકો, અને અત્યંત અહોભાવથી ઉજવાએલો એમનો વિદાય સમારોહમાં હજારો મસ્તક નત બન્યા હતા.આગામી 20 ફેબ્રુઆરીએ પરમ ગુરુદેવના હસ્તે રાજોહરણ પામનારા 9 મુમુક્ષુઓ દ્વારા ક્લૂના આધારે પરમધામના વિશાળ પ્રાંગણમાં કરવામાં આવેલી પોતાના રજોહરણ શોધના દ્રશ્યો તેમજ દીક્ષાર્થીઓ અને બાળકો દ્વારા કરવામાં આવેલાં રજોહરણ નૃત્યના ભાવભીના દ્રશ્યો, દીદીઓ દ્વારા કરવામાં આવેલી અહોભાવભીની દીક્ષાર્થી અભિવંદના સર્વત્ર સંયમનો જયનાદ ગુંજવી ગયો.

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર- ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર- મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ  દીનેશકુમાર ચુનીલાલ મોદી લઈને ધન્ય બન્યા છે.રેલાઈ રહી છે દસો દિશાઓમાં ત્યાગી આત્માઓના ત્યાગની સુરભી ત્યારે સમગ્ર ભારતના અનેક ક્ષેત્રોમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા અનેક પાંજરાપોળો, અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, હોસ્પિટલો અને ગરીબ વિસ્તારોમાં માનવતા અને જીવદયાના અનેક અનેક મોતી વેરીને સંયમ મહોત્સવની અનુમોદના છેલ્લાં કેટલાંય દિવસથી કરવામાં આવી રહી છે. આવતીકાલે તારીખ 15મી ફેબ્રુઆરી 2022 સવારના 8:30 કલાકે “સંયમ સ્પર્શનમ” અનોખો કાર્યક્રમ સાથે ગૂંજી રહશે પરમધામના અણુ અણુ જેના સાક્ષીકાર બનવા સર્વ ધર્મપ્રેમી ભાવિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.